રાજકોટ : ધોરાજીના પરબડી ગામનો યુવાન યુક્રેનથી હેમખેમ પરત ફર્યો, ગ્રામજનો અને પરિજનોમાં ખુશાલીનો માહોલ
મોટી પરબડી ગામનો અજય જેન્તીભાઈ બાબરીયા યુક્રેનના ટરનોપિલ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. યુદ્ધ જાહેર થતાં જ અહીં સાયરન શરૂ થયા હતા અને લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
રાજકોટ જિલ્લાના ધોરાજી (Dhoraji)તાલુકાના મોટી પરબડી ગામનો (Parbadi village)યુવાન યુક્રેનમાં (Ukraine)ફસાયો હતો. ધોરાજીના મોટી પરબડી ગામનો વિદ્યાર્થી અજય બાબરીયા યુક્રેનમાં ફસાયો હતો. જે આજે મિશન ગંગા હેઠળ એમના વતન મોટી પરબડી ખાતે પરત ફરતા પરિવારજનો અને ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી. અજયનું પરિવાર સાથે મિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
મોટી પરબડી ગામનો અજય જેન્તીભાઈ બાબરીયા યુક્રેનના ટરનોપિલ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. યુદ્ધ જાહેર થતાં જ અહીં સાયરન શરૂ થયા હતા અને લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. અજય બાબરીયાએ ટીવી9 સમક્ષ વાતચીતમાં જણાવ્યુ હતું કે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની શરૂઆત થતાં બધા લોકો જીવ બચાવીને ભાગવા લાગ્યા હતા. ચારે બાજુથી બોમ ધડાકાના આવાજ સંભળાઈ રહ્યા હતા. લોકોને જીવ બચાવવું ખુબજ જરૂરી હતું અને ત્યાં લોકો એકદમ ગભરાઈ રહ્યા હતા. અજય બાબરીયાએ પણ ત્યાંથી નીકળવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કર્યો હતો.
અજયનું કહેવું છે કે રોમાનિયાની બોર્ડર સુધી પહોંચવા માટે 7 કલાકની બસની મુસાફરી અને ત્યાર બાદ 4થી 5 દિવસ પગપાળા મુસાફરી કરી હતી અને રોમાનિયા બોર્ડર પર પહોંચ્યો હતો. રોમાનિયામાં અંદર પ્રવેશવા માટે સ્થાનિક લોકો સાથે ઘણી મુશ્કેલી વેઠવી પડી હતી. ટરનોપિલ સીટીમાંથી બહાર નીકળવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કર્યો હતો. ઓપરેશન ગંગા હેઠળ તેને વતન પરત લાવવામાં ભારત સરકારે મોટી મદદ કરી છે. અજયને સરકાર દ્વારા પ્રથમ દિલ્લી અને ત્યાંથી તેમના ઘરે પહોંચવા માટે તમામ વ્યવસ્થા કરી આપી હતી.
અજયને તેના ગામ મોટી પરબડીમાં લોકોએ હાર, કંકુ, તિલક અને આરતી કરીને સ્વાગત કર્યું હતું. ગામનો દીકરો વતન હેમખેમ પરત આવતા ગામ લોકો અને તેના પરિવારમાં આનંદની લાગણી જોવા મળી હતી. અજયના પરિવારજનોએ કેન્દ્ર સરકારનો આભાર વ્યકત કર્યો હતો અને અજયનું માતા પિતા સાથે મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
આ પણ વાંચોઃ Surendranagar: વઢવાણના ખેડૂતે સુરજમુખીનું સફળ વાવેતર કર્યું, અન્ય પાક માટે પણ ફાયદાકારક, જાણો શું છે ફાયદા?