100 કરોડના ખર્ચે બનશે રાજપૂત સમાજના કુળદેવી ભવાની માતાજીનું ભવ્ય મંદિર, લીંબડી નજીક થશે મંદિરનું નિર્માણ
100 કરોડના ખર્ચે રાજપૂત સમાજના કુળદેવી ભવાની માતાજીનું લીંબડી નજીક ભવ્ય મંદિર બનશે. ખોડલધામ અને સોમનાથ મંદિરની ડિઝાઇન મુજબ આ મંદિર બનશે.
રાજકોટ-અમદાવાદ હાઇ વે પર આવેલા લીંબડી નજીક સમસ્ત રાજપૂત સમાજના કુળદેવી ભવાની માતાજીનું ભવ્ય મંદિર આકાર પામશે. 100 કરોડના ખર્ચે તૈયાર થનાર આ ભવ્ય મંદિર રાજપૂત સમાજની (Rajput community) આસ્થાનું કેન્દ્ર બનશે. સાથે સાથે સામાજિક પ્રવૃતિઓને પણ વેગ મળે તેવું આયોજન થઇ રહ્યું છે.
ખોડલધામ અને સોમનાથ મંદિરની ડિઝાઇન મુજબનું આ મંદિર થાય તેવો સંકલ્પ કરવામાં આવ્યો છે અને આ માટે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાના (Vajubhai Vala) અધ્યક્ષસ્થાને રાજપૂત સમાજના અગ્રણીઓની એક બેઠક પણ મળી હતી. જેમાં પૂર્વ મંત્રી જશાભાઇ બારડ, માવજીભાઇ ડોડિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
40 વિઘામાં બનશે મંદિર, કામગીરી શરૂ કરાઇ રાજપૂત સમાજના અગ્રણી માવજીભાઇ ડોડિયાના કહેવા પ્રમાણે સાયલા તાલુકાના લખતર ગામ નજીક 40 વિઘામાં આખું કેમ્પસ તૈયાર થવાનું છે. સમાજના અગ્રણીઓ દ્વારા આ અંગે તમામ ચર્ચાઓ કરવામાં આવી છે. નવી શરતની જગ્યાની ખરીદી કર્યા બાદ હાલમાં ત્યાં લેવલીંગનું કામ ચાલી રહ્યું છે અને ત્યારબાદ જરૂરિયાત મુજબ આગળ કામગીરી શરૂ કરવામાં આવશે.
આ અંગે આગામી દિવસોમાં રાજપૂત સમાજમાં આવતા તમામ 18 ફિરકાઓને સાથે રાખીને મંદિરનું નિર્માણ કરવામાં આવશે અને તમામ ફિરકાઓનું સંગઠન તૈયાર કરીને નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે, જે આગામી ત્રણ ચાર વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.
મંદિરની સાથે શૈક્ષણિક સંકુલ બનાવાશે રાજપૂત સમાજ પહેલા ચોટીલા નજીક 5 વિઘા જમીનમાં મંદિર નિર્માણ કરવાનું આયોજન કર્યું હતુ. જો કે ત્યારબાદ સમાજના આગેવાનોએ આ ઘામમાં શૈક્ષણિક સંકુલ બનાવવાનું આયોજન કર્યું. હાલમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં રાજપૂત સમાજના યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવામાં આવે છે.
ગુજરાતભરના રાજપૂત સમાજના વિધાર્થીઓને ત્યાં રહેવા જમવાની અને અભ્યાસની વ્યવસ્થા ઉભી થાય અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની પણ તૈયારી કરી શકે તે માટે શૈક્ષણિક સંકુલ તૈયાર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
મંદિર કોઇ શક્તિપ્રદર્શન નહિ, સમાજ પ્રત્યેનું ઉત્તરદાયીત્વ છે-વજુભાઇ વાળા
માવજીભાઇ ડોડિયાના કહેવા પ્રમાણે રાજપૂત સમાજના કુળદેવીનું ભવ્ય મંદિર બનવું તે વજુભાઇ વાળાની પરીકલ્પના હતી. છેલ્લા 10 વર્ષથી તેઓ આ અંગે ચિંતીત હતા જો કે વચ્ચે તેઓ રાજ્યપાલ બન્યા, પરંતું ત્યાં બેસીને પણ તેઓએ મંદિર નિર્માણની વ્યવસ્થાઓ કરી છે. 100 કરોડના ખર્ચે તૈયાર થનાર આ મંદિર હવે વજુભાઇ વાળાની આગેવાનીમાં બનશે અને તેનો ફાળો પણ કરવામાં આવશે.
વજુભાઇ વાળાએ આ અંગે કહ્યું હતુ કે, આ મંદિર કોઇ શક્તિ પ્રદર્શન નથી કે તેને રાજકારણ સાથે કોઇ લેવા દેવા છે. પરંતુ આ મંદિર સમાજની એકતાનું પ્રતિક બનશે અને સમાજ પ્રત્યેનું ઉત્તરદાયીત્વ છે.
આ પણ વાંચો : NASA નું આ ટેલિસ્કોપ સૂર્યમંડળના ‘જુડવા ભાઈ’ પર રાખશે નજર, પૃથ્વીથી 63 પ્રકાશવર્ષ છે દૂર