Navsari : દૂધાળા પશુઓમાં “લમ્પી સ્કીન ડિસીસ”નો હાહાકાર, પશુપાલન વિભાગમાં દોડધામ
ખેરગામ વિસ્તારોમાં છેલ્લા બે માસથી લમ્પી સ્કીન ડિસીસ નામના રોગના પેસારાથી પશુપાલકો ભયથી ફફડી રહ્યા છે. ખેરગામ તાલુકામાં આ રોગ પહેલીવાર જોવા મળ્યો છે.ખાસ કરીને ગાયમાં આ રોગ વધુ ફેલાય છે.
Navsari : જીલ્લામાં પશુપાલન એ મુખ્ય વ્યવસાય છે. સમગ્ર જીલ્લામાં બે લાખ જેટલા દુધાળા પશુઓ છે. ખાસ કરીને મોટાભાગના લોકો ડેરી ઉદ્યોગ સંકળાઈને સારી એવી કમાણી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ, પશુઓમાં રોગચાળો ફેલાતા સમસ્યા વધી છે. આરોગ્ય વિભાગ અને પશુપાલન વિભાગ દોડતું થયું છે.
દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આજે પણ ઘણા લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય ઉપર નિર્ભર છે. પશુપાલનના પૂરક વ્યવસાય થકી આર્થિક રીતે ઘણા પરિવારો પગભર થયા છે.પરંતુ હાલમાં નવસારી જિલ્લાના અનેક તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પશુઓમાં લમ્પી સ્કીન ડિસીસ નામના રોગે હાહાકાર મચાવ્યો છે.સમગ્ર જીલ્લામાં આ રોગે ભરડો લીધો છે.
ત્યારે ખેરગામ વિસ્તારોમાં છેલ્લા બે માસથી લમ્પી સ્કીન ડિસીસ નામના રોગના પેસારાથી પશુપાલકો ભયથી ફફડી રહ્યા છે. ખેરગામ તાલુકામાં આ રોગ પહેલીવાર જોવા મળ્યો છે.ખાસ કરીને ગાયમાં આ રોગ વધુ ફેલાય છે.જેમાં પહેલા તાવ આવે છે.અને પછી શરીર પર ગુમડા નીકળીને ચાંદાં પડે છે.
અંધશ્રધ્ધાથી ભરમાવું નહીં, પશુ ચિકિત્સકનો સંપર્ક કરો
છેલ્લા 2 મહિનાથી આ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે.અને અત્યાર સુધી ખેરગામના સરકારી પશુ દવાખાનામાં 100 થી 150 જેટલા પશુને આ રોગની સારવાર આપવામાં આવી છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં અંધશ્રદ્ધા વધુ ફેલાયેલી હોય છે.ત્યારે લોકો પશુઓને બચાવવા માટે અંધશ્રદ્ધાના રવાડે પણ ચડ્યા. જોકે સરકારી પશુ દવાખાનાના ડોક્ટરે ઘણા લોકોને સમજાવી પશુઓનું ઈલાજ કરતા ઘણા પશુઓ સારા પણ થયા છે. તેથી આવા સમયે અંધશ્રદ્ધા છોડી લોકોએ પશુ ડોકટરની સલાહ લેવી વધુ હિતાવહ છે.
લમ્પી સ્કીન ડિસીસના લક્ષણો
આ રોગમાં પશુને તાવ આવે છે અને શરીરે ગુમડા જોવા મળે છે. સાથે જ પશુ દૂધ ઓછું આપતું થઈ જાય છે. જેથી આવા લક્ષણો જો પશુમાં દેખાય તો પશુપાલકે ગભરાવાની જગ્યાએ નજીકના પશુચિકિત્સકની સલાહ લઈ રોગથી બચવા માટે સામાન્ય રીતે આ રોગમાં અસરગ્રસ્ત પશુઓને અન્ય પશુઓથી અલગ બાંધવું જોઈએ.
પશુઓની આ રીતે રાખો કાળજી
પશુની બાંધવાની જગ્યા માખી-મચ્છર રહીત રાખવી જોઇએ. આ રોગથી સંક્રમિત પશુને ખોરાક અને પાણી અલગ આપવું, અસરગ્રસ્ત વિસ્તારમાં પશુઓને ચરવા લઈ જવાનું ટાળવું, પશુ રહેઠાણ અથવા વાડાઓને જીવાણુંનાશક દવાઓનો છંટકાવ કરવો તેમજ ધુમાડો કરવો, જેવી કાળજી રાખવાની ખાસ જરૂરિયાત છે.
મહત્વનું છે કે પશુપાલન સાથે સંકળાયેલા લોકોએ અંધશ્રદ્ધાથી ભરમાવું યોગ્ય નથી. પોતાના પશુમાં જો આવા લક્ષણ દેખાય તો તાત્કાલિક નજીકના પશુ ચિકિત્સાલયનો સંપર્ક કરી જરૂરી માર્ગદર્શન લેવાથી પશુની આ સામાન્ય બીમારીને ગંભીર થતા અટકાવી શકાય.
આ પણ વાંચો : Shravan-2021 : ભયંકર મુશ્કેલીના સમયમાં કરો કાશીના આ શિવલિંગોના નામનું ઉચ્ચારણ, સર્વ દુઃખને હરી લેશે મહાદેવ !