PM મોદી એકતાનગરમાં કરશે મિયાવાકી ફોરેસ્ટનું લોકાર્પણ, 2 એકર વિસ્તારમાં વિકસાવાયું છે મિયાવાકી જંગલ
પીએમ મોદી (PM MODI) કેવડિયા એકતાનગરમાં બે નવા આકર્ષણોનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. જેમાં એક મિયાવાકી ફોરેસ્ટ છે. કેવડિયામાં એકતા મોલની નજીક 2 એકર વિસ્તારમાં મિયાવાકી જંગલ વિકસાવવામાં આવ્યું છે.
વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 3 દિવસ દરમિયાન તેઓ સભાઓ ગજવીને ઝંઝાવાતી પ્રચાર કરશે. સાથે સાથે કરોડોના વિકાસકાર્યોની ભેટ પણ આપશે. 31 ઓક્ટોબરે સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી કેવડિયાના એકતાનગરમાં બે નવા આકર્ષણોનું લોકાર્પણ કરવાના છે.
પીએમ મોદી કેવડિયા એકતાનગરમાં બે નવા આકર્ષણોનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. જેમાં એક મિયાવાકી ફોરેસ્ટ છે. કેવડિયામાં એકતા મોલની નજીક 2 એકર વિસ્તારમાં મિયાવાકી જંગલ વિકસાવવામાં આવ્યું છે. જેનું પીએમ મોદી લોકાર્પણ કરવાના છે. જે એક જાપાનીઝ અકિરા પ્રેરિત મિયાવાકી ટેકનીક છે. આ પદ્ધતિ ટૂંકા ગાળામાં ગાઢ જંગલોનું નિર્માણ કરવામાં મદદ કરે છે. જેમાં એક જ વિસ્તારમાં શક્ય એટલા નજીક વૃક્ષો વાવવામાં આવે છે.
જે જગ્યા તો બચાવે જ છે, સાથે-સાથે નજીકમાં વાવેલા રોપાને એકબીજાની વૃદ્ધિમાં મદદ કરે છે અને સૂર્યપ્રકાશને જમીન સુધી પહોંચતા અટકાવે છે, જેનાથી નીંદણ ઉગતું અટકે છે. પ્રથમ ત્રણ વર્ષ પછી આ રોપેલા છોડવાઓની જાળવણી કરવાની જરૂર રહેતી નથી. આ પદ્ધતિમાં છોડનો વિકાસ 10 ગણો ઝડપી થાય છે અને પરિણામ સ્વરૂપે 30 ગણુ વધુ ગાઢ જંગલ ઊભું થાય છે. મિયાવાકી પદ્ધતિ માત્ર 2થી 3 વર્ષમાં જંગલ ઊભું કરવામાં મદદરૂપ થાય છે. જ્યારે પરંપરાગત પદ્ધતિઓ દ્વારા એક જંગલ ઊભું કરવામાં 20થી 30 વર્ષનો સમય લાગે છે.
પીએમ મોદી કેવડિયા એકતાનગરમાં ભૂલ ભૂલૈયા ગાર્ડનનું લોકાર્પણ કરશે. આ ગાર્ડનને મેઝ ગાર્ડન પણ કહેવાય છે. આ મેઝ ગાર્ડન સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જંગલ સફારીની સામે 3 એકરમાં વિકસાવાયો છે. જેમાં પ્રવાસીઓને હકારાત્મક ઊર્જા મળી રહે તે હેતુથી શ્રીયંત્રના આકારમાં વિવિધ છોડ રોપાયા છે. અહીં અંદાજે 1 લાખ 80 હજાર જેટલા છોડ રોપાયા છે. જેમાં મુખ્યત્વે મહેંદીના છોડને શ્રીયંત્ર આકારમાં રોપાયા છે. આ ગાર્ડનમાં એવી રીતે છોડ રોપાવામાં આવ્યા છે કે પ્રવાસીઓ આવે તો છોડવાઓની વચ્ચે ભૂલા પડી જાય. જોકે ત્યાં ગાઈડ પણ રાખેલા હશે. જે પ્રવાસીઓને ગાઈડ કરશે અને ગાર્ડનની બહાર કાઢશે. આ ગાર્ડન સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જતા લોકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.