Cyclone Tauktae Gujarat : વાવાઝોડાએ સૌરાષ્ટ્ર જ નહિ, નર્મદા જિલ્લામાં પણ તારાજી સર્જી, કેળાના પાકને ખુબ મોટું નુકશાન
તોઉ તે વાવાઝોડા એ સૌરાષ્ટ્ર જ નહિ પણ નર્મદા જિલ્લામાં તારાજી સર્જી છે. તોફાની ચક્રવાતે કેળાના પાકને ખુબ મોટું નુકશાન પહોચાડ્યું છે.
Cyclone Tauktae Gujarat : છેલ્લા બે દિવસથી સમગ્ર ગુજરાતમાં તાઉ તે વાવાઝોડા એ તબાહી મચાવી છે. જેમાં નર્મદા જિલ્લો પણ બાકાત રહ્યો નથી. નર્મદા જિલ્લામાં ખેડૂતો મુખ્યત્વે કેળા અને શેરડી પકવીને ગુજરાન ચલાવતા હોય છે. ત્યારે હાલ વાવાઝોડાના કારણે ખેડૂતોને ખુબ મોટું નુકશાન થયું છે.
જિલ્લામાં હજારો એકરમાં કેળાના પાકનું વાવેતર થાય છે. જેમાંથી 500 એકર તો માત્ર વરખડગામના વિસ્તારમાં જ કેળાના પાકનું વાવેતર કરવામાં આવે છે. જ્યાં છેલ્લા બે દિવસથી વાવાઝોડા ની અસર હતી. જેને કારણે ખેડૂતોના ખેતરમાં કેળાનો જે પાક હતો. તેના છોડ વાવાઝોડાના કારણે નાશ પામ્યા છે.
ઉલ્લેખનીય છે કે ખેડૂતને એક છોડ દીઠ 125 થી 200 રૂપિયા સુધીનો ખર્ચ થતો હોઈ છે. આ આખું ખેતર તૈયાર થતા લગભગ 2 થી 2.5 લાખનો ખર્ચ થતો હોય છે. ખેડૂતે જે ખર્ચ કર્યો છે તે ખર્ચ પણ મળે હાલ તેવી પણ પરિસ્થિતિ નથી. પહેલા લોકડાઉનને કારણે ખેડૂતોને કેળાના ભાવ ન મળ્યો. ત્યારબાદ કોરોનાનો કહેર વધી ગયો. જેથી બજારો બંધ રહ્યા અને ખેડૂત પોતાનો પાક બજારમાં વેચી ના શક્યો.
અને હવે આ વાવઝોડાના લીધે તૈયાર થયેલો પાક ખેતરમાં જ નષ્ટ થઈ ગયો છે. જે ખેડૂતો એ દેવું કરીને ખેતી કરી છે તેમને તો હવે દેવું ચૂકવવાના પણ પૈસા નથી રહ્યા.આ વર્ષે શ્રવણ મહિના માં સારો ભાવ મળશે તે આશાએ કેળાની ખેતી કરી હતી. પણ હવે તો જે કેળાના છોડ પડી ગયા છે. તેને ખેતરમાંથી બહાર કાઢવા માટે મંજૂરી પણ ચૂકવી શકાય તેવી પરિસ્થિતમાં પણ ખેડૂતો નથી રહ્યા.
એક એકર દીઠ લખો રૂપિયાનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. જો હવે વહેલી તકે સરકાર સર્વેની કામગીરી શરુ કરે અને વળતર વેહલું ચૂકવે તો ખેતર સાફ કરાવી શકાય બાકી તો ઘરના પૈસાથી ખેતર સાફ કરાવવું પડશે અને તેના માટે પણ ઊંચા વ્યાજદરે પૈસા ઉપાડીને બોજો લેવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
આ પણ વાંચો : PM Modi એ વાવાઝોડાથી અસરગ્રસ્ત ગુજરાતને કરી 1000 કરોડની રાહતની જાહેરાત