Rajkot: જમીનવિવાદ મામલે ચાર લોકોએ ફિનાઈલ ગટગટાવી આત્મહત્યાનો કર્યો પ્રયાસ
Rajkot: મવડી વિસ્તારમાં અઢી વર્ષ પહેલા 3 એકર જમીનની ખરીદી હતી અને જે લોકો ત્યાં રહેતા હતા, તેઓ આ જમીનના કબ્જા અંગે સુપ્રિમ કોર્ટમાં કેસ પણ જીતી ગયા હતા.
Rajkot: રાજકોટના મવડી રોડ (Mavdi Road) પર આવેલા શિવ શક્તિ ડેરીમાં ચાર લોકોએ ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મવડી રોડ આવેલી ડેરીમાં બપોરના સમયે કેતન સાગઠિયા, મંજુબેન વાઘેલા, ગૌરીબેન ચાવડા, શોભના ચાવડા હાથમાં ફિનાઈલ લઈને પહોંચ્યા હતા અને ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
બનાવની જાણ થતાં પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ચારેયને 108ની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં મવડી વિસ્તારની કરોડોની જમીન વિવાદમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. ડેરીના માલિક જગદિશ પટેલે કહ્યું હતુ કે મવડી વિસ્તારમાં અઢી વર્ષ પહેલા 3 એકર જમીનની ખરીદી હતી અને જે લોકો ત્યાં રહેતા હતા, તેઓ આ જમીનના કબ્જા અંગે સુપ્રિમ કોર્ટમાં કેસ પણ જીતી ગયા હતા.
ત્યારે આ અંગે સ્થાનિક લોકો અને પોલીસની મધ્યસ્થીથી સમાધાન કરીને ત્યાં રહેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ત્યાંથી હટાવી બીજી જગ્યાએ રાખી હતી. જો કે આ અંગે સમાધાન કર્યા હોવા છતા દબાણ માટે આ પ્રકારે વર્તન કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો.
બીજી તરફ આ અંગે દલિત સમાજે ડેરીના માલિક સહિત ત્રણ સામે બળજબરી કરતા હોવાનો આરોપ લગાવ્યો છે. દલિત સમાજના આગેવાનના કહેવા પ્રમાણે 25 વર્ષથી આ જગ્યા ખાલી હતી અને ત્યાં બાબા સાહેબની પ્રતિમા રાખવામાં આવી હતી, જો કે છેલ્લા પાંચ વર્ષોથી આ જગ્યામાં વિવાદ કરીને જમીન પચાવી પાડવાનો આરોપ લગાવ્યો છે.
આ પણ વાંચો : Rajkot : વેપારીઓના વેક્સિનેશનની મુદત વધારવાની માગ, ચેમ્બર ઓફ કોમર્સે CM ને પત્ર લખી રજૂઆત કરી