Panchmahal : પશુઓમાં લમ્પી વાયરસના કેસ મળી આવતા રસીકરણ હાથ ધરાયું
પંચમહાલ (Panchmahal) જિલ્લામાં પણ લમ્પી વાયરસની એન્ટ્રી થઈ છે, ગોધરા નજીક આવેલ પરવડી ગમમાં આવેલી ગૌશાળામાંથી લમ્પી વાયરસ ના ૧૫ કેસ મળી આવ્યા હતા, જેને લઇને જિલ્લાનું પશુપાલન વિભાગ હરકતમાં આવ્યું છે
ગુજરાતમાં(Gujarat) હાલ લમ્પી વાયરસ (Lumpy Virus) ના રોગચાળાએ ભરડો લીધો છે. આ રોગ પશુઓમાં જોવા મળી રહ્યો છે, ત્યારે પંચમહાલ (Panchmahal) જિલ્લામાં પણ લમ્પી વાયરસની એન્ટ્રી થઈ છે, ગોધરા નજીક આવેલ પરવડી ગમમાં આવેલી ગૌશાળામાંથી લમ્પી વાયરસ ના ૧૫ કેસ મળી આવ્યા હતા, જેને લઇને જિલ્લાનું પશુપાલન વિભાગ હરકતમાં આવ્યું છે, પશુપાલન વિભાગ દ્વારા તમામ ૧૫ ગાયોને રસીકરણ કરીને આઇશોલેશનમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવી છે. જેને લઇને આ રોગ અન્ય પશુઓમાં ન ફેલાય તે માટે પશુપાલન વિભાગ દ્વારા તકેદારીઓ રાખવામાં આવી રહી છે.
આ જ ગૌશાળામાં 1600 ઉપરાંત પશુઓ પણ રાખવામાં આવ્યા છે, જેને લઇને આ રોગચાળો અન્ય પશુઓમાં ન વકરે તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. પશુપાલન વિભાગ દ્વારા જિલ્લામાં આવેલી અન્ય ગૌશાળામાં પણ રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે.જિલ્લામાં હાલમાં 300 ઉપરાંત પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા હાલ લમ્પી વાયરસના સર્વેલન્સ માટે 22 ટીમો બનાવીને જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે.
20 જિલ્લાઓ લમ્પી વાયરસની લપેટમાં
20 જિલ્લાઓ લમ્પી વાયરસની લપેટમાં આવી ગયા છે. અત્યાર સુધીમાં 1600થી વધુ ગાયોના લમ્પીના કારણે મોત થયા છે. તંત્રના સબસલામતના દાવા વચ્ચે હજુ પણ લમ્પીના કેસ વધી રહ્યા છે.દાહોદ અને સાબરકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં પશુઓ લમ્પીગ્રસ્ત થતા ચિંતામાં વધારો થયો છે. તો બીજી તરફ લમ્પી રોગના કારણે દૈનિક દૂધ ઉત્પાદનમાં પણ જંગી ઘટાડો નોંધાયો છે. સૌરાષ્ટ્ર-કચ્છની ડેરીઓમાં 5થી લઈને 27 ટકા દૈનિક દૂધ ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે.
કચ્છ જિલ્લામાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો
રાજ્યમાં લમ્પી વાયરસનો વ્યાપ સતત વકરી રહ્યો છે.ખાસ કરીને કચ્છ જિલ્લામાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે.આ ખતરનાક વાયરસથી પશુધનને બચાવવા રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે લમ્પીગ્રસ્ત ગાયોની સારવાર માટે આયુર્વેદિક ઔષધીઓનો ઉપયોગ વધુ ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે.કચ્છમાં આઇસોલેશન સેન્ટરમાં આયુર્વેદિક ઉકાળા અને અન્ય લેપ દ્વારા લમ્પીગ્રસ્ત ગાયોની સારવાર કરવામાં આવી રહી છે.ચેપગ્રસ્ત પશુઓ પર ફટકડી અને લીમડાના રસાયણનો છંટકાવ કરવામાં આવે છે અને આયુર્વેદિક પદ્ધિત અપનાવીને અમૂલ્ય પશુધનને બચાવવાની કવાયત હાથધરાઈ છે.