Vadodara: કરજણના હેતલબેનની વેક્સિનેશનની કામગીરીનો PM એ મન કી બાતમાં કર્યો ઉલ્લેખ, જાણીને તમને પણ થશે ગર્વ
પ્રધાનમંત્રીના મનને કરજણના આરોગ્ય સેવિકાની અવિરત રસી મૂકવાની મેરેથોન મહેનત એટલી સ્પર્શી ગઈ કે મન કી બાત કાર્યક્રમમાં ઉલ્લેખ કર્યો. હેતલબેન છેલ્લા દશ મહિનાથી આરોગ્ય રજાઓને ભૂલીને પરિવારની તકલીફો વચ્ચે સતત કોરોનાની રસી આપી રહ્યાં છે.
કરજણના અર્બન હેલ્થ સેન્ટરમાં કાર્યરત આરોગ્ય સેવિકા બેનની વેક્સિનેશન માટેની મહેનત રંગ લાવી. હેતલબેન મોચીની કોરોના રસીકરણમાં કર્મનિષ્ઠ સેવાની નોંધ છેક નવીદિલ્હી સુધી લેવાઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના કાર્યનો ઉલ્લેખ આજે મન કી બાત પ્રસારણમાં કર્યો. અને 100 કરોડ કોરોના રસીકરણની રાષ્ટ્રીય જ્વલંત સિદ્ધિમાં આવા પાયાના આરોગ્ય કર્મયોગીઓના યોગદાનને દિલથી બિરદાવતા સૌને પ્રોત્સાહિત કર્યા.
આ અંગે જાણકારી આપતાં કરજણ તાલુકા આરોગ્ય અધિકારી અને તબીબી અધિક્ષક ડો. પ્રશાંતસિંઘે જણાવ્યું કે હેતલબેન રસીકરણની શરૂઆતથી એટલે કે છેલ્લા દશ મહિનાથી સતત કોરોના રસી મૂકવાની સેવાઓ આપી રહ્યાં છે. પર્વો, ઉત્સવો, જાહેર રજાઓ બધું જ ભૂલીને તેઓ લોકોને રસી મૂકી રહ્યાં છે.
આ સમયગાળામાં તેમના પરિવારમાં તકલીફ સર્જાઈ, સાસુ સસરાને બીમારી આવી, નાના બાળકોની સંભાળ લેવાની મુશ્કેલીઓ જેવી કૌટુંબિક બાબતોને મેનેજ કરીને તેઓ રસી મૂકવાની ફરજને સતત અગ્રતા આપી રહ્યાં છે. તેઓ દૈનિક અંદાજે ૨૦૦ લોકોને રસી મૂકે છે. એક અંદાજ પ્રમાણે તેમણે ૨૪ હજારથી વધુ લોકોને પહેલા અથવા બીજા ડોઝની રસી મૂકી છે. જેમણે હેતલબેન પાસે રસીના બંને ડોઝ મુકાવ્યા છે એવા લોકો પ્રધાનમંત્રી દ્વારા તેમની સેવાઓને બિરદાવવામાં આવતાં ખુશી અનુભવી રહ્યાં છે.
આ સાથે હેતલબેને રસી લેવાની જાગૃતિનો લોકોમાં સંચાર કરવાનું કામ પણ કર્યું છે. તેમણે લોકોના મનમાં ઘર કરી ગયેલી ખોટી માન્યતાઓનું નિવારણ કરીને રસી લેવા માટેનો લોકોનો ઉત્સાહ વધાર્યો છે.આ મુદ્દે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું કે, સૌ કર્મયોગીઓમાં હેતલબેન મોખરે રહ્યાં છે અને આખા જિલ્લા આરોગ્ય પરિવારને તેમણે ગૌરવ અપાવ્યું છે.
દેશના વડાપ્રધાન દ્વારા તેમની યશસ્વી કામગીરીનો ઉલ્લેખ રાષ્ટ્રીય પ્રસારણમાં કરવામાં આવ્યો, તેનાથી પ્રોત્સાહિત થયેલા હેતલબેને જણાવ્યું કે, વડાપ્રધાનના પ્રોત્સાહનથી ભારતે ૧૦૦ કરોડ કોરોના રસીના ડોઝ આપીને વિશ્વ વિક્રમ કર્યો છે. આ પ્રક્રિયામાં હું મારી સહ ભાગીદારીનો ગર્વ અનુભવું છે. પરિવાર અને સાથીઓના સહયોગથી હું આ કામ સતત કરી શકી છું. કોરોનાનો ખતરો હજુ ટળ્યો નથી. એટલે જે લોકો બાકી છે એ બધાં જ સમયસર રસી મૂકાવી લે અને માસ્ક પહેરવા સહિત કોવિડ અટકાવવાની તકેદારીઓ પાળે એવી લાગણી તેમણે વ્યક્ત કરી છે.
આ પણ વાંચો: સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ, તૈયાર પાક ઉપર વરસાદ વરસતા પાકનું ધોવાણ
આ પણ વાંચો: પોલીસની અભિવ્યક્તિ પર ઉપરી અધિકારીઓની તરાપ! સોશિયલ મીડિયાના ગ્રેડ પે આંદોલન વિશે પરિપત્ર