રાજકોટમાં ઇ-મેમો માટે લોક અદાલત યોજાઈ, 15000 કેસમાંથી માત્ર 200 લોકો જ આવ્યાં
લોક અદાલતમાં ડિસ્ટ્રીક્ટ જ્જ યુ. ટી. દેસાઈએ કહ્યું કે, જે વાહનચાલકોને ઇ મેમો માટે નોટિસ અપાઇ છે. જેના ચલણ 6 મહિના સુધીના છે તેના દંડ વસુલ કરાશે. જે વાહન ચાલકો દંડ ભરી દેશે તેના કેસનો નિકાલ કરાશે.
રાજકોટ (Rajkot) જિલ્લા કાનૂની સેવાસત્તા મંડળ તરફથી લોક અદાલત (Lok Adalat) નું આયોજન કરાયું હતું. આજે લોક અદાલતમાં 15 હજાર કેસ મુકવામાં આવ્યા હતા. જોકે ઇ મેમો (e-memo) ભરવા માટે માત્ર 200 લોકો જ ઉપસ્થિત રહ્યા હતા. લોક અદાલતમાં ડિસ્ટ્રીક્ટ જ્જ યુ. ટી. દેસાઈએ કહ્યું કે, જે વાહનચાલકોને ઇ મેમો માટે નોટિસ અપાઇ છે. જેના ચલણ 6 મહિના સુધીના છે તેના દંડ વસુલ કરાશે. જે વાહન ચાલકો દંડ ભરી દેશે તેના કેસનો નિકાલ કરાશે. સાથે જ કહ્યું કે ખોટા મેમો અપાયા હોય તેવા વાહનચાલકોએ પોલીસ સમક્ષ પોતાની અરજી કરવાની રહેશે. વાહનચાલકો પોલીસ સામે કાનૂની લડત પણ આપી શકે છે. વાહનચાલકને લાગે કે તે સાચા છે અને ખોટો મેમો આપવામાં આવ્યો છે તો તે કોર્ટમાં લડત લડી શકે છે. તેઓ આ માટે અરજી કરી શકે છે.
તો બીજી તરફ યુવા લોયર્સ એસોસિએશનના વકીલ હિમાંશુ પારેખે કહ્યું કે, લોક અદાલત ઇ મેમો મામલે નિષ્ફળ ગઈ છે. આ લોક અદાલતમાં બહુ ઓછા લોકો આવ્યા હતા. વાહનચાલકોની રજૂઆત સાંભળવામાં આવતી ન હોવાનો આક્ષેપ કર્યો હતો અને કહ્યું કે ઇ મેમો આપવાથી વાહનચાલક ગુનેગાર નથી થઈ જતો. વાહનચાલકોએ ગભરાવવાની જરૂર નથી. ઇ-મેમો આવ્યો હોય તો તે ભરી દેવો એ બરાબર વાત છે પણ જે મેમો વિવાદીત હોય છે તેમાં વાહનચાલકો લડત આપી શકે છે. તેમણે ડરવાની કોઈ જ જરૂર નથી.
હાઈકોર્ટમાં પણ જોયાઈ હતી લોક અદાલત
ગુજરાત હાઇકોર્ટ ઇતિહાસમાં સૌપ્રથમવાર કોઈ એક ખાસ આ બાબતને લઈ લોક અદાલત યોજી એકી સાથે મોટી સંખ્યામાં કેસનો નિકાલ લાવવાની પહેલી ઘટના બની છે. મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમારના વડપણ હેઠળ હકારાત્મક અભિગમ દાખવી પાછલા કેટલાક વર્ષોથી દસ્તાવેજી પ્રક્રિયામાં અટવાયેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું. રાજ્ય સરકાર યુનિવર્સિટી અને કોલેજ ના નિવૃત પ્રોફેસરો માટે પેન્શન ને લગતા કિસ્સાને લઈ ખાસ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 80 જેટલા કિસ્સાનો નિકાલ એક સાથે કરવામાં આવ્યો. ઉપરાંત સૌથી મોટી વાત એ છે કે જે અરજદારો કોર્ટ સમક્ષ નથી આવ્યા, તેમને પણ આવનાર દિવસોમાં ઝડપથી પેન્શન કરવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે.