Gujarat Election 2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 જૂનથી બે દિવસના ગુજરાત પ્રવાસે, મિશન દક્ષિણ ગુજરાત પછી મિશન મધ્ય ગુજરાત કરશે શરૂ
ગુજરાતનો (Gujarat) ગઢ કબજે કરવા ભાજપે કમર કસી છે. ત્યારે મિશન ગુજરાતના ભાગરૂપે ફરી એકવાર પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વતનની મુલાકાતે આવશે. આગામી 17 અને 18 જૂને પીએમ મોદી ગુજરાતની મુલાકાત લેશે.
વિધાનસભા ચૂંટણી (Assembly Elections) પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) ગુજરાતના પ્રવાસ વધારી દીધા છે. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસને લઈને થોડા ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જૂને ગુજરાત પ્રવાસે આવવાના હતા. હવે વડાપ્રધાન મોદી 17 અને 18 જૂને પંચમહાલ અને વડોદરા (Vadodara) જિલ્લાની મુલાકાત લેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમગ્ર કાર્યક્રમ
ગુજરાતનો ગઢ કબજે કરવા ભાજપે કમર કસી છે. ત્યારે મિશન ગુજરાતના ભાગરૂપે ફરી એકવાર પીએમ નરેન્દ્ર મોદી વતનની મુલાકાતે આવશે. આગામી 17 અને 18 જૂને પીએમ મોદી ગુજરાતની મુલાકાત લેશે. પીએમ મોદીના પ્રવાસની વાત કરીએ તો તેઓ 17મી જૂને ગાંધીનગરના રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે. ત્યારબાદ બીજા દિવસે એટલે 18 જૂને તેઓ યાત્રાધામ પાવાગઢની મુલાકાતે જશે. જ્યાં સવારે 9-15 કલાકે પીએમ મોદી પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શન કરશે. ત્યારબાદ તેઓ 11.30 કલાકે પાવાગઢ નજીક વિરાસત વનની મુલાકાત લેશે.
વડોદરામાં “ગુજરાત ગૌરવ અભિયાન”માં જોડાશે
વિરાસત વનની મુલાકાત બાદ પીએમ મોદી વડોદરા જશે. વડાપ્રધાન વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે બપોરે 12:30 કલાકે “ગુજરાત ગૌરવ અભિયાન” કાર્યક્રમમાં હાજરી આપશે. એટલું જ નહીં પીએમ મોદી પ્રધાનમંત્રી આવાસ યોજનાના 8,907 આવાસનું લોકાર્પણ કરશે તો વડોદરામાં ગતિશક્તિ બિલ્ડિંગનું પણ લોકાર્પણ કરશે. રેલવે વિભાગના વિવિધ પ્રોજેક્ટ અંતગર્ત 16,369 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. સાથે સાથે 18 જૂને અમદાવાદ-બોટાદના લોકોને પીએમ મોદી વિકાસની ભેટ આપશે. 18 જૂને અમદાવાદ-બોટાદ વચ્ચે રેલવે લાઈન શરૂ કરાશે. અમદાવાદ-બોટાદ ટ્રેનને પીએમ મોદી લીલીઝંડી બતાવશે.
મળતી માહિતી અનુસાર વડાપ્રધાન મોદી ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા દર મહિને ગુજરાતનો પ્રવાસ કરશે. ગુજરાતના ખુણા ખુણામાંથી ભાજપને વોટ મળી રહે તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી સતત ગુજરાતની મુલાકાત લઈને ભાજપના કાર્યકરોમાં જોશ પુરતા રહેશે. તેમજ આગળની રણનીતિ અંગેનું માર્ગદર્શન આપતા રહેશે.
આ પહેલા 10 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીખલીમાં PMએ 3,050 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂર્હત કર્યુ હતુ. ત્યારબાદ તેમણે નિરાલી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું પણ લોકાર્પણ કર્યું હતુ. સાથે જ નવસારીમાં બહુવિધ સરકારી યોજનાઓના (Government Scheme) લાભાર્થીઓ સાથે ફ્રી વ્હીલિંગ વાર્તાલાપ કર્યો હતો. વડાપ્રધાને વિવિધ યોજનાઓનો લાભ લોકોને કેવી રીતે મળ્યો તે અંગે પ્રથમ હાથનો પ્રતિસાદ માગ્યો હતો તો અમદાવાદમાં વડાપ્રધાન મોદીએ બોપલમાં આવેલા ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટરના (IN-SPACe) મુખ્યાલયનું ઉદ્ધાટન કર્યું હતુ.
10 જૂન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28 મેના રોજ રાજકોટ જિલ્લાની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે આટકોટ ખાતે રૂપિયા 40 કરોડના ખર્ચે બનેલી 200 બેડની કે. ડી. પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યુ હતુ. બાદમાં રાજકોટમાં જનસભા પણ સંબોધી હતી.