Narmada: બેરોજગાર થયેલા SOUના સફાઈ કર્મીઓની વ્હારે આવ્યું કોંગ્રેસ, જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પ્રોજેક્ટમાં સમાવેશ કરવાની માગ
સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) પ્રવાસન નિયમન સત્તામંડળે સફાઈ મશીન આવતા 150 સ્થાનિક લોકોને છુટા કરી દીધા છે. હવે આ સ્થાનિક સફાઈ કર્મચારીઓની વ્હારે કોંગ્રેસ આવ્યુ છે. છુટા કરાયેલા આ સફાઈ કર્મીઓને પ્રોજેક્ટમાં સમાવવા માગ સાથે કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ.
નર્મદા (Narmada) જિલ્લામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) પ્રવાસન નિયમન સત્તામંડળે સફાઈ કોન્ટ્રાક્ટ બંધ કરી દેતા હવે 150 જેટલા સ્થાનિક સફાઈ કર્મીઓ અટવાઈ પડ્યા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસન નિયમન સત્તામંડળે સફાઈ મશીન આવતા 150 સ્થાનિક લોકોને છુટા કરી દીધા છે. જેને પગલે આ સફાઈ કર્મીઓ (Sweepers) છેલ્લા ઘણા દિવસથી વિરોધ દર્શાવી રહ્યા છે. ત્યારે હવે આ સ્થાનિક સફાઈ કર્મચારીઓની વ્હારે કોંગ્રેસ આવ્યુ છે. છુટા કરાયેલા આ સફાઈ કર્મીઓને પ્રોજેક્ટમાં સમાવવા માગ સાથે કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સમયે સ્થાનિક આદિવાસીઓને રોજગારી મળશે તેવો દાવો કર્યો હતો. જો કે હવે તેમનો દાવો જાણે પોકળ સાબિત થઈ રહ્યો હોય તેવુ લાગી રહ્યુ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ સાફ સફાઈની કામગીરીનો કોન્ટ્રાક્ટ બી.વી.જી. કંપનીને આપવામાં આવ્યો હતો. જો કે વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળે સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ સાફ સફાઈ કરાવતી બી.વી.જી. કંપનીનો કોન્ટ્રાક્ટ બંધ કર્યો છે. જેના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ રહેતા 150 જેટલા આદિવાસીઓ હવે બેરોજગાર બની ગયા છે.
થોડા દિવસથી આ 150 કર્મચારીઓ કચેરી સામે બેસી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે હવે બેરોજગાર થયેલા આ સ્થાનિકોના સમર્થનમાં કોંગ્રેસ પણ આવ્યુ છે. કોંગ્રેસ દ્વારા આ કર્મચારીઓને પુનઃ નોકરી પર લેવા માગ ઉઠાવવામાં આવી છે. કોંગ્રેસે જિલ્લા કલેક્ટરને આવેદન આપી આ કર્મચારીઓને કોઈ પણ પ્રોજેક્ટમાં સમાવવા માગ કરી છે.
માણસથી નહીં મશીનથી સાફ સફાઈ થશે
સ્ટેચ્યુ ઓફ યુનિટી વડોદરા મહાનગર પાલીકાને માઉન્ટેડ આધુનિક રોડ સ્વિપર મશીન દ્વારા સાફ સફાઈનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, એટલે હવે માણસથી નહીં મશીનથી સાફ સફાઈ થશે. જો કે તેના કારણે અહીં રહેતા આદિવાસી લોકોની રોજગારી છીનવાઈ છે.
નર્મદા જિલ્લામાં SOUનું નિર્માણ થયા અહીં રોજગારી મળ્યા બાદ કેવડીયા, કોઠી, લીંબડી, વાગડીયા, નવાગામ, ગોરા ગામના 150 આદિવાસી પરિવારોનું ગુજરાન ચાલતુ હતું. જે તે સમયે એ 6 ગામના સરપંચોએ પોતાના લેટર પેડ પર જેમના નામ આપ્યા એ લોકોની જ બી.વી.જી. કંપનીમાં ભરતી કરવામાં આવી હતી. એસ.ઓ.યુ. આસપાસના વિસ્તારમાં જે લોકોના લારી ગલ્લા હટાવાયા એવા જ લોકો બી.વી.જી. કંપનીમાં કામ કરી રોજગારી મેળવી રહ્યા હતા. જો કે હવે ફરી તેમના માથે એની એ આફત આવીને ઉભી છે. હવે એસઓયુ સત્તા મંડળ એમને અન્ય કોઈક જગ્યાએ રોજગારી આપે છે કે કેમ એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે.