સાંસદ રામ મોકરિયા Vs રૂપાણી જુથ, રાજકોટ ભાજપ બન્યું વિવાદનું કેન્દ્ર
૨૦મી નવેમ્બરે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન થયું હતુ. જોકે વિજય રૂપાણીનું સ્થાન બાકાત રહેતા આખો વિવાદ થયો હતો.
મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ પદભાર છોડ્યાં બાદ રાજકોટ ભાજપમાં જુથવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે તેના મૂળમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા છે.છેલ્લા ઘણાં સમયથી રામ મોકરિયા શહેર ભાજપમાં એન્ટ્રી કરીને સક્રિય રીતે જોડાયેલા છે અને રૂપાણી જુથના મનાતા શહેર ભાજપ પ્રમુખ સહિતના નેતાઓ સામે ખુલ્લો મોરચો ખોલ્યો છે.વાત એટલે સુધી કે રામ મોકરિયાએ શહેર ભાજપ દ્રારા તેને માન સન્માન આપવામાં ન આવતું હોવાની પ્રદેશ કક્ષાએ ફરિયાદ કરી હતી અને પ્રદેશની સૂચનાથી ભાજપ કાર્યાલયના પ્રથમ માળે રામ મોકરિયાને ઓફિસ ફાળવવામાં આવી.
આ પ્રથમ વિવાદ નથી અગાઉ પણ રામ મોકરિયા અનેક વિવાદોમાં આવી ચૂક્યા છે જો વિવાદોની વાત કરવામાં આવે તો..
રામ મોકરિયા અને વિવાદ
૧.વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદ છોડ્યાં બાદ રામ મોકરિયા થયાં શહેર ભાજપમાં સક્રિય ૨.રામ મોકરિયા સાંસદ થયા બાદ તેઓનું સન્માન કરવામાં ન આવ્યું,તેને લઇને વિવાદ ૩.શહેર ભાજપ પ્રમુખ સહિત અગ્રણીઓ વિશે રામ મોકરિયાની જાહેરમાં ટિપ્પણીઓ. ૪.રૂપાણી જુથના દબદબાવાળી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રામ મોકરિયાની એન્ટ્રી,કુલપતિ અને ઉપકુલપતિ સાથે બંધ બારણે બેઠક ૫.શહેર ભાજપની બેઠકમાં રામ મોકરિયાએ કાર્યકર્તાઓ મને મળતા ડરી રહ્યા હોવાનો આક્ષેપ કરીને શહેર ભાજપ પર નિશાન સાંધ્યું,જેથી કાર્યાલયમાં ઓફિસ ફાળવવામાં આવી ૬.સી.આર.પાટીલના રાજકોટના બે કાર્યક્રમોની પત્રિકામાં વિજય રૂપાણીનું નામ બાકાત રખાયું. ૭.ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં જાહેર મંચ પર વિજય રૂપાણી સાથે બોલાચાલી.
રામ મોકરિયાને પોરબંદરના કાર્યકર ગણવામાં આવતા હતા
પ્રદેશ ભાજપના હોદ્દેદારો દ્રારા રામ મોકરિયાની સતત અવગણના કરવામાં આવતી હોવાની રામ મોકરિયાએ રજૂઆત કરી હતી.રામ મોકરિયાએ પ્રદેશ ભાજપને કહ્યું હતું કે શહેર ભાજપના હોદ્દેદારો તેને પોરબંદરના કાર્યકર્તા ગણી રહ્યા છે જેના આધારે રાજકોટના કોઇ કાર્યક્રમમાં તેમને મહત્વ આપવામાં આવતું નથી.એટલું જ નહિ તેને સાંસદ તરીકેનું સ્થાન આપતા પણ અગ્રણીઓ અચકાય રહ્યા છે.ગુજરાતમાં સત્તાનું સમીકરણ બદલાયું અને રામ મોકરિયા ખુલ્લી રીતે શહેર ભાજપના હોદ્દેદારો વિરુધ્ધ પડ્યા છે.
પ્રદેશ ભાજપ સુધી પહોંચ્યો રાજકોટનો જુથવાદ
૨૦મી નવેમ્બરે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન થયું હતુ. જોકે વિજય રૂપાણીનું સ્થાન બાકાત રહેતા આખો વિવાદ થયો હતો. જેના કારણે આ કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો અને આખો વિવાદ પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યો છે.અને પાટીલે જુથવાદ ચલાવી લેવામાં નહિ તેવું નિવેદન કર્યું છે ત્યારે ક્યાં પ્રકારનો જુથવાદ થાય છે તે જોવાનું રહ્યું.