Rajkot: અબોલ પ્રાણી અને પક્ષીઓને આકરી ઠંડીમાં હૂંફ આપવા માટે કરવામાં આવી વિશેષ વ્યવસ્થા
શિયાળાની ઋતુ દરમિયાન સિંહ, વાઘ, દિપડા તેમજ તમામ પ્રજાતીનાં નાના-મોટા માંસાહારી પ્રાણીઓમાં ખોરક વધી જતા હાલ ખોરાકમાં 10 થી 15 ટકા જેટલો વધારો કરવામાં આવેલ છે. જ્યારે તૃણાહારી પ્રાણીઓમાં પણ ખોરાકમાં વધારો થતા લીલો ચારો ઉપરાંત સૂકુ ઘાસ આપવામાં આવે છે.
શિયાળો શરૂ થઈ ગયો છે ત્યારે પ્રાણી સંગ્રહાલયમાં રહેતા અબોલ પ્રાણી પક્ષીઓને ઠંડી ન લાગે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ડિસેમ્બર માસમાં તેમજ જાન્યુઆરી મહિનામાં શિયાળાની ઠંડકથી બચવા માટે રાજકોટના પ્રદ્યુમન પાર્કના પ્રાણી સંગ્રહાલયમાં કુલ 519 વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ માટે શિયાળાલક્ષી વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રદ્યુમન પાર્ક ઝુ માં રહેતા પ્રાણીઓને ઠંડીની અસર ન થાય તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. હાલમાં રાજકોટ પ્રાણી ઉદ્યાન ખાતે જુદી જુદી 61 પ્રજાતિઓનાં કુલ 519 વન્યપ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે.
આ તમામ પ્રાણી-પક્ષીઓને જુદી જુદી ઋતુઓમાં વાતાવરણની કોઇ આડઅસર ન થાય અને તમામની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે દર વર્ષે ઋતુ અનુંસાર ખાસ તકેદારી રાખવામાં આવે છે. હાલ શિયાળાની ઋતુ ચાલતી હોય, છેલ્લા બે દિવસથી ઠંડીનું પ્રમાણ વધેલ છે. આથી ઝૂ ખાતેના તમામ પ્રાણી-પક્ષીઓ માટે તેઓની પ્રકૃતી અનુંસાર ઠંડીથી રક્ષણ આપવા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
વન્ય પ્રાણીઓ માટે વિશેષ વ્યવસ્થા
- સિંહ, વાઘ, દિપડા, રીંછ વિગેરે મોટા પ્રાણીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે રાત્રી દરમિયાન નાઇટ શેલ્ટરના તમામ બારી દરવાજે કંતાન, લાકડાની પ્લાય તથા પૂંઠાનો ઉપયોગ કરી બંધ કરવામાં આવે છે. જેથી ઠંડા પવનને પ્રવેશતો અટકાવી શકાય.
- ચિત્તલ, સાબર, કાળીયાર, હોગ ડીયર વિગેરે તૃણાહારી પ્રાણીઓના પાંજરામાં સૂકા ઘાસની પથારી કરવામાં આવે છે. જેથી રાત્રી દરમિયાન પ્રાણીઓ સૂકા ઘાસ ઉપર બેસી હુફ મેળવી ઠંડી જમીનથી રક્ષણ મેળવે છે.
- સરિસૃપ કુળના પ્રાણીઓ જેવા કે તમામ પ્રકારના સાપના નાઇટ શેલ્ટરમાં ધાબળાના ટુંકડા તથા ખાસ પ્રકારના કાણાંવાળા માટલાની અંદર ઇલેટ્રીક લેમ્પ ગોઠવવામાં આવેલ છે. જેથી માટલું ગરમ થાય છે અને સાપ પોતાના શરીરનું તાપમાન સમતુલિત કરવા માટે માટલાની બહારના ભાગે વિંટાઇ જાય છે. જ્યારે મગર અને ઘડિયાલ જેવા મોટા પ્રાણીઓ માટે વિશાળ ઉંડા પાણીના પોન્ડ હોય રાત્રી દરમિયાન ઠંડીમાં શરીરનું તાપમાન સમતુલીત કરવા પાણીના તળીયે બેસી રહે છે.
- તમામ પ્રકારના વાંદરાઓ માટે નાઇટ શેલ્ટરનાં બારી-દરવાજાને કંતાન તથા પુંઠાથી બંધ કરવામાં આવેલ છે અને રૂમની અંદર બેસવા માટે લાકડાના પટીયા ગોઠવવામાં આવેલ છે. નાના પ્રાણીઓ માટે નાઇટ શેલ્ટરમાં ખાસ પ્રકારની ગુફા બનાવવામાં આવેલ છે અને બારી –દરવાજાને કંતાન તથા પુંઠાથી બંધ કરવામાં આવી છે.
- જુદી-જુદી પ્રજાતીઓના પક્ષીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે પાંજરાના ફરતે ગ્રીન નેટ તથા ઉપરના ભાગે સૂકુ ઘાસ પાંથરવામાં આવેલ છે. આ ઉપરાંત પક્ષીઓના પાંજરામાં રાત્રી દરમિયાન બેસવા માટે ખાસ પ્રકારના લાકડાના બોક્ષ તથા માટલા ગોઠવવામાં આવેલ છે. જેની અંદર લાકડાનો છોલ તથા સૂકુ જીણું ઘાસ પાથરવામાં આવે છે. જેનો પક્ષીઓ બ્રીડીંગમાં પણ ઉપયોગ કરે છે.
પ્રાણીઓના ખોરાકમાં પણ ફેરફાર
આ ઉપરાંત શિયાળાની ઋતુ દરમિયાન સિંહ, વાઘ, દિપડા તેમજ તમામ પ્રજાતીનાં નાના-મોટા માંસાહારી પ્રાણીઓમાં ખોરક વધી જતા હાલ ખોરાકમાં 10 થી 15 ટકા જેટલો વધારો કરવામાં આવેલ છે. જ્યારે તૃણાહારી પ્રાણીઓમાં પણ ખોરાકમાં વધારો થતા લીલો ચારો ઉપરાંત સૂકુ ઘાસ આપવામાં આવે છે.
ઉપરાંત મગર, ઘરીયલ, સાપ વિગેરે સરિસૃપ પ્રજાતીના પ્રાણીઓમાં શિયાળાની ઋતુ દરમિયાન ખોરાકમાં ઘટાડો નોંધાયેલ છે. દર વર્ષે 7.50 લાખ મુલાકાતીઓ મુલાકાત લે છે. રાજકોટ પૂર્વ વિસ્તારમાં આવેલા પ્રદ્યુમન પાર્ક ઝુમાં તહેવારના દિવસો અને રજાના દિવસોમાં અનેક લોકો મુલાકાતે આવતા હોય છે. દર વર્ષે અંદાજિત 7.5 લાખ જેટલા મુલાકાતીઓ આ ઝુની મુલાકાત લે છે.