Rajkot : પ્રેમગઢ ગામમાં ઓક્સિજન સાથેની સુવિધાયુક્ત કોવિડ કેર સેન્ટર શરૂ કરાયુ
સરકારના ભરોસે નહી રહીને ગ્રામપંચાયત દ્વારા પ્રેમગઢની શાળામાં જ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. અહીં 10 બેડના કોવિડ કેર સેન્ટરમાં દર્દી માટે ઓક્સિજન સાથેના બેડ અને જરૂરી દવા સાથે જમવા અને નાસ્તાનીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે,
કોરોનાના કેસ હવે દેશના ગામડે ગામડે પહોંચી રહ્યા છે ત્યારે ગામડાના લોકોએ પણ હવે આ મહામારી સામે તાત્કાલિક લડવા માટેની તૈયારી શરૂ કરી દીધી છે, રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના નાના એવા પ્રેમગઢ ગામે તો કોરોના માટેનું કોવિડ કેર સેન્ટર જ ગામમાં બનાવી નાખ્યું અને લોકોને અહીં ઓક્સિજન સાથેની સારવાર પણ ઉપલબ્ધ કરી છે
રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસ દિવસે ને દિવસે વધતા જાય છે હોસ્પિટલમાં કોરોનાના દર્દી માટે જગ્યા મળવી અને એક બેડ મળવો મુશ્કેલ છે, કોરોનાનો હાલનો જે સ્ટ્રેન છે તેમાં મોટા ભાગના દર્દીને ઓક્સિઝનની અછત વર્તાય છે ત્યારે ઓક્સિજનની સુવિધા સાથે હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા, બીજી લહેરના કોરોનાના કેસ હવે ગ્રામ્ય વિસ્તારમાં વધુ દેખાઈ રહ્યા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારના લોકોને હોસ્પિટલમાં સારવાર મેળવી વધુ મુશ્કેલ પડી રહી છે ત્યારે જેતપુર તાલુકાના નાના એવા પ્રેમગઢ ગામના લોકો અને ગ્રામપંચાયત દ્વારા એક ઉદારણીય પગલું ભર્યું છે.
સરકારના ભરોસે નહી રહીને ગ્રામપંચાયત દ્વારા અહીંની શાળામાં જ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે અહીં 10 બેડના કોવિડ કેર સેન્ટરમાં દર્દી માટે ઓક્સિજન સાથેના બેડ અને જરૂરી દવા સાથે જમવા અને નાસ્તાનીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, સાથે સાથે જે કોરોનાના દર્દી છે તેને ડોકટરનું માર્ગદર્શન મળી રહે તે પણ વ્યવસ્થા છે, અહીં MD ડોકટર સવારે અને સાંજે ખાસ વિઝીટ કરે છે અને જરૂરી તમામ સારવાર આપવા આવી રહી છે, પ્રેમગઢ ગામના લોકોને જો તાત્કાલિક ઓક્સિજન સાથે સારવારની જરૂર પડે તો અહીં દાખલ કરવામાં આવે છે અને પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે અહીં 10 વ્યક્તિઓ 24 કલાક સેવા આપી રહ્યા છે અને કોરોના દર્દીને કોઈ તકલીફ ન પડે તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે, હાલ તો આ કોવિડ સેન્ટર પ્રેમગઢ સહિતના આસપાસના ગામડાઓ માટે પણ આશીર્વાદ સમાન બની ગયું છે.
હાલમાં દેશમાં જેમ કોરોનાના કેસ વધી રહ્યા છે તેના કારણે હેલ્થ કેર વ્યવસ્થા સામે પડકાર ઉભા થયા છે તેવી સ્થિતીમાં લોકો, સામાજીક સંસ્થા, કંપનીઓ દ્વારા આગળ આવીને દર્દીઓ માટે કેટલીક વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે જેના કારણે લોકોને કેટલાક અંશે રાહત મળી રહેશે.