Narendra Modi Gujarat Visit: સુલતાન મહમુદ બેગડાએ મંદિર તોડીને બનાવી હતી દરગાહ, પાવાગઢના મહાકાળી મંદિરમાં 500 વર્ષ બાદ લહેરાવાઈ ધ્વજા
મંદિરના ટ્રસ્ટી અશોક પંડ્યાએ જણાવ્યું કે લગભગ 500 વર્ષ પહેલા સુલતાન મહમૂદ બેગડા દ્વારા મંદિરના શિખરને તોડી પાડવામાં આવ્યું હતું. જો કે, પાવાગઢ (Pavagadh) પર 11મી સદીમાં બનેલા આ મંદિરના શિખરને પુનઃવિકાસ યોજના હેઠળ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે.
ગુજરાત(Gujarat)ના પંચમહાલ જિલ્લામાં સ્થિત પ્રસિદ્ધ મહાકાળી મંદિરના શિખર પર 500 વર્ષ બાદ ધ્વજા ફરકાવવામાં આવી છે. મંદિરની ઉપરની દરગાહ તેના રખેવાળની સંમતિથી ખસેડવામાં આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)આજે શનિવારે અહીં ધ્વજા ફરકાવી. મંદિરના ટ્રસ્ટી અશોક પંડ્યાએ જણાવ્યું કે લગભગ 500 વર્ષ પહેલા સુલતાન મહમૂદ બેગડા દ્વારા મંદિરના શિખરનો નાશ કરવામાં આવ્યો હતો.
જો કે, પાવાગઢ પર 11મી સદીમાં બનેલા આ મંદિરના શિખરને પુનઃવિકાસ યોજના હેઠળ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Gujarat Visit) હાલ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે વડાપ્રધાને નવનિર્મિત શિખર પર પરંપરાગત લાલ ધ્વજા ફરકાવી છે. આ મંદિર ચાંપાનેર-પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાનનો એક ભાગ છે, જે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સૂચિમાં સામેલ છે અને દર વર્ષે લાખો ભક્તો તેની મુલાકાત લે છે.
સુલતાન મહમૂદ બેગડાએ તોડી પાડ્યુ હતું મંદિરનું શિખર
પંડ્યાએ જણાવ્યું કે એવું માનવામાં આવે છે કે ઋષિ વિશ્વામિત્રએ પાવાગઢમાં કાલિકા દેવીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. 15મી સદીમાં ચાંપાનેર પરના હુમલા દરમિયાન સુલતાન મહમૂદ બેગડા દ્વારા મંદિરના મૂળ શિલાને તોડી પાડવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે શીખરને તોડી પાડ્યાના થોડા સમય બાદ જ મંદિર ઉપર પીર સદનશાહની દરગાહ બનાવવામાં આવી હતી. પંડ્યાએ કહ્યું, ‘ધ્વજા ફરકાવવા માટે થાંભલા કે શિખરની જરૂર હોય છે. જોકે મંદિર પર શિખર ન હોવાથી આ વર્ષો દરમિયાન ધ્વજા લહેરાવવામાં આવી ન હતી. જ્યારે થોડા વર્ષો પહેલા પુનઃવિકાસનું કામ શરૂ થયું ત્યારે અમે દરગાહના સંભાળ રાખનારાઓને વિનંતી કરી હતી કે દરગાહને સ્થળાંતર કરવાની મંજૂરી આપો જેથી મંદિરના શિખરનું પુનઃનિર્માણ થઈ શકે.
125 કરોડથી થયો મંદિરનો પુનઃવિકાસ
પંડ્યાએ કહ્યું કે એવી લોકવાયકા છે કે સદનશાહ હિંદુ હતા અને તેમનું મૂળ નામ સહદેવ જોશી હતું જેણે બેગડાને ખુશ કરવા ઇસ્લામ કબૂલ કર્યો હતો. એવું પણ માનવામાં આવે છે કે મંદિરને તેના સંપૂર્ણ વિનાશમાંથી બચાવવામાં સદનશાહે મહત્વની ભૂમિકા ભજવી હતી. પંડ્યાએ કહ્યું, “દરગાહને મંદિરની નજીક લઈ જવા માટે સમજૂતી થઈ હતી.” નોંધપાત્ર રીતે, મંદિરને રૂ. 125 કરોડના ખર્ચે પુનઃવિકાસ કરવામાં આવ્યું હતું, જેમાં ટેકરી પર સ્થિત મંદિરના પગથિયાંને પહોળા કરવા અને આસપાસના વિસ્તારને સુંદર બનાવવાનો સમાવેશ થાય છે.