RAJKOT : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી, ત્વરિત સર્વે કરવાના આદેશ આપ્યા
મુખ્યપ્રધાને રાજકોટ ખાતે અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત પામેલ વિસ્તારની મુલાકાત લીધી હતી તથા સ્થળ પર જ વિગતે જાણકારી લઈ જનજીવન સામાન્ય બને તેની સંબંધિત સૂચના તંત્રને આપી હતી.
RAJKOT : રાજ્યમાં 13 સપ્ટેમ્બરે રાજકોટ અને જામનગરમાં પડેલા ભારે વરસાદે તારાજી સર્જી હતી. આજે 14 સપ્ટેમ્બરે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પહેલા જામનગર અને બાદમાં રાજકોટની મુલાકાત લીધી હતી. મુખ્યપ્રધાને આ બંને જિલ્લાઓમાં વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને ત્વરિત સર્વે કરવાના આદેશ આપ્યા છે. પહેલા જામનગરમાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ રાજકોટ પહોંચ્યા હતા. ખરાબ હવામાનને કારણે જામનગરથી રાજકોટ કારમાં પહોંચ્યા હતા.મુખ્યપ્રધાને અસરગ્રસ્તોની મુલાકાત બાદ કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજી હતી અને ત્યારબાદ પત્રકાર પરિષદને સંબોધી હતી.
સમીક્ષા બેઠક બાદ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કહ્યું કે કલેકટર, મ્યુનિસિપલ કમિશ્નર અને પોલીસ કમિશ્નર આ ત્રણેયે સાથે મળી ટીમ બનાવી જે રીતે કામ કર્યું છે એનાથી મોટું નુકસાન થતા બચી ગયું છે. આ સાથે જ મુખ્યપ્રધાને મેયર, ધારાસભ્યો, સાંસદ અને કોર્પોરેશનના હોદ્દેદારોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યપ્રધાને કહ્યું કે રાજકોટ શહેર કરતા ગામડામાં 25 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને એના કારણે 3306 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને આમાંથી આજે વરસાદનું પાણી ઓસરી ગયું હોવાથી મોટાભાગના લોકો પોતાના ઘરે જઈ ચુક્યા છે. 3 લોકોના મૃત્યુ પણ થયા છે. 82 જેટલા ગામોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો, જેમાંથી માત્ર 3 ગામોમાં વીજ પુરવઠો ફરી યથાવત કરવાનો બાકી છે, બાકીના તમામ ગામોમાં વીજપુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે.
વરસાદથી થયેલી નુકસાની અંગે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કહ્યું કે સર્વે માટેની ટીમ નક્કી થઇ ગઈ છે અને જેટલી જલ્દી સરવે થશે એટલું જ ઝડપથી કામ કરવામાં આવશે. એમણે કહ્યું કે કાલે સર્વે પૂર્ણ થાય તો કાલે અને પછીના દિવસે સર્વેપૂર્ણ થાય તો ત્યારે પણ, તાવારિત સર્વે કરવાના આદેશો આપી દેવામાં આવ્યાં છે.
રાજકોટ ખાતે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત અંગે મુખ્યપ્રધાને ટ્વીટ કરતા લખ્યું, ” રાજકોટ ખાતે અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત પામેલ વિસ્તારની મુલાકાત લીધી હતી તથા સ્થળ પર જ વિગતે જાણકારી લઈ જનજીવન સામાન્ય બને તેની સંબંધિત સૂચના તંત્રને આપી હતી.”
રાજકોટ ખાતે અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત પામેલ વિસ્તારની મુલાકાત લીધી હતી તથા સ્થળ પર જ વિગતે જાણકારી લઈ જનજીવન સામાન્ય બને તેની સંબંધિત સૂચના તંત્રને આપી હતી. pic.twitter.com/nbqh21i1AC
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 14, 2021
આ પણ વાંચો : JAMNAGAR : વરસાદથી થયેલા નુકસાનના નિરીક્ષણ બાદ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની પત્રકાર પરિષદ, જાણો સહાય અંગે શું કહ્યું