Navsari : ખેડૂતો માટે ત્રાસદાયક છે લેપ્ટોસ્પાયરોસિસ રોગ, નિયંત્રણ માટે જીલ્લા તંત્રએ ઝુંબેશ હાથ ધરી
Navsari : નવસારી જિલ્લામાં લેપ્ટોસ્પાયરોસિસ (Leptospirosis) રોગ દર ચોમાસામાં ભરડો લે છે. ખેડૂતોને આ બીમારીથી બચાવવા માટે તંત્રએ ઝુંબેશ શરૂ કરી છે.
Navsari : સમગ્ર ગુજરાતમાં ખેડૂતો (Farmers) માટે ભયસમાન લેપ્ટોસ્પાયરોસિસ (Leptospirosis) નામની બીમારીએ ભરડો લીધો છે. ઉંદરના મળ મૂત્ર મારફતે ફેલાતા આ રોગને અટકાવવા નવસારી જીલ્લાનું આરોગ્ય તંત્ર કામે લાગ્યું છે. સામાન્ય રીતે ચોમાસાની ઋતુ દરમિયાન ખેત મજુરો ઉપર લેપ્ટોસ્પાયરોસિસ નામની બીમારીનો ખતરો ગત દિવસોમાં વધ્યો હતો. સરકાર દ્વારા આ રોગના નિયંત્રણ માટે મોટી ઝુંબેશ હાથ ધરી છે.
જેને પગલે નવસારી જીલ્લામાં ગત વર્ષ 2020માં એક પણ લેપ્ટોસ્પાયરોસિસનો દર્દી નોંધાયો નથી. સરકાર દ્વારા ચાલુ વર્ષે પણ સમયસર આ બિમારી નિયંત્રણ માટેના પગલા લેવામાં આવે અને ઉંદર મારવાની દવાનું વિતરણ વહેલી તકે કરવામાં આવે તો ગત વર્ષની જેમ આ વર્ષે એક પણ કેસ નહીં નોંધાય અને ખેડૂત આ બિમારીમાંથી બચી શકે.
લેપ્ટોસ્પાયરોસિસ બીમારીનો શિકાર શરુઆતના સમયમાં ઘણા લોકો થતા હતા પરંતુ સરકાર દ્વારા લેવાયેલ તકેદારીના પગલાને કારણે છેલ્લા 5 વર્ષમાં નવસારી જીલ્લામાં 46 કેસ અને 3 લોકોના મોત નિપજ્યા છે. આ બીમારીને અટકાવવા જૂનથી ઓક્ટોબર સુધી ફિલ્ડ લેવલના આરોગ્ય કર્મચારીઓ કામે લાગ્યા છે.
ચોમાસા ઋતુમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં લેપ્ટોસ્પાઇરોસિસ નામનો રોગ ખાસ કરીને ખેત મજૂરોમાં એટલે શેરડી અને ડાંગરના ખેતરોમાં કામ કરતા લોકોમાં જોવા મળે છે. શરૂઆતના સમયમાં આ રોગના ઘણા કેસો સામે આવતા હતા પરંતુ દિવસેને દિવસે તેની સંખ્યા ઘટતી ગઈ છે.
લેપ્ટોસ્પાઇરોસિસના જીવાણુ જે હાથ પગના કાપામાંથી દાખલ થતા હોય છે. તેના સારવાર માટે આયોડિન મલમ અને અન્ય મલમ અને જો આ મલમ ન હોય તો હળદર અને તેલનું મિશ્રણ કરીને પણ લગાવે તેવી સમજ આપવામાં આવે છે. ઉઘાડા પગે ખેડૂતો ખેતરમાં ખેતી કરવા ન જાય તેના માટે પણ સાવચેતીના પગલાં લેવામાં આવે છે.
આગામી સમયમાં આ રોગના કેસો ન આવે તે માટે સરકારે આયોજન તો કરી દીધું છે. પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ વહેલી તકે તકેદારીના ભાગ રૂપે પગલા લેવામાં આવે તો નવસારી જિલ્લાને આ બીમારીમાંથી બહાર લાવી શકાય.