Rajkot : કેન્દ્ર સરકારના આ નિર્ણયનો સોની બજારના વેપારીઓમાં વિરોધ,હડતાલ કરવાની આપી ચીમકી
કેન્દ્ર સરકાર દ્રારા હોલમાર્ક ફરજીયાત કર્યો છે તે આદેશ યોગ્ય છે અને આ નિર્ણયથી વેપારીઓ અને ગ્રાહક વચ્ચે વિશ્વાસનો સેતુ બનશે પરંતુ તમામ દાગીનાઓમાં યુનિક નંબર લગાવવાથી સમયનો ખોટો વ્યય થાય છે
કેન્દ્ર સરકાર દ્રારા સોનાની ખરીદીમાં લોકો સાથે છેતરપિંડી ન થાય તે માટે સોનાના દાગીનામાં હોલમાર્ક ફરજીયાત કરવામાં આવ્યું છે.હોલમાર્કની સાથે સાથે હવે દરેક દાગીનામાં હોલમાર્ક યુનિક આઇડિટીફિકેશન નંબર લગાડવાનો નિર્ણય કર્યો છે જેને લઇને સોની વેપારીઓમાં વિરોધનો સૂર જોવા મળ્યો છે.
રાજકોટ સોની બજારના વેપારીઓના કહેવા પ્રમાણે દરેક દાગીનામાં યુનિક આઇડી લગાડવાની પ્રક્રિયાને અયોગ્ય અને બિનજરૂરી છે.વેપારીઓના કહેવા પ્રમાણે કેન્દ્ર સરકાર દ્રારા હોલમાર્ક ફરજીયાત કર્યો છે તે આદેશ યોગ્ય છે અને આ નિર્ણયથી વેપારીઓ અને ગ્રાહક વચ્ચે વિશ્વાસનો સેતુ બનશે પરંતુ તમામ દાગીનાઓમાં યુનિક નંબર લગાવવાથી સમયનો ખોટો વ્યય થાય છે જે કામ એક દિવસમાં થતું હતુ તે કામ આજે એક સપ્તાહ પછી પણ નથી થતું જેના કારણે કારીગરોને કામ મળતું નથી અને ઘંધાને બહું મોટી અસર પડી રહી છે.
નાના દાગીનાઓમાં યુનિક નંબર લગાડવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ હોવાનો સોની વેપારીઓ દાવો કરી રહ્યા છે તેમાં પણ રિટેઇલ વેપારીઓને આની સૌથી વધારે અસર પડી રહી છે.વેપારીઓએ દાવો કર્યો છે કે આગામી દિવસોમાં કોઇ નિર્ણય નહિ આવે તો આગામી દિવસોમાં દેશ વ્યાપી હડતાલ પાડી દેવામાં આવશે.
સરકાર પાસે કરી આ માંગો
સરકાર દ્રારા દાગીનામાં હોલમાર્ક યુનિક આઇડિટીફિકેશન નંબર લગાડવામાં છુટછાટ આપવી જોઇએ.સરકાર દ્રારા 40 કરોડથી ઓછા ટર્ન ઓવર ધરાવતા સોની વેપારીઓને હોલમાર્ક વાળા દાગીના વેંચવાની છુટ આપવી જોઇએ. હોલમાર્કથી તૈયાર થયેલા દાગીનામાં ફેરફાર કરવાની મર્યાદા 2 ગ્રામથી વઘારીને 5 થી 10 ગ્રામ કરવી જોઇએ.
2 ગ્રામ સુધીના ઘરેણાંમાં હોલમાર્ક ફરજીયાત નથી જે વધારીને 5 થી 10 ગ્રામ કરવું જોઇએ.યુનિક નંબર લગાડવામાં કોઇ ભૂલ થાય તો તેને સુધારવા માટે કોઇ વિકલ્પ નથી જેનું નુકસાન વેપારીએ ભોગવવું પડે છે જેથી તેને લઇને કોઇ નિર્ણય જાહેર કરવો જોઇએ..
23મી સુધી કોઇ નિર્ણય ન આવ્યો તો થશે હડતાલ
હોલમાર્કમાં રહેલી વિસંગતતાઓ દુર કરવા માટે કેન્દ્ર સ્તરે ટાસ્કફોર્સની રચના કરવામાં આવી છે..આ ટાસ્કફોર્સ દ્રારા સરકાર સાથે ચર્ચા કરવામાં આવી રહી છે અને પોતાની માંગ મૂકવામાં આવી છે.જો સરકાર દ્રારા કોઇ યોગ્ય નિરાકરણ કરવામાં નહિ આવે તો આગામી 23મી ઓગસ્ટના રોજ હડતાલ પાડવા સુધીનો નિર્ણય લેવામાં આવશે.રાજકોટ જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન દ્રારા 22 તારીખે પોતાનો નિર્ણય જાહેર કરવામાં આવશે અને ત્યાં સુધીમાં સરકાર સાથે વાટાધાટો કરવામાં આવશે..