કૌભાંડની યુનિવર્સિટી? માટી કૌભાંડ બાદ ગાર્ડનિંગ કામમાં કૌભાંડનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પર આક્ષેપ
ગાર્ડનિંગના કામ પાછળ 6 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, જે અયોગ્ય હોવાનો નિદત બારોટે આક્ષેપ લગાવ્યો છે. વધુમાં નિદત બારોટે કહ્યું હતુ કે યુનિવર્સિટી દર વર્ષે 20 લાખ રૂપિયાનો ખર્ચ કરે છે.
અનેકવિદ કૌભાંડો (Scam)થી ખરડાયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Sautashtra University) સામે માટી કૌભાંડ (Soil Scam) બાદ વધુ એક કૌભાંડનો આક્ષેપ થયો છે. કોંગ્રેસના નેતા નિદત બારોટે (Nidat Barot) માટી કૌભાંડ બાદ ગાર્ડનિંગના કામમાં કૌભાંડ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને આ માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને તપાસની માંગ કરી છે.
નિદત બારોટે લખેલા પત્રમાં જણાવ્યું હતું કે નેક કમિટીના મૂલ્યાંકન વખતે 1 કરોડ રૂપિયાના કામો થયાં, જેમાં અનેક કામો ટેન્ડર વગર થયા છે. આ પૈકી ગાર્ડનિંગના કામ પાછળ 6 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, જે અયોગ્ય હોવાનો નિદત બારોટે આક્ષેપ લગાવ્યો છે. વધુમાં નિદત બારોટે કહ્યું હતુ કે યુનિવર્સિટી દર વર્ષે 20 લાખ રૂપિયાનો ખર્ચ કરે છે.
ત્યારે આ જ કામ માટે આટલો ખર્ચો અયોગ્ય છે. ફુલ, છોડના રોપા, કુંડા અને બ્યુટીફિકેશન માટે આટલી રકમ મંજુર કઈ રીતે થઈ તે એક સવાલ છે. એટલું જ નહીં 1 લાખ રૂપિયાથી વધુના કામોમાં ટેન્ડર ફરજીયાત હોય છે, ત્યારે આ કામો વગર ટેન્ડરે કરવામાં આવ્યા છે અને દરેક કામોમાં 1 લાખથી ઓછી રકમ થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે.
તમામ આક્ષેપો પાયાવિહોણા છે: ઉપકુલપતિ
આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણી (Dr. Vijay Desani)એ આ તમામ આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા હતા. યુનિવર્સિટીનો બચાવ કરતા દેસાણીએ કહ્યું હતુ કે નેક કમિટીના કામોમાં ખરીદી માટે કમિટીની રચના કરવામાં આવી છે. ગાર્ડનિંગનું કામ માત્ર રોપા-છોડ પુરતું નથી.
પરંતુ યુનિવર્સિટીના તમામ ભવનોમાં કુંડા અને તેના બ્યુટીફિકેશનનું કામ કરવામાં આવ્યું છે. તમામ ખર્ચ કમિટીની અધ્યક્ષતામાં અને સિન્ડીકેટની બેઠકમાં મંજૂરી લઈને જ મંજુર કરવામાં આવ્યો છે. આ અંગે કોઈ ફરિયાદ આવશે તો તેમાં તપાસ કરવામાં આવશે તેવો ઉપકુલપતિએ દાવો કર્યો હતો.
માટી કૌભાંડમાં જતીન સોનીની બેદરકારી: સૂત્ર
માટી કૌભાંડને લઈને યુનિવર્સિટી દ્વારા રચાયેલી તપાસ કમિટીની પ્રથમ બેઠક બુધવારે મળી હતી. જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ શારીરિક શિક્ષણના ડીન અને રજીસ્ટ્રાર જતીન સોનીની બેદરકારી સામે આવી છે. જતીન સોની દ્વારા સોંપાયેલા કામમાં માટીના ફેરાને લઈને વિસંગતતા તો છે જ પરંતુ તેની સાથે સાથે કામ પૂર્ણ થયા બાદ કોઈપણ સુપરવાઈઝર દ્વારા થયેલા કામની ચકાસણી કરવામાં આવી નથી, ત્યારે ચકાસણી કર્યા બાદ કઈ રીતે બિલ પાસ કરી દીધું તે એક સવાલ ઉભો થાય છે.
આ પણ વાંચો: Rajkot: સર્વર ઠપ્પ થતાં અરજદારો હેરાન, જાતિના દાખલા કઢાવવા માટે બહુમાળી ભવનમાં લાગી લાંબી લાઈનો