Praful Patel: લક્ષદ્વીપને લઇ ચર્ચામાં રહેલા પ્રશાસકનો શામળાજી સાથે છે ખાસ નાતો, આજે શામળાજી પહોંચ્યા
લક્ષદ્વીપ (Lakshadweep) માં વિરોધ અને વંટોળ વચ્ચે વિકાસ કાર્ય હાથ ધરનાર પ્રફુલ પટેલ (Praful Patel) નો ઇતિહાસ આમ જ રહ્યો છે. શામળાજી (Shamlaji) ની કાયાપલટ તેઓએ સામા પવને કરીને શામળાજીના પ્રવાસને વેગ આપ્યો હતો.
લક્ષદ્વીપ અને દીવ દમણના પ્રશાસક પ્રફુલ પટેલ (Praful Patel) આજે શામળાજી (Shamlaji) મંદિરે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ભગવાન શામળીયાના દર્શન કર્યા હતા. લક્ષદ્વીપ (Lakshadweep) માં પ્રફુલ પટેલે લીધેલા આકરા નિર્ણયોને લઇને છેલ્લા એકાદ માસથી ચર્ચાઓમાં છવાયેલા રહ્યા છે. તેઓ પર ધાર્મિક અને સાંસ્કૃતીક બાબતોને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. પ્રશાસક પટેલે કોરોના કાળથી બંધ મંદિર ખુલ્યા બાદની પ્રથમ પૂર્ણીમાંએ શામળીયા ભગવાનના દર્શન કર્યા હતા.
પ્રફુલ પટેલ શામળીયા ભગવાનમાં ખૂબ શ્રદ્ધા ધરાવે છે. તેઓ પૂર્ણીમા અને વિશેષ પ્રસંગોપાત શામળીયા ભગવાનના દર્શન કરવાનુ ચુકતા હોતા નથી. મંદિર ખૂલ્યા બાદ પ્રથમ પૂર્ણીમાંને લઇ તેઓ દર્શન કરવા માટે શામળાજી આજે સવારે પહોંચ્યા હતા. આજે જયેષ્ઠ પૂર્ણીમા હોવાને લઇને તેનુ વિશેષ મહત્વ માનવામાં આવે છે. શામળાજીમાં આજે ભગવાનને ઠંડા પાણીથી સ્નાન કરવાની ખાસ વિધી યોજવામાં આવે છે. તેમજ વિશેષ શણગારથી ભગવાનને સજાવવામાં આવે છે.
શામળાજી મંદિરમાં પૂર્ણીમાને લઇને પોલીસની સઘન સુરક્ષા વ્યવસ્થા દાખવાઇ રહી છે. પરંતુ પ્રફુલ પટેલ ને Y પ્લસ કેટેગરી સુરક્ષા ઘેરાને લઇને, શામળાજી મંદિરમાં પોલીસ બંદોબસ્તમાં વધારો કરવામાં આવ્યો હતો. પ્રશાસક પટેલની મુલાકાતના પગલે સ્થાનિક પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
શામળાજી મંદિર સાથે રહ્યો છે ખાસ નાતો
સાબરકાંઠા (Sabarkantha) ના હિંમતનગરના પ્રફુલ પટેલ શામળાજી મંદિર પ્રત્યે ખૂબ આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે. તેઓ તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ની સરકારમાં ગૃહ રાજ્ય પ્રધાન રહ્યા હતા. જે દરમ્યાન એકદમ ગીચ અને ભીડમાં રહેલ મંદિર પરીસરને ખુલ્લુ કરવાની શરુઆત તેઓ હાથ ધરી હતી.
મોદી સરકારે ખાસ પેકેજ વડે શામળાજી મંદિરના વિકાસનુ કાર્ય હાથ ધર્યુ હતુ. જેનો યશ પ્રફુલ પટેલને ફાળે રહ્યો હતો. તેઓએ સ્થાનિકોના વિરોધ અને વિવાદ વચ્ચે મંદિર પરિસરને ખુલ્લુ કરી, હાલમાં જોવા મળતા નવા શામળાજીના વિકાસ કાર્યને સફળતાપૂર્વક પૂર્ણ કર્યુ હતું. હજુ પણ તેને સુંદર બનાવવા માટે તેઓ સૂચનો કરતા રહે છે.
બીફ પ્રતિબંધ કરવાને લઇને વિવાદમાં રહ્યા
પ્રફુલ પટેલ હાલમાં દક્ષિણ ભારતમાં ખૂબ જ ચર્ચામાં છવાયેલા છે. આ ઉપરાંત પડોશી અને ખાડી દેશોમાં પણ તેઓ ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યા છે. તેઓએ લક્ષદ્વીપમાં શાળાના બાળકોને મધ્યાહન ભોજનમાં અપાતા બીફને બંધ કરી દીધુ હતું. જેને લઇને કેટલાક લોકોએ તેને ધાર્મિક મુદ્દા સાથે જોડીને પ્રફુલ પટેલનો વિરોધ શરુ કર્યો હતો.
આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં દેશમાં અન્ય રાજ્યોની માફક બે કરતા વધુ બાળકોના નિયમને લાગુ કર્યો છે. તેઓએ ચુંટણીમાં ઉમેદવાર બે કે તેથી ઓછા બાળકો ધરાવતો હોવો ફરજીયાત કરવાનો નિર્ણય લાગુ કર્યો હતો. પ્રવાસન વિસ્તાર લક્ષદ્વીપમાં પર્યટકોને માટે દારુમાં છૂટછાટનો નિર્ણય કર્યો હતો.
આકરા નિયમો ઘડવાને લઇ પ્રશાસકની સુરક્ષા વધારાઇ
પ્રશાસક પ્રફુલ્લ પટેલે લક્ષદ્વીપમાં આકરા નિર્ણયો ઘડવાને લઇને તેમનો લક્ષદ્વીપ જ નહી પરંતુ અન્ય રાજ્ય અને પાડોશી દેશોમાંથી વિરોધ અને ચર્ચા પેદા થવા લાગી હતી. લક્ષદ્વીપના વિકાસ માટે લેવાયેલા નિર્ણયોને હટાવવા માટે માગ કરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને લઇને કેન્દ્ર સરકારના ગૃહ વિભાગે પ્રફુલ પટેલની સુરક્ષામાં વધારો કરી દીધો હતો. કેન્દ્રીય સુરક્ષા દળના કમાન્ડો અને એસ્કોર્ટ સુરક્ષા સહિત Y પ્લસ શ્રેણીની સુરક્ષા તેમને પુરી પાડવામાં આવી હતી.