Porbandar: જર્જરિત હજુર કોર્ટને મ્યુઝિયમ બનાવવાની માંગ, પ્રવાસનને મળશે વેગ
Porbandar: પોરબંદરના રાજા હજુર કોર્ટમાં બેસી પોતે ન્યાય કરતા હતા. જે બિલ્ડીંગ હજુર કોર્ટથી જાણીતી હતી. આજે આ બિલ્ડીંગ રખરખાવ અને જાળવણીના અભાવે ભૂતિયા મહેલ જેવુ બની ગયું છે.
Porbandar: પોરબંદરના રાજવીની હજુર કોર્ટ (Huzoor Court) સરકારને કોર્ટના હેતુ માટે અર્પણ કરી હતી. કોર્ટ વર્ષોથી રાંઘાવાવમાં નવા બિલ્ડીંગમાં બેસે છે. હવે ઘણા વર્ષોથી હજુર કોર્ટ બંધ હાલતમાં હોવાથી R&B વિભાગ હસ્તકનું જૂનવાણી બિલ્ડીંગ જર્જરિત હોવાથી લોકોને દૂર રહેવા નોટિસ બોર્ડ લગાવ્યું છે. લોકોની માંગ છે કે અહીં મ્યુઝિયમ બને તેથી પ્રવાસનને વેગ પણ મળે.
પોરબંદરના રાજા હજુર કોર્ટમાં બેસી પોતે ન્યાય કરતા હતા. જે બિલ્ડીંગ હજુર કોર્ટથી જાણીતી હતી. આજે આ બિલ્ડીંગ રખરખાવ અને જાળવણીના અભાવે ભૂતિયા મહેલ જેવુ બની ગયું છે. વર્ષો પહેલા આ બિલ્ડીંગમાં પોરબંદર ડિસ્ટ્રીકટ કોર્ટ સહિતની અનેક કોર્ટ મામલતદાર, ડેપ્યુટી કલેકટર, સીટી સર્વે, તાલુકા પંચાયત જેવી અનેક કચેરીઓ બેસતી હતી. પરંતુ આજે અહીં એક પણ કચેરી હવે નથી. જેથી જાળવણી પણ નથી થતી, જેના કારણે ગઢ જેવી જૂનવાણી બિલ્ડીંગ હવે દિવસે દિવસે જર્જરિત બની રહી છે.
એક સ્થાનિક સામાજિક કાર્યકર જણાવતા કહે છે કે, ‘આપણા (પોરબંદરના) રાજા નટવરસિંહે આ કોર્ટ બિલ્ડીંગ આપણને ભેટ આપી હતી. અહીં હવે કોર્ટ પણ નથી રહી અહીં માત્ર પિટિશન રાઈટરો અને નોટરીઓ બેસે છે. પીડબ્લ્યુડીએ બિલ્ડીંગ જર્જરીત હોવાથી કોઈએ અવરજવર નહીં કરવાની અહીં નોટિસ લગાવી છે. આ બિલ્ડીંગનો સદ ઉપયોગ કરી અહીં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને ભગવાન કૃષ્ણનું ભવ્ય મ્યુઝિયમ બનાવાય તો પ્રવાસનને વેગ મળે. જો આમ નહીં થાય તો ભવિષ્યમાં આ બિલ્ડીંગ પડશે તો અનેક જીવો જશે જેની જવાબદારી પીડબ્લ્યુડીની રહશે’
ભૂતકાળમાં આ બિલ્ડીંગમાં અનેક કચેરીઓ બેસતી હોવાથી આસપાસના વેપાર, ધંધા પણ ધમધમતા હતા. આજે જૂની કોર્ટ ખંઢેર હાલતમાં ફેરવાઈ રહી છે. ગત ચોમાસામાં બિલ્ડીંગની છત તૂટી પડી હતી. જોકે કોઈ જાનહાની થયેલ ન હતી. પરંતુ આજે જે બિલ્ડીંગની દશા દયનિય બની રહી છે.
જે.જે.રાણા (ડે.એક્ઝિક્યુટિવ એન્જીનિયર, પીડબ્લ્યુડી, પોરબંદર) જણાવે છે કે, ‘જૂનું કોર્ટ બિલ્ડીંગ ઘણા વર્ષો જૂનું છે, જે મરમ્મત માગે છે અને ત્યાં પુરાતત્વ વિભાગ દ્વારા મ્યુઝિયમ બનાવવા માટે સરકારમાં પ્રક્રિયા ચાલે છે. બિલ્ડીંગમાં કોઈ પ્રવેશ ન કરે અને જાનહાની ન થાય તે માટે નોટિસ બોર્ડ પણ લગાવેલ છે. સરકારમાંથી નિર્ણય આવ્યા બાદ ભવિષ્યમાં મ્યુઝિયમ બની શકે છે.
હાલ તો ભૂતિયા મહેલ જેવી સ્થિતિમાં આ હજુર કોર્ટ અડીખમ ઉભું છે. જો રાજ્ય કે કેન્દ્ર સરકાર અને પુરાતત્વ વિભાગ બિલ્ડીંગ સામે જોઈ અને થોડા ખર્ચમાં મરામત કરી નેશનલ મ્યુઝિયમ બનાવે તો પોરબંદરનો પણ આર્થિક વિકાસ થાય અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની શકે.
જોકે 109 કરતા વધુ વર્ષનું આ બિલ્ડીંગ પુરાતત્વ વિભાગ હસ્તક લેવું પણ જરૂરી બની ગયું છે. હાલ તો માત્ર કાગળ પર મ્યુઝિયમ બનાવવાની વાતો હવામાં ચાલે છે. ખરેખર મ્યુઝિયમ બની જાય તો શહેર અને જિલ્લાનો વિકાસ વધે અને દેશ વિદેશથી આવતા પ્રવાસીઓનું આકર્ષણ વધે તેમ છે.
આ પણ વાંચો : Agni Prime Missile: અગ્નિ સિરિઝની મિસાઈલના સૌથી એડવાન્સ વર્ઝનનું સફળ પરીક્ષણ, મોબાઈલ લોન્ચરથી પણ થશે ફાયર