Rajkot: વરસાદી ઝાપટાએ પ્રિમોન્સૂન કામગીરી પર ઊભા કર્યા સવાલ, વોકળાનું પાણી રસ્તા પર ફરી વળ્યુ
મંગળવારે રાજકોટમાં (Rajkot) સાંજે અડધો ઈંચ વરસાદ (Rain) ખાબક્યો હતો. જેના કારણે શહેરમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. તો રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા. તો નદી-નાળા છલકાઇ ગયા છે.
રાજકોટ (Rajkot) શહેરમાં ચોમાસાની (Monsoon 2022) તૈયારીનો સમય આવી ચુક્યો છે પણ રાજકોટ મહાનગર પાલિકા (RMC) ઘોર નિદ્રામાં છે. મંગળવારે અચાનક જ વરસાદ પડ્યો અને પાલિકાનો શેખચલ્લી જેવો પ્રિ-મોન્સૂનનો (Pre-monsoon) પ્લાન પલળી ગયો અને રાજકોટ મહાનગરપાલિકાના દાવાઓ ઉંધા પડી ગયા. લોકોએ અને વિપક્ષે બૂમરાણ મચાવી ત્યારે નિરાંતે ઉંઘી ગયેલા અધિકારીઓને જ્ઞાન થયું કે પ્રિ-મોન્સૂન કામગીરી જેવું પણ કંઈ કરવાનું હોય છે.
અડધા ઇંચ વરસાદે મનપાની કામગીરીની પોલ ખોલી
મંગળવારે રાજકોટમાં સાંજે અડધો ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે શહેરમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. તો રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા. તો નદી-નાળા છલકાઇ ગયા છે. જો કે રાજકોટમાં અડધો ઈંચ વરસાદ શું પડ્યો, રાજકોટ મહાનગરપાલિકાનો પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ. રાજકોટમાં પ્રિ-મોન્સૂનની કામગીરી હજી પણ ગોકળગાયની ગતિથી ચાલી રહી છે. શહેરના અનેક નાળાઓ છે જેની સાફસફાઈ હજી નથી થઈ. તો સાથે જ શહેરના રાજમાર્ગો પર તોતિંગ વૃક્ષો રસ્તા પર નમીને ઉભા છે, જે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. નાળાઓની સફાઈ ન થઈ હોવાના કારણે રસ્તા અને સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા હતા. છતાં પાલિકા તો સબ સલામતના દાવાઓ જ કરે છે.
વિરોધ પક્ષના આક્ષેપ
આ તરફ રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા પ્રવીણ સોરાણીએ આક્ષેપ કર્યો છે કે મહાનગરપાલિકાના શાસકો પછાત વિસ્તારો સાથે ઓરમાયું વર્તન કરી રહ્યા છે. માત્ર અડધા ઇંચ વરસાદમાં અહીં વોકળાનું પાણી રસ્તા પર આવી જતું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે.
મેયરનો તમામ કામગીરી કર્યાનો દાવો
આ તરફ રાજકોટના મેયરનો દાવો છે કે પ્રિ-મોન્સૂન કામગીરીને લઇને તંત્ર એલર્ટ છે, શહેરમાં વિસ્તારો પ્રમાણે કામગીરી સોંપી દેવામાં આવી છે. તેમનું કહેવું છે કે શહેરના જે રસ્તાઓ બનાવવાનું કે સમારકામનું કામ બાકી છે, તે 15 જૂન પહેલા પૂર્ણ કરવામાં આવશે.
વરસાદ પડ્યા પછી શહેરની સ્થિતિ જોતા જ હકીકત સામે આવી રહી છે. વિપક્ષનો અને સ્થાનિકોનો પણ આક્ષેપ અને આક્રોશ છે. છતાં મેયર અને વહીવટી તંત્ર નિશ્ચિંત છે ત્યારે લોકોની માગ છે કે કમસે કમ અધિકારીઓ અને શાસકો હવે જાગીને વાતોના વડાં કર્યા વગર નક્કર કામગીરી કરે તો લોકોની ચોમાસામાં હાડમારી ન ભોગવવી પડે.