Narmada: કેવડિયામાં રાષ્ટ્રીય સ્તરની રમત ગમતના મંત્રીઓની કોન્ફરન્સનો પ્રારંભ, અનુરાગ ઠાકુર સહિતનાં પ્રધાન અને સેક્રેટરીઓની ઉપસ્થિતિ
કેન્દ્રીય સ્પોર્ટ્સ મંત્રી અનુરાગ ઠાકુર (Union Sports Minister Anurag Thakur) અને ગૃહમંત્રી રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કોન્ફરન્સ શરુ થઇ છે. દીપ પ્રાગટ્ય કરી અનુરાગ ઠાકુર અને હર્ષ સંઘવીએ સ્પોર્ટસ ડેવલોપમેન્ટ કોન્ફરન્સને ખુલ્લો મુક્યો છે.
નર્મદા (Narmada) જિલ્લામાં અવેલા એકતાનગર કેવડિયા (Kevadiya) તૈયાર કરવામાં આવેલુ સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) સંકુલ અત્યારે રાષ્ટ્રીય સ્તરના સરકારી કાર્યક્રમો માટે પહેલી પસંદ બની ગયું છે. આ સંકુલમાં આવેલા ટેન્ટ સિટી 2 ખાતે વારંવાર રાષ્ટ્રીય સ્તરની કોન્ફરન્સનું આયોજન થતું રહે છે. આવી જ વધુ એક કોન્ફરન્સ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના સાનિધ્યમાં કરવામાં આવ્યુ છે. આ વખતે દેશના તમામ રમત ગમત મંત્રીઓની કોન્ફરન્સ યોજાઇ રહી છે. 24 અને 25 જૂન એમ બે દિવસીય કોન્ફરન્સનું કેવડિયામાં આયોજન કરવામાં આવ્યુ છે.
કેન્દ્રીય સ્પોર્ટ્સ મંત્રી અનુરાગ ઠાકુર અને ગૃહમંત્રી રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કોન્ફરન્સ શરુ થઇ છે. દીપ પ્રાગટ્ય કરી અનુરાગ ઠાકુર અને હર્ષ સંઘવીએ સ્પોર્ટસ ડેવલોપમેન્ટ કોન્ફરન્સને ખુલ્લો મુક્યો છે. આ સિવાય ગુજરાત સહિત તમામ રાજ્યોના રમત ગમત મંત્રી અને સચિવો પણ આ કોન્ફરન્સમાં જોડાયા છે. આ કોન્ફરન્સમાં રમત ગમત મંત્રાલયના આગામી કાર્યક્રમો અને આયોજનો અંગે ચર્ચા કરવામાં આવશે.
કેવડિયા ખાતે યોજાનારી રમત ગમતની કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પણ હાજરી રહેશે. આગામી દિવસોમાં સ્પોર્ટસ ક્ષેત્રે થનારા ડેવલોપમેન્ટ અને સુધારા બાબતે આ કોન્ફરન્સમાં ચર્ચા થશે. દેશભરમાં દરેક રમત ક્ષેત્રમાં ખેલાડીઓ હવે આગળ વધી રહ્યા છે. ત્યારે હવે ખેલાડીઓને વધુ સુવિધાઓ મળી રહે અને રમત ગમત ક્ષેત્રમાં ભારત વધુ આગળ વધે તે વિષય પર આ કોન્ફરન્સમાં ચર્ચા થઇ શકે છે.
મહત્વનું છે કે બીજી તરફ નર્મદાના કેવડિયામાં જ આવતીકાલે ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક યોજાવાની છે. જેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ કેવડિયામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તો 26 જૂને પણ તેઓ ફોરેન્સિક સાયન્સની બેઠકમાં ઉપસ્થિત રહેશે. ઉપરાંત અમિત શાહ એકતા ટ્રાઇબલ કેફે, એકતા પાર્ક, સ્ટેચ્યૂ ઓફ યુનિટિ સહિતની મુલાકાત લેશે.