Rajkot : વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતિત, સૌરાષ્ટ્રના 20 લાખ હેક્ટરમાં પાક નિષ્ફળ જવાની ભીતિ
સૌરાષ્ટ્રના ખેડૂતોએ આગોતરૂ વાવેતર કર્યા બાદ વરસાદ ખેંચાયો છે. જોકે હવે વરસાદ ખેંચાતા પાક સૂકાવાનો ભય ઉભો થયો છે. જેથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
Rajkot : રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના ખેડૂતોએ આગોતરૂ વાવેતર કર્યા બાદ વરસાદ ખેંચાયો છે. સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે મગફળી અને કપાસ સહિત અન્ય પાકોનું 20 લાખ હેક્ટરમાં આગોતરૂ વાવેતર કરી દીધું છે. જોકે હવે વરસાદ ખેંચાતા પાક સૂકાવાનો ભય ઉભો થયો છે.
હવામાન વિભાગના કહેવા પ્રમાણે હજુ પણ એક સપ્તાહ વરસાદની કોઇ સિસ્ટમ સક્રિય ન હોવાથી ખેડૂતોના જીવ તારવે ચોંટી ગયા છે. સૌરાષ્ટ્રમાં આ વર્ષે મગફળીનું 9.16 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. જ્યારે કપાસનું 8.98 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. સૌરાષ્ટ્રમાં માત્ર માણાવદર અને વંથલી પંથકમાં હજુ વાવણી થઇ શકી નથી.
સૌરાષ્ટ્રમાં જિલ્લા પ્રમાણે થયેલું વાવેતર 1) રાજકોટ 2.46 લાખ હેક્ટર 2) સુરેન્દ્રનગર 1.78 લાખ હેક્ટર 3) જામનગર 1.90 લાખ હેક્ટર 4) પોરબંદર 47 હજાર હેક્ટર 5) જુનાગઢ 1.37 લાખ હેક્ટર 6) અમરેલી 3.99 લાખ હેક્ટર 7) ભાવનગર 2.69 લાખ હેક્ટર 8) મોરબી 1.65 લાખ હેક્ટર 9) બોટાદ 1.36 લાખ હેક્ટર 10) ગીરસોમનાથ 46 હજાર હેક્ટર દેવભૂમી દ્વારકા 1.37 લાખ હેક્ટરમાં વાવેતર પૂરૂ થયું છે. જો વરસાદ ખેંચાશે તો સિંચાઇનું પાણી આપવું પડશે.
ખેડૂત નિષ્ણાંતોના કહેવા પ્રમાણે હવે જો એક સપ્તાહમાં વરસાદ ન આવે તો મુશ્કેલી વધી શકે છે અને કપાસને નુકસાન પહોંચી શકે છે. એટલું જ નહિ હવે મોડી વાવણી કરવી ખેડૂતોને પોસાય તેમ નથી. ત્યારે જો વરસાદ ખેંચાય તો સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઇ વિભાગ થકી પાણી પહોંચાડવું ખૂબ જ જરૂરી છે.
જો સિંચાઇનું પાણી ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે તો ખેડૂતોને ઉગારી શકાય છે. મેઘરાજા રૂઠ્યા છે પરંતુ જો સરકાર ખેડૂતો પર હેત વરસાવે તો ખેડૂતોનો પાક સુકાતા બચી શકે છે.