Rajkot : માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપના જ બે જુથ ગોઠવણ કરવા લાગ્યા, કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા બનશે કિંગ મેકર
અત્યાર સુધી માર્કેટીંગ યાર્ડમાં હરદેવસિંહ જાડેજા, ડી.કે. સખિયા જુથનો દબદબો રહ્યો છે, પરંતુ આ વખતની ચૂંટણીમાં ભાજપનું બીજુ જુથ ચૂંટણીમાં તૈયારી કરી રહ્યું છે.
સૌરાષ્ટ્રના સૌથી મોટા બેડી માર્કેટીંગ યાર્ડની (Marketing Yard) ચૂંટણી જાહેર થઇ છે. આગામી 5 ઓક્ટોબરે આ ચૂંટણી યોજાવા જઇ રહી છે. ચૂંટણી જાહેર થતાની સાથે જ સહકારી ક્ષેત્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ વખતની ચૂંટણીમાં ભાજપના જ બે જુથ આમને સામને છે જો કે યાર્ડની સત્તાનો તાજ કોણ પહેરશે તેની જવાબદારી કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાના હાથમાં સોંપવામાં આવી છે.
અત્યાર સુધી માર્કેટીંગ યાર્ડમાં હરદેવસિંહ જાડેજા, ડી.કે. સખિયા જુથનો દબદબો રહ્યો છે, પરંતુ આ વખતની ચૂંટણીમાં ભાજપનું બીજુ જુથ ચૂંટણીમાં તૈયારી કરી રહ્યું છે. ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી પણ તેની પેનલને મેદાને ઉતારવા તૈયારી કરી રહ્યા છે.
રા.લો.સંઘ અને જિલ્લા બેંકની ચૂંટણીમાં જુથવાદ વધ્યો
રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં ડી.કે. સખિયા જુથ દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતુ અને વિવાદ સામે આવ્યો હતો જો કે છેલ્લી ઘડીએ જિલ્લા બેંકની ચૂંટણી બિનહરીફ થઇ હતી. જે બાદ અન્ય સહકારી સંસ્થા રાજકોટ લોધિકા સંઘમાં ડી.કે. સખિયા જુથના નિતીન ઢાંકેચા પાસેથી સત્તા છીનવાય અને તેમાં પણ જયેશ રાદડિયા કિંગમેકર સાબિત થયા હતા.
આ બંન્ને ચૂંટણીઓમાં ડી.કે. સખિયા જુથને પછડાટ મળી હતી. ત્યારે માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં પણ ભાજપના જ બે જુથ આમને સામને આવી શકે છે.
જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સખિયાની ઓડિયો ક્લીપ થઇ હતી વાયરલ
જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને યાર્ડના ચેરમેન ડી.કે. સખિયાની એક ઓડિયો ક્લીપ જિલ્લા પંચાયતની ચૂંટણી સમયે વાયરલ થઇ હતી. જેમાં તેઓ જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રીને હરાવવા માટેની વાત કરી હતી. જેના કારણે પ્રદેશ કક્ષાએ ડી.કે. સખિયા જુથ સામે ફરિયાદ પણ કરવામાં આવી હતી, ત્યારે આ ચૂંટણીમાં સખિયા જુથને ભાજપના સ્થાનિક નેતાઓની નારાજગી ભારે પડી શકે છે.
જો કે ચેરમેન માટે જે ખેડૂત અને સહકારી મંડળીના પ્રમુખ મતદારો છે તેનો ટેકો ડી.કે. સખિયાને મળી શકે છે, પરંતુ તેમાં પણ જયેશ રાદડિયાની સંમતિ જરૂરી છે, કારણ કે સૌથી મોટા સહકારી સંસ્થા રાજકોટ જિલ્લા બેંક જયેશ રાદડિયા પાસે છે.
જયેશ રાદડિયાની આગેવાનીમાં ચૂંટણી લડીશું-ડી.કે. સખિયા
માર્કેટીંગ યાર્ડની ચૂંટણી જાહેર થતા ડી.કે સખિયાએ આ ચૂંટણી જયેશ રાદડિયાની આગેવાનીમાં લડવામાં આવશે તેવો દાવો કર્યો હતો. હવે ડી.કે. સખિયાને ચેરમેન તરીકે રિપીટ કરવા કે નહિ તે અંગેનો નિર્ણય જયેશ રાદડિયાના સૂચન બાદ ભાજપ દ્વારા લેવામાં આવશે જો કે એક વાત તો નક્કી છે કે ગત ટર્મમાં ડી.કે. સખિયાનો જેવો દબદબો હતો તેવો આ ટર્મમાં નહિ રહે. તેના સૌથી નજીકના સાથી હરદેવસિંહને વાયસ ચેરમેન પદ મળશે કે કેમ તે પણ સવાલ છે.
બંન્ને જુથ લગાવી રહ્યા છે એડીચોટીનું જોર
સહકારી ક્ષેત્રની આ લડાઇમાં બે જુથ આમને સામને છે જેમાં ડી.કે. સખિયા જુથમાં હરદેવસિંહ જાડેજા,પરસોતમ સાવલિયા, નિતીન ઢાંકેચા, વિજય સખિયા છે. જ્યારે અરવિંદ રૈયાણી જુથમાં બાબૂ નસિત, નાગદાન ચાવડા, લાલજી સાવલિયા છે. આ બંન્ને જુથ વચ્ચે ભાજપનું મવડી મંડળ કયો નિર્ણય કરશે તેના પર સૌની નજર છે.