Rajkot : સિવીલ હોસ્પિટલના વોર્ડમાં લીલા નાળિયેર નહિ લઇ જવાનો વિચિત્ર નિર્ણય પાછો લેવાયો
આ બોર્ડ લગાડવાનો હેતુ અન્ય કોઇ નહિ પરંતુ માત્ર સુરક્ષાનો હતો.વોર્ડમાં અનેક લોકો દ્રારા નાળિયેર પાણી પીને ખાલી નાળિયેર કોઇપણ સ્થળે ફેંકી દેવામાં આવે છે જેના કારણે ગંદકી થાય છે.
રાજકોટ(Rajkot )ની સિવીલ હોસ્પિટલ(Civil Hospital) ના ટ્રોમા સેન્ટરના પાંમમાં માળે પુરૂષ વોર્ડમાં લીલા નાળિયેર લઇ જવા પર પ્રતિબંઘ મૂકતો વિચિત્ર નિર્ણય કર્યો હતો અને આ નિર્ણયની લોકો અમલવારી કરે તે માટે વોર્ડ બહાર બોર્ડ પણ લગાડવામાં આવ્યું હતુ. જો કે ટીવી નાઇનમાં આ અહેવાલ પ્રકાશિત થતા તંત્રની આંખો ખૂલી હતી અને વોર્ડની બહારથી આ બોર્ડ તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યો હતો.
સુરક્ષાના કારણોસર લગાવાયું હતુ બોર્ડ-સિવીલ સિક્યુરીટી
સિવીલ હોસ્પિટલના સિક્યુરીટી ઇન્ચાર્જએ ટીવી નાઇન સાથેની વાતચીતમાં કહ્યું હતુ કે આ બોર્ડ લગાડવાનો હેતુ અન્ય કોઇ નહિ પરંતુ માત્ર સુરક્ષાનો હતો.વોર્ડમાં અનેક લોકો દ્રારા નાળિયેર પાણી પીને ખાલી નાળિયેર કોઇપણ સ્થળે ફેંકી દેવામાં આવે છે જેના કારણે ગંદકી થાય છે.એટલું જ નહિ સિવીલ હોસ્પિટલમાં અનેક લોકો આવતા હોય છે ત્યારે કોઇ વખત ઝધડો થાય અને આ નાળિયેર કોઇ વ્યક્તિને મારી દે તેનો ભય રહે છે જેથી આ નાળિયેર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પરંતુ હવે તે ઉઠાવી લેવામાં આવ્યો છે..
દર વર્ષે સફાઇ-સુરક્ષા માટે લાખોનો ખર્ચ તો આવું શા માટે-સામાજિક કાર્યકર
આ અંગે સામાજિક કાર્યકર રમેશ સભાયાએ સિવીલ તંત્ર પર સવાલ ઉઠાવતા કહ્યું હતુ કે રાજ્ય સરકાર સિવીલ હોસ્પિટલ તંત્ર દ્રારા દર વર્ષે સફાઇ અને સુરક્ષા માટે કરોડોના બજેટની ફાળવણી કરે છે ત્યારે વોર્ડમાં સાફ સફાઇની તેમની જવાબદારી છે તો તંત્ર આ પ્રકારના તદલખી નિર્ણય કેમ લે છે તે એક સવાલ છે.નાળિયેર પાણી એનર્જી ડ્રિંક છે ત્યારે દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે આવા નિર્ણયો ન કરવા જોઇએ.