ફરિયાદ સંકલનની બેઠક બાદ કોંગ્રેસે કુંવરજી બાવળિયાને પક્ષમાં જોડવા પાથરી લાલ જાજમ, જાણો બાવળિયાએ શું આપ્યા જવાબ
રાજકોટ જિલ્લા માટેની ફરિયાદ સંકલનની બેઠકમાં કોંગ્રેસના ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા, પડઘરી ટંકારાના ધારાસભ્ય લલિત કગથરા અને વાંકાનેરના ધારાસભ્ય મહંમદ જાવેદ પિરજાદા જ્યારે ભાજપ તરફથી જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયા તથા રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખા સાગઠિયા ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુની અઘ્યક્ષતામાં આજે રાજકોટ જિલ્લા માટેની ફરિયાદ સંકલનની બેઠક મળી હતી જેમાં કોંગ્રેસના ધારાસભ્ય ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા (Lalit Vasoya) , પડઘરી ટંકારાના ધારાસભ્ય લલિત કગથરા (Lalit Kagathara) અને વાંકાનેરના ધારાસભ્ય મહંમદ જાવેદ પિરજાદા (Mohammad Javed Pirzada) ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ભાજપ તરફથી જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયા (Kunwarji Bawaliya) તથા રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખા સાગઠિયા (Lakha Sagathiya) ઉપસ્થિત રહ્યા હતા.
આ સંકલનની બેઠકમાં કુલ 32 જેટલા પ્રશ્નો પુછવામાં આવ્યા હતા જે પૈકી માત્ર એક કુંવરજી બાવળિયાએ 26 જેટલા પ્રશ્નો પુછતા સૌ કોઇ આશ્વર્યચકિત થયાં હતા.આ અંગે કોંગ્રેસે કહ્યું હતું કે કુંવરજી બાવળિયાના સંકલનની બેઠકમાં પ્રશ્નો જોઇને એવું લાગે છે કે અધિકારીઓ કામ કરતા નથી.કુંવરજીભાઇને કોંગ્રેસમાં આવવું હોય તો અમે લાલ જાજમ પાથરીશું.
વિપક્ષના ધારાસભ્ય હોય તે રીતે પ્રશ્નો પુછાયા-લલિત કગથરા
આ અંગે પડઘરી ટંકારાના કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું હતું કે કુંવરજી બાવળિયા વિરોધ પક્ષના ધારાસભ્યો હોય તે રીતે પ્રશ્નો તેમને પુછ્યા છે.લલિત કગથરાએ કહ્યું હતું કે સરકારની ઇચ્છાશક્તિનો અભાવ અને સ્ટાફનો અભાવ છે.રોડ રસ્તાના કામ મંજુર થઇ ગયા હોવા છતા પણ કામો ન થાય,ગ્રામ્ય વિસ્તારોમાં અનેક પ્રશ્નોના સમાધાન ન થાય,સૂર્યોદય યોજના અંતર્ગત ખેડૂતોને કનેકશન ન આપવામાં આવે આવા અનેક પ્રશ્નો હતા અને કુંવરજી બાવળિયાએ જે રીતે આ પ્રશ્નો ઉઠાવ્યા છે તે માટે હું કુંવરજી બાવળિયાને અભિનંદન આપુ છું.જો કુંવરજી બાવળિયા કોંગ્રેસમાં આવવા માંગતા હોય તો અમે લાલ જાજમ પાથરી રહ્યા છીએ.
હું મારા વિસ્તારમાં ફરુ છું માટે મારા પ્રશ્નો વધારે છે-બાવળિયા
આ અંગે કુંવરજી બાવળિયાએ કહ્યું હતું કે હું મારા મત વિસ્તારમાં ફરતો હોવ છું.ગ્રામ્ય સ્તરે શું જરૂરિયાત છે તેની મને ખબર છે.મારા મત વિસ્તારમાં જે કામો થઇ રહ્યા છે તેમાં વિભાગો વચ્ચે કોઇ વિસંગતતા ન રહે તે માટે સંકલનમાં કે જ્યાં બધા અધિકારીઓ ઉપસ્થિત હોવાથી આ પ્રશ્નોનું તાત્કાલિક સમાધાન થઇ જાય છે.હું મંત્રી હતો ત્યારે પણ સરકાર લેવલે અને જિલ્લા કલેક્ટર કક્ષાએ મારા પ્રશ્નોનું નિરાકરણ થતું હતું અને આજે પણ થાય છે.આ એક વહીવટી પ્રક્રિયા અને રૂટિન કામગીરી છે.
રાજકારણમાં હું સત્તા માટે નહિ સેવા માટે આવ્યો છું
કોંગ્રેસે કુંવરજી બાવળિયાને પક્ષમાં જોડાવા અંગે કરેલા નિવેદનના જવાબમાં બાવળિયાએ કહ્યું હતું કે હું રાજકારણમાં સેવા માટે આવ્યો છું.મારા માટે સત્તા નહિ મારા વિસ્તારના લોકોની સેવા મહત્વની છે.હું દલ અદલ બદલ કરું તેવો નેતા નથી.સિધ્ધાંતોથી વરેલો છું.જસદણ વિસ્તારમાં ભાજપ ટિકીટ આપશે કે કેમ તે અંગેના જવાબમાં બાવળિયાએ કહ્યું હતું કે પાર્ટી જે નિર્ણય કરશે તે મને મંજૂર છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ગરમીનો પારો વધવાની શરૂઆત , આગામી દિવસો માટે હવામાન વિભાગે કરી આ આગાહી