Panchmahal: જાત મહેનત જિંદાબાદ ! ચેકડેમમાં પડેલુ ગાબડું પુરવા ગ્રામજનોએ જાતે જ કવાયત શરુ કરી
પંચમહાલના (Panchmahal) કાલોલમાં આવેલા રામનાથ ગામમાં સિંચાઈ વિભાગ (Irrigation Department) ઊંઘતું રહ્યું અને તૂટેલા ગોમા નદી પરનું ચેકડેમનું રિપેરિંગ ન થયું. ઘણીવાર રજૂઆત છતાં સિંચાઈ વિભાગએ કઇ ધ્યાનમાં જ લીધુ
10થી 15 જેટલા ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી (Irrigation water) આપનાર ચેકડેમમાં ગાબડું પડવું એ ખેડૂતોના (Farmers) ભવિષ્યમાં ગાબડું પડવા સમાન છે. પંચમહાલના (Panchmahal) કાલોલમાં નિંભર સિંચાઈ વિભાગની બેદરકારી સામે આવી છે. ચેકડેમ એક બાજુથી તૂટી જતા સિંચાઈના પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. જો કે પાણીનો સતત વ્યય થતો રહ્યો અને લોકોની વારંવારની રજૂઆત છતાં અધિકારી ઊંઘતા જ રહ્યા. નિંભર સિંચાઈ વિભાગના અધિકારીઓના પાપે ગોમા નદી પરનું ચેકડેમ રિપેર ન થયું.જેથી વરસાદી પાણીનો સંગ્રહ ન થઈ શક્યો. જેના કારણે ખેડૂતોએ ચેકડેમ રિપેર કરવાની કામગીરી શરુ કરી દીધી.
સ્વખર્ચે તૂટેલો ચેકડેમ રિપેર કરવાની કામગીરી
વરસાદી સીઝનમાં સિંચાઈનું પાણી સંગ્રહ કરવા માટે ઘણી જગ્યાએ ચેકડેમ બનાવવામાં આવતા હોય છે પરંતુ ઘણીવાર તંત્રની ઘોર બેદરકારીને પગલે ચેકડેમ તૂટેલા રહી જાય છે અને લાખો લીટર પાણીનો વેડફાટ થતો રહે છે. પંચમહાલના કાલોલમાં આવેલા રામનાથ ગામમાં સિંચાઈ વિભાગ ઊંઘતું રહ્યું અને તૂટેલા ગોમા નદી પરનું ચેકડેમનું રિપેરિંગ ન થયું. ઘણીવાર રજૂઆત છતાં સિંચાઈ વિભાગ પાણીમાં બેસી રહ્યું.આખરે 10 ગામના ખેડૂતોએ “જાત મહેનત જિંદાબાદ” કરીને સ્વખર્ચે તૂટેલો ચેકડેમ રિપેર કરવાની કામગીરી હાથ ધરી.
કાર્યપાલક ઈજનેરનો લૂલો બચાવ
ચેકડેમના જે પાણીથી ખેડૂતો ભાવિનું સિંચન કરતા હોય છે એ પાણી સિંચાઈ વિભાગની બેદરકારીને પગલે વેડફાઈ ગયું છે, પરંતુ ફરી વરસાદમાં પાણી ન ફેડવાય તેની ચિંતા પણ સિંચાઈ વિભાગે કરી નથી. ચેકડેમ તૂટ્યાના 3 દિવસમાં પણ કોઈ કામગીરી ન કરાઈ. જેને પગલે ખેડૂતોએ જાતે જ ચેકડેમ રિપેર કરવાની શરૂઆત કરી. ચેકડેમ રિપેર કરી રહેલા દ્રશ્યો સિંચાઈ વિભાગના ગાલે તમાચા સમાન છે. જો કે બેદરકારી હોવા છતાં કાર્યપાલક ઈજનેર વી.આર.તલાર લૂલો બચાવ કર્યો હતો.
હાલ તો ચેકડેમ રિપેર કરીને પાણી બચાવવાની કવાયત હાથ ધરાઈ છે. પરંતુ સવાલ એ થઈ રહ્યો છેકે, લેખિત રજૂઆત છતાં ચેકડેમ રિપેર કેમ ન થયું? શું સિંચાઈ વિભાગને પાણી બચાવવાની ચિંતા જ નથી? જો સિંચાઈ વિભાગ આવી જ બેદરકારી રાખશે તો ચોક્કસથી આગામી દિવસોમાં ચેકડેમ બગડતા રહેશે અને સિંચાઈ માટેનું પાણી વેડફાતું રહેશે.
(વીથ ઇનપુટ- કુંજ પટેલ, પંચમહાલ)