Porbandar: પોરબંદરવાસીઓને 20 વર્ષ બાદ મળશે સિટી બસની સુવિધા, સ્થાનિકોમાં છવાયો આનંદ
20 વર્ષ કરતાં વધુ સમયથી સીટી બસ સેવા બંધ હતી તેના કારણે લોકોને ફરજિયાત ઓટો રીક્ષા અને ખાનગી વાહનોનો સહારો લેવો પડતો હતો, પરંતુ હવે સીટી બસ સેવા શરૂ થતાં લોકોને આર્થિક ફાયદો થશે. લોકોને ઓટોમાં ભાડા પેટે વધુ રૂપિયા નહીં ખર્ચવા પડે. પાલિકાના આ નિર્ણયથી લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે.
પોરબંદરવાસીઓ (Porbandar) માટે ખુશ ખબર આવી ગયા છે અને ટૂંક સમયમાં જ લોકોને સિટી બસ (City bus) સેવાનો લાભ મળ્યો છે. પોરબંદરમાં આશરે 20 વર્ષ બાદ બંધ પડેલી સીટી બસ સેવા ફરીથી કાર્યરત થશે. નગર પાલિકાને બે વખતના પ્રયત્ન બાદ ત્રીજા પ્રયત્નમાં સફળતા મળી છે. સિટી બસનું ટેન્ડર પાસ કરવામાં આવ્યું છે હવે ત્રીજા પ્રયત્નમાં સારી સુવિધા સાથે 9 સીટી બસ અને બે ટુરિઝમ બસ (Tourism bus ) કાર્યરત થશે. 20 વર્ષ કરતાં વધુ સમયથી સીટી બસ સેવા બંધ હતી તેના કારણે લોકોને ફરજિયાત ઓટો રીક્ષા અને ખાનગી વાહનોનો સહારો લેવો પડતો હતો, પરંતુ હવે સીટી બસ સેવા શરૂ થતાં લોકોને આર્થિક ફાયદો થશે. લોકોને ઓટોમાં ભાડા પેટે વધુ રૂપિયા નહીં ખર્ચવા પડે. પાલિકાના આ નિર્ણયથી લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ તાલુકા પ્રમુખે કહ્યું કે સીટી બસ સેવાનો શરૂ કરવાનો નિર્ણય સારો છે, પરંતુ ભૂતકાળની જેમ માત્ર મહિનામાં સીટી બસ બંધ ન થાય તે જરૂરી છે.
પોરબંદરમાં કીર્તિ મંદિર, સુદામા મંદિર, એરપોર્ટ, સાંદિપની આશ્રમ જેવા ફરવા અને જોવા લાયક સ્થળો છે જેને જોવા રોજના હજારો યાત્રિકો આવે છે તેમના માટે આ પ્રકારની સુવિધા ખૂબ આશીર્વાદરૂપ બની રહેશે.
ભૂતકાળમાં બસ મુદ્દે સર્જાયું હતું રાજકીય ઘમાસાણ
ગાંધીજીની જન્મભૂમિ અને સુદામાની નગરી પોરબંદરમાં (Porbandar)માં હવે ફરવા માટે સિટી બસની સુવિધા મળી રહેશે. ગાંધીજીની આ જન્મભૂમિ કે ભક્ત સુદામાની નગરી જોવા હજારો લોકો આવતા હોય, પરંતુ તેમને શહેરમાં ફરવા માટે બસ જ ન હોય એ કેવી વાત? પણ આ હકીકત છે. એટલે જ કોંગ્રેસે બસ સેવા બંધ કરવા પાછળ ભાજપ શાસિત નગરપાલિકાને આડે હાથ લેતાં ભૂતકાળમાં ભ્રષ્ટાચાર આક્ષેપ કર્યો હતો તો બીજી તરફ ભાજપના મતે કોંગ્રેસના આક્ષેપોમાં કોઈ તથ્ય નથી. બલકે ભાજપે તો સિટી બસ સેવા શરૂ કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે અને ટૂંક સમયમાં બસ શરૂ થઈ પણ શકે છે. આ દાવાઓ વચ્ચે જોવું રહ્યું કે ખરેખર હવે કેટલા સમયમાં પોરબંદરમાં સિટી બેસ સેવા શરૂ થાય છે અને શહેરી નાગરિકોને અને પ્રવાસીઓને કયારે બસની સુવિધા પ્રાપ્ત થાય છે કે પછી રાજકીય પક્ષો વાતોના વડાં કરીને જ બેસી રહેશે.