Porbandar: ઘરના ઘરનું સ્વપ્ન થયું પૂર્ણ, આવાસ યોજના અંતર્ગત 15 આવાસની ફાળવણી
ગુજરાત ગૌરવ અભિયાન હેઠળ પોરબંદરમાં(Porbandar) ગત રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યૂઅલ ઉપસ્થિતિમાં ઇ - લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના 15 લાભાર્થીઓને આવાસની ચાવી સોંપવામાં આવી હતી.
પ્રધાનમંત્રીના નરેન્દ્ર મોદીના ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમ અંતર્ગત પોરબંદર (Porbandar) ખાતે ધારાસભ્ય બાબુ બોખિરિયાની (Babu Bokhiriya)ઉપસ્થિતિમાં ગુજરાત ગૌરવ કાર્યક્રમ અંતર્ગત 15 લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળની ચાવી તથા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યૂઅલ ઉપસ્થિતિમાં ઇ – લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ઘરના ઘરનું સ્વપ્ન પૂરૂ થતા તેઓએ સરકારનો આભાર માન્યો હતો.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય બાબુ બોખિરિયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યની વર્તમાન સરકાર છેવાડાના માનવીની સમસ્યાઓનું નિરાકરણ આવે તે માટે કટિબદ્ધ છે. સાથે જ ‘બેટી બચાવો બેટી પઢાવો’નું અભિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સાર્થક કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે અત્યારે દરેક ક્ષેત્રમાં દીકરીઓ આગળ વધી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે જન કલ્યાણલક્ષી યોજનાઓનો સીધો લાભ લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કર્યો છે.
આવાસ યોજના હેઠળ વર્ષ 2016થી 2022 સુધી 957 આવાસનું કામ પૂર્ણ
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પોરબંદરને વર્ષ 2016-17 થી 2021-22 સુધીમાં કુલ 1,850 લાભાર્થીઓને આવાસ બાંધકામનો લક્ષ્યાંક ફાળવવામાં આવેલો છે. 1,850 ફાળવેલ લક્ષ્યાંક સામે જિલ્લાની તમામ નગરપાલિકાના મંજૂર થયેલ આવાસો માંથી કુલ 957 લાભાર્થીઓના બાંધકામ પૂર્ણ થયા છે.તેના કુલ રૂપિયા 33.49 કરોડની સહાય ચૂકવવામા આવી હતી. આ પૈકી 15 લાભાર્થીઓને વડાપ્રધાનની ઉપસ્થિતિમાં ઇ-લોકાર્પણના માધ્યમથી આવાસ ફાળવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેકટર અશોક શર્માએ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને અનુરોધ કર્યો કે, નગરજનોને જે સરકારી યોજના લાગુ પડતી હોય તેનો લાભ લેવો જોઈએ. સાથે જ તેમણે સખી મંડળની બહેનો આર્થિક રીતે વધુ સધ્ધર બને તે માટે સરકારની યોજનાનો લાભ લેવા આ તકે અપીલ કરી હતી. તો જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણીએ જણાવ્યું હતું કે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકો માટે કોઈને કોઈ યોજના અમલમાં હોય છે. આ ઉપરાંત કાર્યક્રમમાં આવેલા લાભાર્થીને આયુષમાન કાર્ડ કે અન્ય કોઈ દાખલો કઢાવવો હોય તો પણ હાજર કર્મચારીઓએ સેવા પૂરી પાડી હતી.
કોરોનાના વધતા કેસને પગલે સાવચેતી રાખવાની અપીલ
આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અશોક શર્માએ કોરોનાના વધતા કેસને પગલે નાગિરિકોને માસ્ક પહેરવાની પહેરવાની અને સામાજિક અંતર રાખવાની અને કોવિડની અન્ય ગાઇડ લાઇનનું પાલન કરવા માટે અપીલ કરી હતી.