Rajkot Corporation: RMCએ હરાજી કરેલા 118 કરોડના પ્લોટમાં માલિકી હકને લઇને ઉભો થયો વિવાદ
મહાનગરપાલિકા(Corporation)ના ઇતિહાસની આ સૌથી મોટી હરાજી(Auction) હતી જો કે હવે આ પ્લોટના માલિકી હકને લઇને વિવાદ શરૂ થયો
Rajkot Corporation: રાજકોટ મહાનગરપાલિકા દ્રારા થોડા સમય પહેલા નાનામૌવા સર્કલ પર આવેલા 11444 ચોરસ મીટરના પ્લોટ(Plot Auction)ની હરાજી કરવામાં આવી હતી અને મનપાને આ પ્લોટના 118 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ મળી હતી. મહાનગરપાલિકા(Corporation)ના ઇતિહાસની આ સૌથી મોટી હરાજી(Auction) હતી જો કે હવે આ પ્લોટના માલિકી હકને લઇને વિવાદ શરૂ થયો છે.
આ પ્લોટની કુલ જગ્યા પૈકી 800 ચોરસ મીટરના માલિક સંજયસિંહ જાડેજાએ કોર્ટમાં અરજી કરી છે જેમાં તેઓએ દાવો કર્યો છે કે આ જમીન રીઝર્વેશન હેઠળ આવતી હોવાથી મનપા વેચી શકે નહિ અને તેનો હેતુફેર પણ કરી શકે નહિ. કોર્ટમાં કરાયેલા દાવામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે હાલમાં આ જમીન ખેતીની જમીન છે અને આખો પ્લોટ બે અલગ અલગ માલિકોના નામે જ સરકારી ચોપડે બોલે છે..
આ અંગે આરટીઆઇ એક્ટિવીસ્ટ નાગજી ખૂંટે કહ્યું હતુ કે આ પ્લોટ જે તે સમયે રૂડા દ્રારા રિઝર્વેશન તરીકે લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ વિસ્તાર મનપામાં ભળ્યો છે તેથી તેના પાવર મહાનગરપાલિકા પાસે છે પરંતુ રિઝર્વેશન પ્લોટને જો ટીપીમાં આવરી લેવામાં આવ્યો હોય તો જ તેનો ઉપયોગ કરી છે પરંતુ મહાનગરપાલિકાએ આ પ્લોટને બિનખેતી કર્યા વગર જ વેંચી નાખ્યો છે.
એટલું જ નહી તેનો હેતુફેર કરીને આ જગ્યા કોમર્શિયલ પણ કરી નાખી છે.નાગજી ખૂંટે મનપા સામે સવાલ ઉઠાવતા કહ્યું છે કે મનપા દ્રારા આ પ્લોટ કઇ સત્તાના આધારે વેચાણ કરવામાં આવ્યું.નિયમ પ્રમાણે જો આ પ્લોટની માલિકી સોંપવાની હોય તો મૂળ માલિકને સોંપવી જરૂરી છે..મૂળ માલિક દ્રારા હરાજી પહેલા પણ નોટીસ આપવામાં આવી હતી અને આ હરાજીને અયોગ્ય ગણાવી હતી જો કે તેની દરકાર ન લેતા હવે કોર્ટ કાર્યવાહી થઇ છે.
અપસેટ પ્રાઇઝ સામે પણ ઉભા થયા સવાલ
મહાનગરપાલિકા દ્રારા ચો.મીનો ભાવ 1 લાખ રૂપિયા રાખવામાં આવ્યો હતો.આ અપસેટ પ્રાઇઝ 50 ટકા નીચી રકમથી હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2018માં જ્યારે રેસકોર્ષ રોડ પર હરાજી કરી હતી તેની કિંમત ચો,મી 2 લાખ રાખી હતી જો કે આ પ્લોટ સોનાની લગડી જેવો છે ત્યારે તેની અપસેટ પ્રાઇઝ શંકાના ઘેરામાં છે. શહેરની અંતરયાળ વિસ્તારોમાં પણ ચોમીના 90 હજાર રૂપિયા જેટલો ભાવ છે ત્યારે મેઇન રોડના કાટખૂણા પર આવેલા પ્લોટની અપસેટ પ્રાઇઝ શંકા ઉપજાવે તેવી છે.
TPOએ સબ સલામતનો દાવો કર્યો
મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ ઓફિસર સાગઠિયાએ આ અંગે સબ સલામતનો દાવો કર્યો હતો.પ્લોટ ટાઇટલ ક્લીયર હોવાનો અને પ્લોટની ખરીદી કરનાર બિલ્ડરે 10 ટકા રકમ ભરી પણ દીઘી હોવાનો દાવો કર્યો હતો.પ્લોટની અપસેટ પ્રાઇઝ પર સાગઠિયાએ કહ્યું હતુ કે નાનામૌવા સર્કલ પર ઓવર બ્રિજ તૈયાર થવાનો હોવાથી આ જમીનના ભાવમાં ઘટાડો આવ્યો છે..