પિતાના મોતનો આઘાત સહન ન થતા પુત્રએ ઝેરી દવા ગટગટાવી મોત વ્હાલુ કર્યુ
આ ઘટનાને પગલે જ યુવાને આપઘાત (Suicide) કર્યો હોવાનું જણાઈ રહ્યું છે. આ મામલે પોલીસે (Police) મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. હળવદ પોલીસ આ કેસમાં આગળ તપાસ કરી રહી છે.
મોરબી (Morbi City) જીલ્લાના હળવદ ગામમા રહેતા એક યુવકે ઝેરી દવા પી લીધી હતી. ત્યારે ટૂંકી સારવાર બાદ યુવકનું મોત નીપજ્યું હતુ. મૃત્યુ પામનાર યુવકના પિતાનું પણ પંદર દિવસ પહેલા જ મૃત્યુ થયુ હોવાનું જાણવા મળેલ છે. જે બાદ પિતાના મોતનો આઘાત સહન ન થતાં આ વિપ્ર યુવાને મોતને વ્હાલુ કર્યું છે. પરિવારમાં પંદર દિવસની અંદર અકાળે બે મોત થવાથી પરીવાર પર આભ તૂટી પડ્યું છે.
શું છે સમગ્ર ઘટના
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મોરબી શહેરના હળવદના રાણેકપર રોડ ઉપર આવેલા સાનિધ્ય બંગ્લોઝમાં રહેતા રવિભાઈ વિજયભાઈ ઉપાધ્યાય નામના યુવાને ઝેરી દવા ગટગટાવી લેતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે મૃતક યુવાનના પિતાનું પખવાડિયા પહેલા જ મૃત્યુ થયું હતું અને યુવાન આઘાતમાં સરી પડ્યો હતો અને ઉદાસ રહેતો હતો. આ ઘટનાને પગલે જ યુવાને આપઘાત કર્યો હોવાનું જણાઈ રહ્યું છે. આ મામલે પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. હળવદ પોલીસ આ કેસમાં આગળ તપાસ કરી રહી છે. આ તરફ પરિવારમાં પંદર જ દિવસમાં બે વ્યક્તિના મોતની ઘટનાને પગલે પરિવારજનોમાં ગમગીનીનો માહોલ સર્જાયો હતો.
રાજકોટમાં પણ સામે આવ્યા આત્મહત્યાના બનાવો
બીજી તરફ રાજકોટના મોરબી રોડ પરના મહાશક્તિ પાર્કમાં રહેતી અને ધો.8માં અભ્યાસ કરતી 14 વર્ષીય વિદ્યાર્થીનીએ આજે ઘરે ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. પોલીસના જણાવ્યા મુજબ વિદ્યાર્થિની એક ભાઈ અને બહેનમાં મોટી હતી, પિતા રીક્ષા ચાલક છે. વિદ્યાર્થિનીનું થોડા દિવસ પહેલા ધો.8માં એડમિશન કરાવાયું હતું. આજે માતા-પિતા કોઈ કામથી બહાર ગયા હતા. બાદમાં વિદ્યાર્થિની ઘરે એકલી હતી અને ત્યારે પંખા સાથે ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો.
એક અઠવાડિયા પહેલાં પણ ધોરણ 10માં અભ્યાસ કરતી અને રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે પરીક્ષા આપી રહેલી વિદ્યાર્થીનીએ બાથરૂમમાં પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કર્યું હતું. ત્યારબાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, પરંતુ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. યુવતીએ પરીક્ષાના ડિપ્રેશનમાં આવી જઈને જાતને સળગાવી જીવાદોરી ટૂંકાવી લીધાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.
ગઈકાલે રાજકોટની પદ્દકુંવરબા હોસ્પિટલના ઈન્ચાર્જ મેટ્રને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યુ હતું. રાજકોટ શહેરના એરપોર્ટ રોડ વિસ્તારમાં રહેતા હેમલતાબેન રમેશભાઈ કનેરીયા એ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. આ ઘટનાની જાણ થતા જ ગાંધીગ્રામ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જેમાં આત્મહત્યા કરતા પહેલા હેમલતાબેને લખેલી ચિઠ્ઠી મળી આવી છે. એક પછી એક સામે આવી રહેલા આત્મહત્યાના બનાવોથી રાજકોટ આત્મહત્યાનું કેપીટલ સિટી બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.