રાજકોટ સિવીલમાં ખાનગી તબીબો મ્યુકરમાઈકોસીસના દર્દીઓના કરશે ઓપરેશન
સૌરાષ્ટ્રભરમાંથી મ્યુકરમાઈકોસીસના ( mucormycosis ) દર્દીઓ સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. આ સ્થિતિને જોતા, રાજકોટ સિવીલ હોસ્પિટલમાં, મ્યુકરમાઈકોસીસના દર્દીઓ માટે અલયદા રખાયેલા, 200 બેડની સંખ્યા વધારીને 400 કરવાનો નિર્ણય કર્યો છે
સૌરાષ્ટ્રભરમાંથી મ્યુકરમાઈકોસીસના ( mucormycosis ) દર્દીઓ સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. આ સ્થિતિને જોતા, રાજકોટ સિવીલ હોસ્પિટલમાં, મ્યુકરમાઈકોસીસના દર્દીઓ માટે અલયદા રખાયેલા, 200 બેડની સંખ્યા વધારીને 400 કરવાનો નિર્ણય કર્યો છે. તો સાથોસાથ આંખ નાક અને ગળાના ખાનગી ડોકટરોની વિનામૂલ્યે સેવા લઈને, સિવીલ હોસ્પિટલમાં સારવાર આપવા તેમજ ગંભીર દર્દીઓના ઓપરેશન કરવાની કામગીરી કરશે.
ગુજરાતમાં કોરોનાની મહામારીમાંથી ઉગરી રહેલા દર્દીઓ મ્યુકરમાઈકોસીસ ( mucormycosis ) નામની ફુગ આધારીત બિમારીમાં સપડાવા લાગ્યા છે. દિન પ્રતિદિન મ્યુકરમાઈકોસીસના દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર માટે સરકારી હોસ્પિટલ પહોચી રહ્યાં છે. વાત સૌરાષ્ટ્રની કરવામાં આવે તો, સૌરાષ્ટ્રના મોટા શહેર રાજકોટની સિવીલ હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસીસના દર્દીઓ સારવાર લેવા પહોચી રહ્યાં છે.
મ્યુકરમાઈકોસીસના દર્દીઓના ઘસારાને જોઈને રાજકોટના જિલ્લા વહીવટીતંત્રે પણ કેટલાક આગોતરા પગલા ભરવાની શરૂઆત કરી દીધી છે. રાજકોટ સિવીલ હોસ્પિટલમાં અત્યાર સુધી મ્યુકરમાઈકોસીસના દર્દીઓ માટે 200 બેડના વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ સૌરાષ્ટ્રભરમાંથી મ્યુકરમાઈકોસીસના દર્દીઓનો સારવાર અર્થે ઘસારો રહેતા, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 200 બેડની સંખ્યા વધારીને 400 કરવાનો નિર્ણય કરાયો છે.
માત્ર બેડની સંખ્યા વધારવા પુરતુ જ નહી, પરંતુ મ્યુકરમાઈકોસીસના દર્દીઓની સારવાર કરી શકે તે માટે આંખ, નાક, ગળાના (ENT) ડોકટરની પણ વ્યવસ્થા કરાઈ છે. રાજકોટ સિવીલ હોસ્પિટલમાંથી ભાવનગર સિવીલ હોસ્પિટલ ખાતે બદલી કરાયેલા આંખ, નાક, ગળાના બે ડોકટરને પરત રાજકોટ બોલાવવામા આવી રહ્યાં છે.
અત્યાર સુધી રાજકોટ સિવીલ હોસ્પિટલમાં આખ, નાક અને ગળાના એક ડોકટર મ્યુકરમાઈકોસીસથી ગંભીર દર્દીઓના ઓપરેશન કરી રહ્યાં છે બાકીને બીજા બે ડોકટર આવી જતા, ઓપરેશન કરવાની સંખ્યામાં વધારો થશે.
રાજકોટ જિલ્લા વહીવટીતંત્રે સરકારી તબીબો ઉપર જ આધારીત રહેવાને બદલે, ખાનગી તબીબોની પણ સેવા લેવાનું નક્કી કર્યું છે. ખાનગી પ્રેકટીસ કરતા આંખ, નાક, ગળાના તબીબોને સિવીલ હોસ્પિટલમાં બોલાવીને દર્દીઓની સારવાર કરવાના કામમાં જોડી દેવાશે.
આંખ, નાક, ગળાના (ENT) ડોકટરના એસોસિએશને મ્યુકરમાઈકોસીસના દર્દીઓની રાજકોટ સિવીલમાં વિનામૂલ્યે સેવા આપવાનુ જાહેર કર્યું છે. જેના આધારે, વારા ફરતી આંખ, નાક, ગળાના (ENT) ડોકટરો સિવીલ હોસ્પિટલ આવીને, મ્યુકરમાઈકોસીસના દર્દીઓની સારવાર અને ઓપરેશન કરશે.