Rajkot: આંગડિયા પેઢીના કર્મચારીએ લૂંટનો કારસો રચ્યો, મદદ કરનાર મિત્રના પોલીસને જોઈને ઉડી ગયા હોંશ
સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક બે અજાણ્યા શખ્સોએ તેની પાસેથી રૂપિયાની લૂંટ (Robbery) ચલાવી. આ અંગે જ્યારે પોલીસે તપાસ કરી અને આસપાસના સીસીટીવી કેમેરાની ચકાસણી કરતા આવો કોઈ જ બનાવ ન બન્યો હોવાનું પોલીસના ધ્યાને આવ્યું.
Rajkot: રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળવારે સાંજના સમયે સંજય ભીમાણી (Sanjay Bhimani) નામના યુવકે પોલીસને પોતાની સાથે 30 લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાની રજૂઆત કરી, જેના આધારે પોલીસ દોડતી થઈ ગઈ. સંજય ભીમાણીએ પોલીસને કહ્યું હતુ કે તે પોતે બાલાજી હોલ નજીક આવેલી એસ.જી એન્ટરપ્રાઈઝ નામની આંગડિયા પેઢીનો કર્મચારી છે અને તેના માલિક નિલેશ ભાલોડિયાએ તેને બેંકમાંથી 30 લાખ રૂપિયા ઉપાડવા માટે આપ્યા હતા.
જો કે સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક બે અજાણ્યા શખ્સોએ તેની પાસેથી રૂપિયાની લૂંટ (Robbery) ચલાવી. આ અંગે જ્યારે પોલીસે તપાસ કરી અને આસપાસના સીસીટીવી કેમેરાની ચકાસણી કરતા આવો કોઈ જ બનાવ ન બન્યો હોવાનું પોલીસના ધ્યાને આવ્યું. જે બાદ પોલીસે સંજયની પુછપરછ શરૂ કરતા તે ભાંગી પડ્યો હતો અને તેને લૂંટનું તરકટ રચ્યું હોવાની કબુલાત આપી હતી. જેના આધારે પોલીસે આંગડિયા પેઢીના માલિક નિલેશ ભાલોડિયાની ફરિયાદના આધારે સંજયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી.
પોલીસને જોતા જ સંજયના મિત્રએ કરી આત્મહત્યા
આ બનાવમાં પોલીસે સંજય પાસેથી રૂપિયાની રીકવરી કરી રહી હતી. આ દરમિયાન સંજયે 30 લાખ રૂપિયા તેના પિતરાઈ ભાઈને આપ્યા હતા અને પિતરાઈ ભાઈએ તેની સાથે કારખાનામાં આવતા કેતન નામના વ્યક્તિને આપ્યા હોવાનું સામે આવતા પોલીસ જ્યારે નવાગામ ખાતે આવેલી કેતનભાઈની ભઠ્ઠીએ આ રૂપિયા લેવા માટે પહોંચી, ત્યારે પોલીસને જોઈને કેતન ડરી ગયો હતો અને તેને પોતાના કારખાનામાં પોલીસની હાજરીમાં જ એસિડ પી આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી.
પોલીસે તાત્કાલિક તેને સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા હતા અને જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. કેતનભાઈના બનેવીએ આ અંગે કહ્યું હતુ કે તેઓ અને તેના પરિવારજનો સંજય ભીમાણીને જાણતા નથી, તેના પિતરાઈ ભાઈ સાથે કોઈ સંપર્ક હોય શકે છે, ત્યારે કેતનભાઈને રૂપિયા શા માટે આપવામાં આવ્યા તે અંગે તપાસ કરવી ખૂબ જ જરૂરી છે.
લોનના હપ્તા ચૂકવવા રચ્યું તરકટ
રાજકોટના ડ઼ીસીપી મનોહરસિંહ જાડેજાના કહેવા પ્રમાણે લૂંટના આ તરકટમાં કેતન કંઈ જાણતો હતો કે નહીં તે તપાસનો વિષય છે, પરંતુ લૂંટ કરાયેલા રૂપિયા તેની પાસે હતા. જેથી પોલીસ તે રિકવર કરવા માટે પહોંચ્યા હતા. સંજય આ આંગડિયા પેઢીમાં ગત 1 તારીખથી જ જોડાયો હતો અને તેને લોનના હપ્તા ચડી ગયા હતા, જેથી આ લૂંટનું તરકટ રચ્યું હોવાની તેને પોલીસને કબુલાત આપી છે. હાલ તો પોલીસને ગુમરાહ કરવા અને આંગડિયા પેઢીના રૂપિયાની ચોરીના ગુનામાં પોલીસે સંજય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
આ પણ વાંચો: NIA દ્વારા નકલી ચલણી નોટના તસ્કરની કરાઈ ધરપકડ, નકલી ચલણી નોટના મોટા નેટવર્કનો થઈ શકે છે ખુલાસો