RAJKOT : દિવ્યાંગો-શારીરિક અશક્તોને ઘરે જઇને વેકિસન અપાશે, કોર્પોરેશન દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરાયો
દિવ્યાંગ, શારીરિક રીતે અશક્ત અને પથારીવશ લોકો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ હેલ્પલાઇન નંબર 0281-2220600 પર ફોન કરવાથી ઘરે કોરોના વેક્સિન આપવાની વ્યવસ્થા કરાશે.
રાજકોટ શહેરમાં 100 ટકા વેક્સિનેશનનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે એક અભિયાન છેડાયું છે. રાજકોટ મનપા આજથી 18 વર્ષથી ઉપરના દિવ્યાંગ, શારીરિક રીતે અશક્ત અને પથારીવશ લોકોને ઘરે-ઘરે જઈને રસી આપશે. આ માટે એક હેલ્પલાઈન નંબર પર જાહેર કરવામાં આવ્યો છે. તેના પર ફોન કરવાથી આરોગ્યની ટીમ ઘરે આવીને રસી આપી જશે.રાજકોટ જિલ્લામાં તમામ લોકોને રસી આપવા માટે ડોર ટુ ડોર રસીકરણ થઈ રહ્યું છે. પરંતુ રાજકોટ શહેરમાં આ પ્રકારની સિસ્ટમ ન હતી.
દિવ્યાંગો અને અશક્તોને ઘરે જઇને અપાશે રસી
રાજકોટ શહેરમાં ડોર ટુ ડોર વેક્સિનેશન અને તમામ માટે નહીં પરંતુ માત્ર દિવ્યાંગ અને અશક્ત લોકો માટે મ્યુનિસિપલ કમિશનરે રવિવારે નિર્ણય કર્યો હતો. આ નિર્ણયના પગલે સોમવારથી જ દિવ્યાંગ અને શારીરિક અશક્ત લોકોને ઘરે જઈને રસી અપાશે. શહેરમાં નિયત કરેલ કોરોના વેક્સિન સેન્ટર ખાતે લોકો આવી રસી મુકાવે છે, પરંતુ હજુ એવા પણ લોકો છે જે વેક્સિન સેન્ટર સુધી આવી નથી શકતા તેવા નાગરિકો માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઘેરબેઠા કોરોના વેક્સિન લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
દિવ્યાંગો અને અશક્તો માટે હેલ્પનંબર અપાયો
શહેરના દિવ્યાંગ, શારીરિક રીતે અશક્ત અને પથારીવશ લોકો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ હેલ્પલાઇન નંબર 0281-2220600 પર ફોન કરવાથી ઘરે કોરોના વેક્સિન આપવાની વ્યવસ્થા કરાશે. લાભ લેનારે હેલ્પલાઇન નંબર પર સવારના 9 થી સાંજના 5 વાગ્યા સુધીમાં ફોન કરી નોંધણી કરાવવાની રહેશે. જેમાં લાભાર્થીએ મોબાઈલ નંબર, રહેણાંકનું પૂરું સરનામું, વેક્સિનના પ્રથમ કે બીજા ડોઝની માહિતી આપવાની રહેશે.
હેલ્પલાઇનમાં મળેલ માહિતી બાદ 24 થી 48 કલાકમાં હેલ્પલાઇન કંટ્રોલરૂમમાંથી જે-તે નજીકના આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં આવતા લાભાર્થીઓને જે-તે આરોગ્ય કેન્દ્ર દ્વારા વેક્સિનની સેવા લાભાર્થીને ઘરે પૂરી પાડવામાં આવશે. આ દરમિયાન લાભાર્થીએ પોતાનું આધારકાર્ડ, મોબાઈલ નંબર તથા લીધેલ વેક્સિનની વિગત મનપાની ટીમને આપવી પડશે. આમ, હવે રાજકોટ શહેરમાં પણ 100 ટકા વેક્સિનેશન માટે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ નવી વ્યવસ્થા શરૂ કરાવી છે અને જે લોકો આરોગ્ય કેન્દ્રો પર આવી શકતા નથી તેમના પરિવારજનોએ સોમવાર (આજ)થી શરૂ કરવામાં આવનારી આ નવી સિસ્ટમનો વધુમાં વધુ લાભ લઈને રસીકરણ અભિયાનમાં સાથ આપવા જણાવ્યું છે.