‘લમ્પી’ ને કારણે પશુઓના ટપોટપ મોત, તો બીજી બાજુ નિકાલના અભાવે રઝળી રહ્યા છે ગાયોના મૃતદેહો
પોરબંદર નગરપાલિકા દ્વારા ગાયોના મૃતદેહોનો પણ યોગ્ય નિકાલ કરાતો નથી.જેને કારણે ગૌમાતાના મૃતદેહ રઝળતા જોવા મળી રહ્યા છે.
ગુજરાતમાં લમ્પી વાયરસનો(Lumpy virus) હાહાકાર છે, ત્યારે પોરબંદરના (porbandar) છાંયા વિસ્તારમાં સૌથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. બીજીબાજુ પાટડીમાં (patdi) પણ લમ્પી વાયરસની એન્ટ્રી થઈ છે, ત્યારે લમ્પી વાયરસના કેર વચ્ચે કેવી રીતે તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે. પોરબંદરમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. અહીં છાંયા નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. કુછડી વિસ્તારમાં ખુલ્લામાં પશુઓના મૃતદેહ ફેંકી દેવાયા છે.નગરપાલિકા દ્વારા ગાયોના મૃતદેહોનો પણ યોગ્ય નિકાલ કરાતો નથી. ગૌમાતાને સન્માન આપવાની તમામ વાતો અહીં પોકળ સાબિત થઈ રહી છે. જેમાં નાના વાછરડાના પણ લમ્પીથી મોત નિપજ્યા છે.જેના મૃતદેહ અહીં ફેંકવામાં આવ્યા છે.કોંગ્રેસના કાર્યકરોએ મૃત ગાયોની હિન્દુ પરંપરા મુજબ અંતિમવિધિ કરવાની માગ કરી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં પણ લમ્પીની એન્ટ્રી
આ તરફ સુરેન્દ્રનગર જિલ્લાના (Surendranagar) પાટડીના રણકાંઠા વિસ્તારમાં પણ લમ્પી વાયરસની એન્ટ્રી થઇ છે. રણકાંછા વિસ્તારમાં એકસાથે 19 ગાયોમાં લમ્પી વાયરસની અસર જોવા મળતા તમામ ગાય સારવાર હેઠળ છે. પાટડીમાં બજાણા પશુ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધી 5 હજાર 300 પશુનું રસીકરણ કરવામાં આવ્યું છે અને હજી વધુ 5 હજાર રસીના ડોઝ મંગાવવામાં આવ્યાં છે. ડોઝ આવ્યાં બાદ વધુ પશુઓનું રસીકરણ હાથ ધરાશે.
ભાવનગરમાં 24 કલાકમાં 116 કેસ નોંધાતા અરેરાટી
ભાવનગર જિલ્લામાં 24 કલાકમાં 116 કેસ નોંધાયા તો 23 પશુઓના મોત નિપજ્યા છે. ત્યારે પશુપાલન વિભાગે (Department of Animal Husbandry) રસીકરણની કામગીરી પૂરજોશમાં હાથ ધરી છે.ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં લમ્પી વાયરસના કુલ 1127 કેસ નોંધાયા છે અને કુલ 132 પશુના મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે.અહીં 9 તાલુકામાં 180 ગામ અસરગ્રસ્ત છે, ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે રસીકરણ થાય તેની રાહ જોવાઈ રહી છે.