Rajkot : કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા 400 બેડની હોસ્પિટલનું થશે નિર્માણ
Rajkot : સરકાર દ્વારા કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે રાજકોટમાં 400 બેડની નવી હોસ્પિટલનું નિર્માણ થશે.
Rajkot : કોરોનાની ત્રીજી લહેરને (Third Wave of Corona) પહોંચી વળવા માટે સરકાર તડામાર તૈયારી કરી રહી છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે લડવા માટે સોગંદનામું પણ રજૂ કર્યું છે. રાજકોટમાં તૈયારીના ભાગરૂપે ઓક્સિજન પ્લાન્ટ તેમજ બાળકોના વિભાગમાં બેડ વધારવા માટેની તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં 400 બેડની નવી હોસ્પિટલ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
શ્રીમતી મનુબેન ઢેબર સેનેટોરિયમ હાલ જર્જરિત સ્થિતીમાં અને વપરાશ વિના બિનઉપયોગી હાલતમાં હોઇ તેનો જન આરોગ્ય સુવિધા વૃદ્ધિ માટે ઉપયોગ થાય તેવા સંવેદનાત્મક અભિગમથી મુખ્યમંત્રીએ આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજકોટમાં પી.ડી.યુ. મેડિકલ કોલેજની બાજુમાં આવેલા શ્રીમતી મનુબેન ઢેબર સેનેટોરિયમમાં 400 બેડની હોસ્પિટલ બનશે.
પ્રારંભિક તબક્કામાં 300 બેડની હોસ્પિટલ બનશે. આ બાદ જરૂર પડ્યે બાકીના 100 બેડનો પણ ઉમેરો કરવામાં આવશે. અમેરિકન ઇન્ડીયન ફાઉન્ડેશન આ 100 બેડની કામચલાઉ હોસ્પિટલ ઊભી કરવા સહયોગ આપશે. આ સાથે જ કોરોનાની બીજી લહેર દરમિયાન અનેક લોકોને બેડ ન મળવાના કારણે અને ઓક્સિજનના કારણે મોતને ભેટ્યા છે.
રાજ્ય સરકાર ત્રીજી લહેર માટે સરકારી અને ખાનગી હોસ્પિટલ મળી 2400 બેડની હોસ્પિટલ ઉભી કરાશે. બીજા વેવમાં 61 હજાર ઓક્સિજન બેડ સામે ત્રીજી લહેર માટે 1 લાખ 10 હજાર ઓક્સિજન બેડ ઉભા કરવાનું આયોજન કર્યું છે. કોરોનાની બીજી લેહરમાં ICU બેડ 15 હજાર હતા જેને ત્રીજી વેવ માટે 30 હજાર કરવાનું આયોજન કર્યું છે. બીજા વેવમાં વેન્ટિલેટર બેડ 7 હજાર હતા જે ત્રીજી વેવમાં 15 હજાર કરવાનું આયોજન કર્યું છે.
2 હજાર પીડિયાટ્રિક બેડ સરકારી હોસ્પિટલમાં હાલ ઉપલબ્ધ છે, જેને 4 હજાર કરવાનું આયોજન કર્યું છે. બાળકો માટે વેન્ટિલેટર બેડમાં પણ સરકાર વધારો કરશે. ધન્વંતરિ રથમાં રાજ્ય સરકાર વધારો કરશે. બીજા વેવમાં 1500 હતા જ્યારે ત્રીજી લહેર માટે 3 હજાર રથ તૈયાર કરવાનું આયોજન થયું છે. બીજા વેવ દરમિયાન પ્રતિ દિવસ 1 લાખ 10 હજાર લોકો દાખલ રહેતા હતા. જયારે ત્રીજી લહેરમાં 2 લાખ 25 હજાર લોકો હોસ્પિટલમાં સારવાર લઈ શકે તેવો સરકારનો પ્રયાસ છે.