રાજકોટમાં ગણપતિ વિસર્જન માટે પોલીસનો “કલર કોડ”, પોલીસે કર્યું ખાસ આયોજન
ડીસીપીએ વધુમાં કહ્યું હતુ કે ગણપતિ વિસર્જન માટે કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. જે લોકો વિસર્જન માટે જઇ રહ્યા છે તેઓએ માત્ર એક વાહનમાં 15 લોકોની મર્યાદામાં નીકળવાનું રહેશે.
આવતીકાલે ગણપતિ વિસર્જન છે. ત્યારે રાજકોટ પોલીસ દ્વારા ગણપતિ વિસર્જનને લઇને પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. શહેરમાં ત્રણ મુખ્ય સહિત પાંચ સ્થળોએ ગણપતિ વિસર્જન માટેની ખાસ વ્યવસ્થા પોલીસ દ્વારા ગોઠવવામાં આવી છે. આ વર્ષે પોલીસ દ્વારા અલગ અલગ વિસર્જન સ્થળોએ જવા માટે પોલીસ મંજૂરી સાથે અલગ અલગ કલરના પાસ આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
શહેરમાં કુલ 329 જેટલા સાર્વજનિક ગણેશના આયોજનો છે. જેમના માટે આજી ડેમ નજીકની ખાણ,જામનગર રોડ પર હનુમાનધારા અને મવડી નજીક આવેલા જાખરાપીરની જગ્યા એમ ત્રણ મુખ્ય સ્થળ રાખવામાં આવ્યા છે. જ્યારે અન્ય નાના નાના બેથી ત્રણ પોઇન્ટ રાખવામાં આવ્યા છે. પોલીસના કહેવા પ્રમાણે સૌથી વધારે 108 જેટલી પ્રતિમાનું વિસર્જન આજીડેમ ખાતે કરવામાં આવશે.
પોલીસ મંજૂરી સાથે આપવામાં આવશે કલર કોડ
આ અંગે રાજકોટ ડીસીપી ઝોન 2 મનોહરસિંહ જાડેજાએ કહ્યું હતું કે અલગ અલગ વિસર્જન સ્થળ પર અલગ અલગ કલરના કોડ રાખવામાં આવ્યા છે. પોલીસ દ્વારા કરાયેલા આયોજનમાં જે લોકો આજી ડેમ ખાતે ગણપતિનું વિસર્જન કરવા માટે પહોંચે તેને પોલીસ મંજૂરી સાથેના લાલ કલરના પાસ, હનુમાનધારા જવા ઇચ્છતા લોકોને બ્લુ કલરના પાસ અને જાખરાપીરની જગ્યાએ જવા માંગતા લોકો માટે ઓરેન્જ કલરના પાસનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત નાના પાણીના પોઇન્ટ પર જવા ઇચ્છતા લોકો માટે પીળાં કલરના પાસ રાખવામાં આવ્યા છે. દરેક પોઇન્ટ પહેલા પોલીસ દ્વારા ચેકપોસ્ટ બનાવવામાં આવશે. જેમાં ગણપતિ વિસર્જન માટે આવતા લોકોના વાહનની યાદી હશે. જે વાહનોને જ પ્રવેશ આપવામાં આવશે. પોલીસે આયોજકોને વિસર્જન માટેની પૂર્વ મંજૂરી લઇ લેવા આદેશ કર્યો છે.
કોઇ સરઘસ નહિ નીકળે,ગાઇડલાઇનનું કરવું પડશે પાલન
ડીસીપીએ વધુમાં કહ્યું હતુ કે ગણપતિ વિસર્જન માટે કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. જે લોકો વિસર્જન માટે જઇ રહ્યા છે તેઓએ માત્ર એક વાહનમાં 15 લોકોની મર્યાદામાં નીકળવાનું રહેશે.જેમાં ગણેશજીની પ્રતિમાથી લઇને ડીજે તમામ એક જ વાહનમાં રાખવાના રહેશે.એક આયોજકને એક કરતા વધારે વાહનમાં પ્રવેશ આપવામાં નહિ આવે.
પોલીસે લોકોને અપીલ કરી છે કે તમામ સાર્વજનિક આયોજકો પોલીસ અને મહાનગરપાલિકાએ નિયત કરેલી જગ્યા પર જ વિસર્જન કરે.આ સ્થળોએ ક્રેઇન,તરવૈયા અને ફાયરની ટીમ તૈનાત રાખવામાં આવેલી છે જેથી કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને લોકોની સલામતી જળવાય.