વરસાદથી તારાજી: પંચમહાલ જિલ્લામાં વરસાદને કારણે રસ્તાઓ ધોવાયા, અનેક ગામોનો સંપર્ક તુટ્યો
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા અને ગોધરા તાલુકામાં ચાલુ વર્ષે સિઝનનો 50 ટકા ઉપરાંત વરસાદ એકસાથે વરસી ગયો છે. જેને કારણે કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ (Flood )પણ સર્જાઈ છે.
રાજ્યભરમાં(Gujarat) વરસેલા ભારે વરસાદે(Heavy Rain) અનેક જિલ્લાઓમાં તારાજી સર્જી છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ મોટા પાયે તબાહી જોવા મળી રહી છે. પંચમહાલના જાંબુઘોડા, ઘોઘંબા અને ગોધરા તાલુકામાં વરસાદને(Rain) કારણે વ્યાપક નુકસાન થયું છે. આ જિલ્લામાં સૌથી વધુ વરસાદ જાંબુઘોડા અને ગોધરા તાલુકામાં વરસ્યો છે.પંચમહાલ જિલ્લાના આ બંને તાલુકામાં ચાલુ વર્ષે સિઝનનો 50 ટકા ઉપરાંત વરસાદ એકસાથે વરસી ગયો છે. જેને કારણે કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ (Flood )પણ સર્જાઈ છે. તો બીજી તરફ વરસાદને કારણે ગોધરા તાલુકામાં નદી-કોતરો પર આવેલા નાળા અને કોઝ-વે પણ ધોવાઈ જવા પામ્યા છે.
સ્થાનિકોએ તંત્ર પર ભ્રષ્ટાચારનો લગાવ્યો આરોપ
પંચમહાલ જિલ્લામાં (Panchmahal )અલગ અલગ તાલુકાઓમાં આવેલા 17 જેટલા કોઝ-વે અને 20 થી વધુ રસ્તાઓ ધોવાઈ ગયા છે.જે પૈકી કેટલાક રસ્તાઓ તો તાજેતરમાં જ બન્યા હતા,તેમ છતાં થોડાક વરસાદમાં જ તે તૂટી ગયા છે.પરિણામે સ્થાનિકોએ રોડના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર (Corruption) આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
પુલ અને રસ્તાઓ ધોવાઇ જતાં કેટલાક ગામોનો સંપર્ક તૂટ્યો
પંચમહાલમાં પુલ અને રસ્તાઓ ધોવાઇ જતાં કેટલાક ગામોનો સંપર્ક તૂટ્યો છે.સ્થાનિકોને કોઝવેના અભાવે 10 કિમી સુધી વધારાનું અંતર કાપવાનો વારો આવ્યો છે.ચોમાસાની(Monsoon) વિકટ પરિસ્થિતિમાં મેડિકલ ઈમરજન્સી કે અન્ય કોઈ પણ ઇમરજન્સી સર્જાય ત્યારે લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. તૂટેલા રસ્તા અને નાળાને કારણે ગામો તેમજ ફળિયા વિખૂટા પડતા બાળકો શાળાએ પણ જઈ શકતા નથી,ત્યારે જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત રસ્તાઓ અને કોઝ-વેનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે.