રાજકોટ (Rajkot Latest News) ગોંડલ હાઇ વે પર આવેલા રીબડા ગામમાં આજથી (20 મે, 2022) ધર્મોત્સવની શરૂઆત થઇ છે.આજથી સાત દિવસ માટે કથાકાર ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના વ્યાસાસને શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થયો છે. ગોંડલના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના યજમાન પદે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાત દિવસની આ કથામાં સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે.
આ કથા અંગેની વિગતો આપતા મહિપતસિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધસિંહ જાડેજાએ કહ્યું હતું કે મહિરાજ બજરંગબલી ટ્રસ્ટ દ્રારા આયોજિત આ કથામાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કથાનું રસપાન કરવા માટે મોટાભાગે વડિલો આવતા હોય છે ત્યારે તમામ શ્રોતાઓને બેસવા ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી છે. ભવ્ય સ્ટેજ અને ગરમીથી બચવા માટે કુલર અને પંખા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કથામાં આવતા શ્રોતાઓ માટે ભોજનની પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી આ કથાનું શ્રવણ કરી શકાશે. દરરોજ હજારોની સંખ્યામાં લોકો આ કથામાં ઉપસ્થિત રહેશે.
તારીખ 20 કથા પોથીયાત્રા સાથે પ્રારંભ.
તારીખ 23-કૃષ્ણજન્મોત્સવ યોજાશે.
તારીખ 24-ગોવર્ધન પૂજા.
તારીખ 25-રૂક્ષ્મણી વિવાહ થશે.
કથાના આ કાર્યક્રમ દરમિયાન 23 તારીખને સોમવારે રાત્રે 9 કલાકે સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં બ્રિજદાન ગઢવી,માયાભાઇ આહિર,સાંઇરામ દવે,નારાયણ ઠાકર,ઓસમાણ મીર,ભગવતી ગોસ્વામી અને હર્ષ પીપળીયાની સંતવાણીનો કાર્યક્રમ યોજાશે જ્યારે 24 તારીખને મંગળવારે ફરિદાબેન મીર, દિપક જોષી સંતવાણી કરશે. તારીખ 26ને ગુરૂવારે રાત્રે 9 કલાકે રાજભા ગઢવી, દેવાયત ખવ્વડ, મનસુખ વસોયા અને હકાભા ગઢવી ઉપસ્થિત રહેશે.
મહિપતસિંહ રીબડા સમાજમાં મોટું નામ ધરાવે છે અને રાજકીય રીતે પણ તેમના સબંધો છે ત્યારે સાત દિવસની કથા દરમિયાન અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે. ભાજપ કોંગ્રેસના નેતાઓ તથા સામાજિક અગ્રણીઓ ગુજરાતભરમાંથી ઉપસ્થિત રહેશે.
ઉલ્લેખનીય છે કે, જામનગરમાં પણ મે મહીનાની શરૂઆતમાં ભાઈશ્રીના વ્યાસાસને ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતુ. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા આ જ્ઞાન યજ્ઞના મુખ્ય યજમાન હતા. સાત દિવસના આ જ્ઞાન યજ્ઞમાં અનેક રાજકીય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાઈશ્રી દ્વારા ભાગવત કથાનું રસપાન કરીને લોકો ભાવ વિભોર થયા હતા.