Narmada : રાજપીપળા ખાતે સીએમ રૂપાણીએ દેશની પ્રથમ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સીટીનું ખાતમુહૂર્ત કર્યું
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજપીપલા નજીક જીતનગર ખાતે અંદાજે રૂ.૩૪૧ કરોડના ખર્ચે ૩૯ એકર વિસ્તારમાં નિર્માણ થનાર બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત કર્યું
ગુજરાત(Gujarat)માં સોમવારે રાજપીપલા જીતનગર ખાતે 341 કરોડ ના ખર્ચે બનનાર દેશની પ્રથમ બિરસા મુંડા(Birsa Munda)ટ્રાયબલ યુનિવર્સીટીનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. 39 એકરમાં આ ટ્રાયબલ યુનિવર્સીટી આકાર પામશે. જેમાં 09 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ની રાજ્ય કક્ષાની ઉજવણી નર્મદા જિલ્લાના જીતનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી ની હાજરી માં કરવામાં આવી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના સુશાસનના સફળ પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે આદરવામાં આવેલા જનસેવા યજ્ઞ અનુષ્ઠાનનો નવમો દિવસ અંબાજીથી ઉંમરગામ સુધીના પૂર્વ પટ્ટીના આદિવાસીઓના સર્વાંગીણ વિકાસને સમર્પિત કરવામાં આવ્યો છે.મુખ્યંત્રીએ સોમવારે નર્મદા જિલ્લાના રાજપીપલાથી વિશ્વ આદિવાસી દિવસના અવસરે રાજ્યના ૫૩ આદિજાતિ તાલુકાઓમાં રૂ.૧૭૦૦ કરોડના ૨૮૯ વિકાસકામોનો પ્રારંભ,લોકાર્પણ અને ખાત મુહર્ત કરાવ્યા હતા.
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં અમારી સરકારે સમાજના દરેક વર્ગ,દરેક ક્ષેત્રના સર્વાગી વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવા માટે સર્વગ્રાહી પ્રયાસો આદર્યા છે.તેમણે ઉમેર્યું કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિકાસનો પાયો મજબૂત કરી દેશમાં વિકાસની રાજનીતિની શરૂઆત કરાવી છે.
તેમણે કહ્યું કે અમારી સરકારે આદિવાસી બાંધવોને ખોટા વાયદા વચનો નહી, પરંતુ વનબંધુ કલ્યાણ જેવી મહત્વાકાંક્ષી યોજનાના નક્કર અમલીકરણ દ્વારા આદિવાસીઓને મુખ્ય પ્રવાહમાં જોડી આદિવાસી વિસ્તારોનો સમતુલિત અને સમુચિત વિકાસ કર્યો છે.
વિજય રૂપાણીએ જણાવ્યું કે, વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે રૂ.૯૦ હજાર કરોડના વિકાસકામો શરૂ કરાવ્યા હતા. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં રૂ.૬૦ હજાર કરોડના વિકાસ કામો કરવામાં આવ્યા છે.તેમ જણાવતા તેમણે ઉમેર્યું કે, વનબંધુ કલ્યાણ યોજના ફેઝ -૨ માં આગામી પાંચ વર્ષમાં રાજ્યના આદિવાસી વિસ્તારોમાં રૂ.એક લાખ કરોડના વિકાસ કામો હાથ ધરવામાં આવશે.