Panchmahal: જાંબુઘોડાના જોટવડ ગામે જમીનની લાલચમાં પુત્રએ સગી જનેતાને ગડદાપાટુનો મૂઢ માર મારી હત્યા કરી નાખી
ઘવાયેલા ગંગાબેનને જાંબૂઘોડાના સરકારી દવાખાને લઈ જવાયા હતા, જ્યાં તેમની હાલત વધુ નાજુક જણાતાં વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા જયાં ફરજ પરના તબીબે ગંગાબેનને તપાસી મૃત જાહેર કર્યા હતા.
જાંબુઘોડા તાલુકાના જોટવડ ગામે જમીનની લાલચમાં પુત્રએ પોતાના દીકરાની મદદથી સગી જનેતાને ગડદાપાટુનો મૂઢ માર મારી મોત નિપજાવતા ચકચાર મચી જવા પામી છે, જેમાં માનવતાને લજવતું કૃત્ય કરી જમીનના ટુકડા માટે જનેતાની હત્યા કરનાર આરોપી પિતા-પુત્રની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી જેલના હવાલે કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
જાંબુઘોડા તાલુકાના જોટવડ ગામે જમીનના ટુકડામાં ભાગ માટે સગા પુત્રએ પોતાના દીકરા સાથે મળી જનેતાની માર મારી મોત નિપજાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે, જેમાં પુત્રને જમીનમાં પોતાના હકનો ભાગ મળી જવા છતાં વધુ જમીનની લાલચ રાખી જન્મ દેનાર માતાને પોતાના પુત્રની મદદથી માર મારી હત્યા કરનાર પુત્ર સહિત પૌત્ર સામે પણ પંથકના લોકોએ ફિટકાર વરસાવ્યો છે.
જોટવડ ગામે પોતાના નાના પુત્ર સંજયભાઈ વેચતભાઈ બારીયા સાથે રહેતા ગંગાબેન વેચાતભાઈ બારીયાના પતિ વેચાતભાઈનું 3 વર્ષ અગાઉ મરણ થતા ગંગાબેને પોતાના મોટા દીકરા રાજેશભાઇ અને નાના દીકરા સંજયભાઈના સરખે ભાગે જમીનનો ભાગ પાડી જમીનનો એક ટુકડો ગંગાબેને પોતાની પાસે રાખ્યો હતો, જેમાં ગંગાબેન નાના દીકરા સંજભાઈના પરિવાર સાથે રહેતા હોય તે જમીન પણ સંજયભાઈ ખેડતા હતા, મોટા પુત્ર રાજેશભાઈ વેચાતભાઈ બારિયાએ જમીન ફરીવાર ભાગ પાડવાની માંગણી કરતા ગંગાબેન ઇન્કાર કરી દેતા રાજેશભાઈએ 3 માર્ચ ગુરૂવારના સવારે ગંગાબેન પાસે આવી જમીનમાં નવેસરથી ભાગ પાડી પોતાને જમીનમાં ભાગ આપવા માંગણી કરી હતી.
સરખે ભાગે જમીન વહેંચી છે, હવે નવેસરથી ભાગ નહી પડે તેમ ગંગાબેને કહ્યું હતું ,જે બાદ રાજેશભાઇએ ફરી સાંજે માતા ગંગાબેન પાસે પોતાના પુત્ર રાહુલભાઈ સાથે આવી જમીન ભાગ પાડવા બાબતે ઝઘડો કરી રાજેશભાઈ અને તેઓના પુત્ર રાહુલે ભેગા મળી ગંગાબેનને માર મારી જમીન પર પાડી દઈ ગડદાપાટુનો મૂઢ માર મારી જમીનમાં ભાગ આપી દો નહી તો બધાને જાનથી મારી નાખવાની ધમકી આપી વચ્ચે છોડાવવા પડેલા પોતાના ભાભી નયનાબેનને પણ માર મારી પિતા-પુત્ર ત્યાંથી ભાગી ગયા હતા.
પુત્ર અને પૌત્રના ગડદાપાટુના મૂઢ મારથી ઘવાયેલા ગંગાબેનને બેભાન અવસ્થામાં જાંબૂઘોડાના સરકારી દવાખાનામાં સારવાર માટે લઈ જવાયા હતા,જ્યાં તેમની હાલત વધુ નાજુક જણાતાં સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે તેમના નાના પુત્ર સંજયભાઈ તેઓને વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા જયાં ફરજ પરના તબીબે ગંગાબેનને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા.
પોતાની સગી જનેતાને જમીનના ટુકડા ખાતર મોત આપનાર રાજેશભાઇ તેમજ દાદીને માર મારી હત્યા કરવામાં પિતાને સાથ આપનાર રાહુલ સામે જાંબુઘોડા પોલીસમથકે તેઓના નાનાભાઈ સંજયભાઈએ ફરિયાદ નોંધાવતા જાંબુઘોડા પોલીસે હત્યાનો ગુનો નોંધી બન્ને પિતા-પુત્રને ગણતરીના કલાકોમાં ઝડપી લઇ જેલના હવાલે કર્યા હતા અને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ Bhavnagar: ડુંગળીના ભાવ તળીયે જતાં ખેડૂતો પાયમાલ થઇ જાય તેવી સ્થિતિ
આ પણ વાચોઃ આજે PSI ભરતીની પ્રિલિમનરી પરીક્ષા, 312 પરીક્ષા કેન્દ્ર પર કડક બંદોબસ્ત ગોઠવાયો