ચિરાગ બન્યો ચાર્મી ! રાજકોટમાં ટ્રાન્સજેન્ડરને સૌપ્રથમ ઓળખકાર્ડ અપાયું
જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ ચિરાગ ઉર્ફે ચાર્મીને હિંમત આપતા કહ્યું હતું કે સમાજના અન્ય લોકોની જેમ ટ્રાન્સજેન્ડરને પણ જીવવાનો હક છે. જિલ્લા કલેક્ટરે ચિરાગને તમામ પ્રકારની સરકારી સહાય પુરી પાડવાની બાહેંધરી આપી હતી.
મહાભારત સમયના યુગમાં ભિષ્મ પિતામહનો વધ કરનાર શિખંડીનું નામ આજે પણ આદરપૂર્વક લેવાય છે. તેજ રીતે અજ્ઞાતવાસ દરમિયાન શ્રેષ્ઠ બાણાવણી અર્જુન (બ્રુહનલા) નું ચરીત્ર પણ જાણીતું છે. પરંતુ સમયના વહેણ સાથે પરિવર્તનશીલ સમાજમાં ટ્રાન્સજેન્ડર પ્રત્યે આઘાતજનક વર્તન અને અણગમો દર્શવાઇ રહ્યો છે. પરીવાર અને સમાજ તરફથી તિરસ્કૃત થવાને કારણે આવા લોકોમાં સમાજ પ્રત્યે નકારાત્મક ભાવનાઓ જન્મે છે.
ખાસ કરીને ટ્રાન્સજેન્ડર વ્યક્તિના પરીજનોની મનોદશા અને વ્યથા હદયદ્રાવક અને કરૂણાસભર હોય છે. પરંતુ સમાજની આ મનોદશામાં હવે સકારાત્મક પરિવર્તનનો પવન ફુંકાઇ રહ્યો છે. જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ ચિરાગ ઉર્ફે ચાર્મીને ટ્રાન્સજેન્ડર પ્રમાણપત્ર આપી તેને માનસિક સધિયારો પણ પૂરો પાડ્યો હતો. આ ઓળખ કાર્ડથી સમાજમાં ટ્રાન્સજેન્ડર્સને પણ અન્ય લોકોની જેમ જીવન જીવવાનો હક્ક મળ્યો છે.
ટ્રાન્સજેન્ડરને જીવન જીવવાનો હક છે – કલેક્ટર
જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ ચિરાગ ઉર્ફે ચાર્મીને હિંમત આપતા કહ્યું હતુ કે સમાજના અન્ય લોકોની જેમ ટ્રાન્સજેન્ડરને (Transgender) પણ જીવવાનો હક છે. જિલ્લા કલેક્ટરે ચિરાગને તમામ પ્રકારની સરકારી સહાય પુરી પાડવાની બાંહેધરી આપી હતી.
ચિરાગ ઉર્ફે ચાર્મીને ટ્રાન્સજેન્ડરનું સર્ટીફિકેટ મળતા તેના પિતા જેન્તીભાઇ મકવાણાએ ખુશી વ્યક્ત કરી હતી. તેઓએ વધુમાં કહ્યું હતુ કે અમારે બે સંતાનો છે. નાનો બાબો ચિરાગ ટ્રાન્સજેન્ડર હોવા છતાં મારા માટે બંને સંતાનો એક સમાન છે. અમારા પરિવારે તેમના વચ્ચે કયારેય કોઈ ભેદભાવ રાખ્યા નથી. આપણે ચિરાગને તિરસ્કાર નહીં પરંતુ પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ.
ચિરાગ જયારે 12 વર્ષનો હતો ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તેનામાં સ્ત્રી તરીકેના માનસિક તેમજ શારીરિક ફેરફાર થવા લાગ્યા હતા. તેમના પિતાએ એક વર્ષ જેટલો સમય ચિરાગની સારવાર કરાવી, પરંતુ ડોક્ટર્સ દ્વારા તેઓને તેમનું બાળક ટ્રાન્સજેન્ડર છે તેમ જણાવ્યું ત્યારે તેમના પરિવારજનો અને આસપાસના રહેવાસીઓએ આ વાત હિંમતપૂર્વક સ્વીકારી અને જરૂરી સાથ સહકાર પૂરો પાડ્યો.
ચાર્મીને ફેશન ડિઝાઇનર બનવાની ઇચ્છા
11 ધોરણ સુધી ભણેલ ચિરાગ હાલ 20 વર્ષનો છે. તેને ઉચ્ચ અભ્યાસ સાથોસાથ ફેશન ડિઝાઈનર બનવાની મહેચ્છા છે. ચિરાગને મિત્રો પણ છે અને તેમની સાથે હરવા ફરવા જવું તેમજ રેસ્ટોરન્ટમાં જમવા પણ જાય છે.
રાજ્ય સરકાર ઓળખ કાર્ડ સાથે સરકારી સહાય પણ ચૂકવે છે
સમાજ સુરક્ષા વિભાગના અધિકારી મેહુલ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના નવા કાયદા મુજબ ટ્રાન્સજેન્ડર્સને આઈ.ડી. કાર્ડ ઈશ્યુ કરવામાં આવી રહ્યા છે, જેના દ્વારા તેઓ તેમની ઓળખ આપી શકશે અને તેઓ ગરિમાપૂર્ણ માનવ જીવન વ્યતિત કરી શક્શે. આઈ.ડી.કાર્ડ માટે તેઓને ડોકટરી સર્ટિફિકેટ આપવું જરૂરી હોઈ છે. સરકાર દ્વારા તેઓને પેન્શન સહાય અર્થે રૂ. 1000 ની રકમ પુરી પાડવામાં આવે છે.