Navsari : ગણદેવીમાં મહિલાને મોતને ઘાટ ઉતારી દેનારના આતંકથી લોકો સીમમાં જતાં ડર અનુભવે છે, જાણો શું છે મામલો
ખેરગામ ગામમાં ખેતમજુર તરીકે સીમમાં કામ કરવા ગયેલા ૬૫ વર્ષીય વૃદ્ધા કામનો સમય પૂર્ણ થવા છતાં ઘરે પરત ફર્યા ન હતા. પરિવારજનો અને પાડોશીઓએ આસપાસના વિસ્તારમાં શોધખોળ કરવા છતાં ક્યાંય પત્તો ન મળતા ખેરગામની સીમમાં શોધખોળ કરવામાં આવી હતી.
નવસારી(Navsari ) જિલ્લાના ગણદેવી(Gandevi) તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં જંગલી સુવર(Wild boar)નો આતંક હવે સ્થાનિકોમાં નુક્સાનીના ત્રાસ પૂરતો સીમિત ન રહી જીવન જોખમ સમાન સાબિત થઇ રહ્યો છે. ખેતરમાં કામ કરતી એક મહિલા ઉપર હુમલો કરી આ ડુક્કરોએ તેને ગંભીરરીતે ઈજાગ્રસ્ત કરી હતી જેનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ વનવિભાગે તપાસ શરૂ કરી છે જોકે જંગલી ડુક્કરોના હુમલાની આ ઘટનાઓ બાદ ખેતમજૂરો સીમમાં કામ કરતા ભય અનુભવી રહ્યા છે જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. જો પૂરતી સંખ્યામાં અને પૂરતો સમય ખેતમજૂરો સીમમાં કામ ણ કરે તો ખેતીની ઉપજ ઘટવાનો અથવા પાકને નુકસાનનો ભય વ્યક્ત કરાઈ રહ્યો છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ખેરગામ ગામમાં ખેતમજુર તરીકે સીમમાં કામ કરવા ગયેલા ૬૫ વર્ષીય વૃદ્ધા કામનો સમય પૂર્ણ થવા છતાં ઘરે પરત ફર્યા ન હતા. પરિવારજનો અને પાડોશીઓએ આસપાસના વિસ્તારમાં શોધખોળ કરવા છતાં ક્યાંય પત્તો ન મળતા ખેરગામની સીમમાં શોધખોળ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન મહિલા બેભાવ અવસ્થામાં લોહીલુહાણ મળી આવી હતી. તાત્કાલિક સારવાર માટે ગણદેવી આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવી હતી. ટૂંકી સારવાર બાદ ફરજ ઉપરના તબીબોએ મહિલાને મૃત ઘોષિત કરી હતી.
પ્રાથમિક તપાસમાં મહિલાની આ સ્થિતિ સીમમાં આતંક મચાવી રહેલા જંગલી ડુક્કરોએ કરી હતી. ગણદેવી તાલુકાના આ વિસ્તારમાં ડુક્કર સ્થાનિકોને ખુબ પરેશાન કરી રહ્યા છે. સીમમાં રખડતા આ પશુ ગમે ત્યારે ખેડૂત અથવા ખેતમજૂરો પાછળ હુમલો કરવાના ઇરાદે દોડે છે. ચિંતા ત્યારે ઉભી થાય છે જયારે નાનું બાળક સીમમાંથી પસાર થાય છે. ઘણીવાર વડીલો સાથે હોવા છતાં ડુક્કર નાના બાળકો તરફ ધસી જવાનો પ્રયત્ન કરતા હોય છે જે સમયે વડીલો માટે ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થતું હોય છે.
મંગળવારે ૬૫ વર્ષીય મહિલાના ડુકકરના હુમલાના કારણે મોતની ઘટના બાદ તેના મૃતદેહને પોસ્ટ મોટર્મ માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટના સંદર્ભે પોલીસે અકસ્માત મોત નોંધ હેઠળ આગળની તપાસ શરૂ કરી છે. બીજી તરફ ઘટના અંગે વનવિભાગને પણ વાકેફ કરવામાં આવ્યું હતું. વનવિભાગના અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લઈ સ્વતંત્ર તપાસ શરૂ કરી છે. ઘટના બાદ સ્થાનિકોએ સીમમાં આતંક મચાવી રહેલા ડુક્કરોને પકડી માનવીઓ માટે સલામત સ્થળે છોડવાની માંગ કરી રહ્યા છે.