રાજકોટમાં કોરોના હાંફી ગયો, શહેરમાં 18 હજાર ટેસ્ટ સામે એકપણ પોઝિટિવ કેસ નહીં, રસીકરણ પુરજોશમાં
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રીજી લહેરની આશંકાને પગલે છેલ્લા 11 દિવસમાં કોરોનાના 18 હજારથી વધારે ટેસ્ટ કરવામાં આવ્યા છે, જો કે એકપણ પોઝિટિવ કેસ આવ્યો નથી.
RAJKOT : શહેરમાં કોરોના હાંફી ગયો હોય તેવો ઘાટ ઘડાયો છે.શહેરમાં છેલ્લા 11 દિવસમાં એકપણ પોઝિટિવ કેસ નથી આવ્યો.શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં 18000થી વધારે લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જો કે એકપણ પોઝિટિવ કેસ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.બીજી તરફ શહેરામાં વેક્સિનેશન પણ પુરજોશમાં ચાલી રહ્યું છે.શહેરમાં અત્યાર સુધીમાં 95 ટકા લોકોએ પ્રથમ ડોઝ લઇ લીધો છે જ્યારે 45 ટકા લોકોએ બીજો ડોઝ પણ લઇ લીધો છે.અત્યાર સુધીમાં 71000 લોકો એવા છે જેઓએ વેક્સિનનો એકપણ ડોઝ નથી લીધો.
આઠ દિવસમાં 18744 ટેસ્ટ કરાયા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રીજી લહેરની આશંકાને પગલે છેલ્લા 11 દિવસમાં કોરોનાના 18 હજારથી વધારે ટેસ્ટ કરવામાં આવ્યા છે, જો કે એકપણ પોઝિટિવ કેસ આવ્યો નથી.આરોગ્ય વિભાગે કરેલા ટેસ્ટ તારીખ પ્રમાણે જોઇએ તો
તારીખ – ટેસ્ટ
2 – 2576
3 – 2591
4 – 2730
5 – 2058
6 – 1101
7 – 2871
8 – 2478
9 – 2339
પુરજોશમાં ચાલી રહ્યું છે વેક્સિનેશન રાજકોટ શહેરમાં વેક્સિનેશન પુરજોશમાં ચાલી રહ્યું છે.શહેરમાં અત્યાર સુધીમાં પ્રથમ ડોઝમાં વસતીના 95 ટકા અને બીજા ડોઝમાં વસતીના 45 ટકા વેક્સિન આપી દેવામાં આવી છે.જો સંખ્યાની દ્રષ્ટિએ જોઇએ તો અત્યાર સુધીમાં 10.93 લાખ લોકોની જનસંખ્યા સામે 10,22,760 લોકોએ પ્રથમ ડોઝ જ્યારે 5,62,952 લોકોએ બીજો ડોઝ લઇ લીધો છે,અત્યાર સુધીમાં 71231 લોકો એવા છે જેઓએ વેક્સિનનો એકપણ ડોઝ લીધો નથી.
રાજકોટ શહેરમાં પ્રથમ ડોઝનું રસીકરણ લગભગ પૂર્ણતાના આરે છે, પરંતુ બીજા ડોઝનું રસીકરણ ધીમું ચાલી રહ્યું છે. તેની પાછળ 84 દિવસની સમય મર્યાદા અને વેક્સિનનો અપૂરતો જથ્થો પણ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. શહેરમાં કોવિશિલ્ડ વેક્સિનનો જથ્થો મર્યાદિત આવે છે જેના કારણે લોકોને વેક્સિન મળવામાં મુશ્કેલી પડી રહી છે.
આ પણ વાંચો : કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયે ભાવિના પટેલને 8 લાખનું રોકડ ઇનામ આપ્યું
આ પણ વાંચો : PM MODIએ સરદારધામનું વર્ચ્યુઅલ લોકાર્પણ અને કન્યા છાત્રાલયનું ઇ-ભૂમિપૂજન કર્યું