Patan : આકરા ઉનાળે પાણીની તંગી, ધારાસભ્ય રધુ દેસાઈએ સીએમને પત્ર લખી પાણીની માંગ કરી
ગુજરાતમાં પાણીની સૌથી વિકટ સ્થિતિ ઉત્તર ગુજરાતમાં છે. પાટણ જિલ્લાના અંતરિયાળ ગામોમાં પીવાની પાણીની(Water Scarcity) તંગી ઉભી થઈ છે. જ્યારે ઉત્તર ગુજરાતના જળાશયોમાં ફક્ત 14 ટકા પાણીનો જથ્થો છે. જે પૈકી માત્ર 9 ટકા પાણીનો જથ્થો જ ઉપયોગમાં લઈ શકાય તેટલો છે.
ગુજરાતમાં આકરા ઉનાળા વચ્ચે પાટણ જિલ્લાના અંતરિયાળ ગામોમાં પીવાની પાણીની(Water Scarcity) તંગી ઉભી થઈ છે. જેના પગલે પાટણના(Patan)કોંગ્રેસના ધારાસભ્ય રધુ દેસાઇએ(Raghu Desai)મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને તેમના મત વિસ્તાર રાધનપુર- સાંતલપુર- સમી અને ચોરાડના લોકોને પીવાનું પાણી પૂરું પાડવા માટે અપીલ કરી છે. મુખ્યમંત્રીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, રાધનપુર-સાંતલપુર -સમી અને ચોરાડ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા વધી રહી છે. તેમજ આંતરીયાળ ગામના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જેમાં ચોરાડના લોકો ટેન્કરના ભરોસે આકરો ઉનાળો પસાર કરી રહ્યા છે.
ત્રણ તાલુકા ઉપરાંત ચોરાડમાં લોકોની હાલત દયનીય
કોંગ્રેસના ધારાસભ્ય રધુ દેસાઇએ વધુમાં જણાવ્યું છે કે, લોકોને પીવાનું પાણી તાત્કાલિક ધોરણે ટેન્કરો દ્વારા પહોંચાડવામાં આવે. આ સમસ્યા ઉભી થવા પાછળ પાણીની પાઇપ લાઇનો ચોક અપ થયેલી છે. તેમજ જયા પીવાના પાણીની પાઈપલાઈનો ચોક અપ થયેલી છે તેને રીપેરીંગ કરીને તાત્કાલિક ચાલુ કરવી જોઈએ. આ ઉપરાંત પીવાના પાણી માટે ગ્રામ્ય મહિલાઓને બેડા લઈને ભટકવું પડે છે. જેમાં ત્રણ તાલુકા ઉપરાંત ચોરાડમાં લોકોની હાલત દયનીય છે. રાજય સરકાર દ્વારા પીવાના પાણીની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં નહી આવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે.
ઉત્તર ગુજરાતના જળાશયોમાં ફક્ત 14 ટકા પાણીનો જથ્થો છે
ગુજરાત ગરમી ના વધતા પ્રમાણની સાથે જ જળાશયોમાં પાણી નો જથ્થો ઘટી રહ્યો છે. ગુજરાતના ડેમ માં કુલ જળસંગ્રહ ક્ષમતાના 50 ટકા જ પાણી ઉપલબ્ધ છે. તેમાંય રાજ્યના 50 ટકા જળાશયોમાં 25 ટકાથી ઓછું પાણી છે. આખા રાજ્યમાં માત્ર એક જ ડેમમાં 80 ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જ્યારે નર્મદા ડેમમાં 53 ટકા જેટલો પાણીનો જથ્થો છે. રાજ્યમાં સૌથી વિકટ સ્થિતિ ઉત્તર ગુજરાતમાં છે. ઉત્તર ગુજરાતના જળાશયોમાં ફક્ત 14 ટકા પાણીનો જથ્થો છે. જે પૈકી માત્ર 9 ટકા પાણીનો જથ્થો જ ઉપયોગમાં લઈ શકાય તેટલો છે.
વરસાદ ખેંચાય તો પાણીની કટોકટી સર્જાય તેવી શક્યતા
મધ્ય ગુજરાતના ડેમમાં 44.17 ટકા પાણી ઉપલબ્ધ છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે 13 ડેમમાં 60 ટકાથી વધુ પાણીનો જથ્થો છે. કચ્છમાં 19 ટકા અને સૌરાષ્ટ્રના 141 ડેમમાં 37.42 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં હાલમાં તો પાણીની કોઈ તંગી નથી. પરંતુ જો વરસાદ ખેંચાય તો પાણીની કટોકટી સર્જાય તેવી શક્યતા છે. રાજ્યમાં હિટવેવ વચ્ચે કચ્છ, સૌરાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારમાં પીવાના પાણીની તંગીની ફરિયાદો સામે આવી રહી છે. રાજ્ય સરકાર અને પાણી-પુરવઠા બોર્ડ દ્વારા અંતરિયાળ ગામડાઓમાં ટેન્કર મારફત પાણી પહોંચાડવામાં આવી રહ્યુ છે.