Rajkot : “મારી પત્ની કોરોનાની ચિંતામાં આખો દિવસ કપડાં ધોયા કરે છે” માનસિક રીતે પીડાતા લોકોએ વર્ણવી વ્યથા
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક ભવન દ્રારા આવા માનસિક રોગથી પિડાતા દર્દીઓ માટે કોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.
Rajkot કોરોનાકાળ બાદ લોકોને કોરોનાના ડરના લીધે માનસિક સ્થિતિ ખરાબ થઇ છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક ભવન દ્રારા આવા માનસિક રોગથી પિડાતા દર્દીઓ માટે કોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જેના થકી દર્દીઓની માનસિક સ્થિતિને સારી કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
કોરોનાના કપરાં કાળમાં માનસિક રોગથી લોકો પિડાય નહિ અને લોકોમાં કોરોનાની નકારાત્મક અસર ન થાય તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક ભવન દ્રારા સૌરાષ્ટ્રના 45 સ્થળો પર કોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. આ કોલ સેન્ટરમાં દરરોજ 250થી વધારે કોલ આવે છે જેમાં લોકો પોતાની વ્યથા ઠાલવે છે અને મનોવૈજ્ઞાનિક ભવનના વિધાર્થીઓ તેનું કાઉન્સલીંગ કરીને તેને સમજાવવાના પ્રયત્નો કરે છે. કોલ સેન્ટરમાં આવતા કિસ્સાઓને જોઇને ભવનના વિધાર્થીઓ પણ આશ્વર્યચકિત થઇ જાય છે. ચાલો જાણીએ લોકો કેવી મુશ્કેલીઓ લઈને કરી રહ્યા છે કોલ.
કિસ્સા નંબર 1 એક પુરુષે કોલ કરીને પોતાની સમસ્યાનું સમાધાન કરવવા માટે કોલ સેન્ટરમાં કોલ કર્યો હતો અને કહ્યું હતું કે તેની પત્ની કોરોનાની ચિંતામાં માથા પછાડે છે અને આખો દિવસ કપડાં જ ધોયા રાખે છે.
કિસ્સા નંબર 2 ત્યારે બીજા કિસ્સામાં પોતાના પતિની સમસ્યા વર્ણવતી એક પત્નીએ કહ્યું કે, ‘મારા પિતા બેંકમાં છે, કોરોનાના કારણે ડ્રિપેશનમાં આવી ગયા છે અને રાત્રે કહે છે બેંકમાંથી બધા રૂપિયા ઉપાડીને કોરોનાની સારવાર કરાવી દઉં, જેથી લોકો દુખી ન થાય’
કિસ્સા નંબર 3 જયારે એક યુવકે પોતાની વેદના ઠાલવતાં કહ્યું હતું કે તેનો ભાઈ કોરોનામાં મૃત્યુ પામ્યો છે અને તેને તેના મૃતક ભાઈના જ સપના આવે છે.
કિસ્સા નંબર 4 આ બધા વચ્ચે એક આશિકનો એવો કોલ હતો કે, ‘કોરોના થયો ત્યારથી ડિપ્રેશનમાં છું, સોશ્યલ મિડીયામાં જૂની ફ્રેન્ડ સાથે વાત થઇ હવે મને આખો દિવસ તેના જ વિચાર આવે છે અને એના વગર હું નહિ રહી શકું. તેના જ વિચાર આવે છે.
કિસ્સા નંબર 5 એક વ્યક્તિ પોતાની સમસ્યા વર્ણવતા કહે છે કે, ‘મને પવન આવતાની સાથે ડર લાગે છે. પવન આવશે અને મારૂ મોત થઇ જશે તો…?’
ભવનના વડા ડો.યોગેશ જોકશનના કહેવા પ્રમાણે લોકો આ કપરાંકાળમાં મનોબળ નબળું હોવાને કારણે પીડાય રહ્યા છે અને તેમને ખોટા વિચારો આવે છે. બીજી તરફ જે લોકોનું કાઉન્સલિંગ કરવામાં આવ્યું તેઓ પણ માની રહ્યા છે કે તેઓ કોરોનાથી માનસિક રીતે ભાંગી ગયા હતા જો કે તેઓનું કાઉન્સલીંગ કરવામાં આવતા સ્થિતિ સુધરી છે અને હળવાશ અનુભવી રહ્યા છે.
મનોવૈજ્ઞાનિક ભવન દ્રારા લોકોને અપીલ કરવામાં આવે છે કે કોરોનામાં લોકો માનસિક રીતે સ્વસ્થ રહે, સારા સારા મનગમતા વિષયો પરના પુસ્તકો વાંચવાની તેમજ સંગીત સાંભળવાની સલાહ આપવામાં આવે છે. સોશિયલ મિડીયાનો વધુ પડતો ઉપયોગ બંધ કરે અને નેગેટીવ વિચારો, વાતોથી દુર રહેવાણી પણ સલાહ આપવામાં આવી છે. આમ કરવાથી માનસિક સ્થિતિ સુધરશે અને લોકો કોરોના સામેનો જંગ જીતી જશે.