મોરબીના લોકોને રાહત, સિરામિક એસોસીએશન નિર્મિત ઓક્સિજન પ્લાન્ટમાં ઓક્સિજનનું ઉત્પાદન શરૂ
4 કરોડના ખર્ચે મોરબીને ઓક્સિજન માટે આત્મનિર્ભર કરવા ચારથી પાંચ દિવસમાં જ ઓક્સિજન રિફિલ પ્લાન્ટ ઉભો કરી દીધો
કોરોના મહામારી વચ્ચે સિવિલ હોસ્પિટલથી લઈ ખાનગી હોસ્પિટલ અને હોમ આઇસોલેશનમાં રહેનારા મોરબીના દર્દીઓને ઓક્સિજન માટે હવે ભટકવું નહી પડે આજથી મોરબી સિરામિક એસોસિએશન નિર્મિત ઓક્સિજન પ્લાન્ટમાં ઓક્સિજનનું ઉત્પાદન શરૂ કરાયુ.
કોરોના મહામારી વચ્ચે સિવિલ હોસ્પિટલથી લઈ ખાનગી હોસ્પિટલ અને હોમ આઇસોલેશનમાં રહેનારા મોરબીના દર્દીઓને ઓક્સિજન માટે હવે ભટકવું નહીં પડે. આજથી મોરબી સિરામિક એસોસીએશન નિર્મિત ઓક્સિજન પ્લાન્ટમાં ઓક્સિજનનું ઉત્પાદન શરૂ થઈ ચૂક્યું છે, દૈનિક 1000 સિલિન્ડર ભરી શકાય તેવા નવ ટન કેપેસિટીના આ પ્લાન્ટ મોરબી જિલ્લાની મહત્તમ જરૂરિયાત પૂર્ણ કરશે આજે મોરબીના લખધીરપુર રોડ ઉપર એસર ગ્રેનાઈટો ખાતે સિરામિક એસોસીએશનના ચારેય પ્રમુખ, પૂર્વ પ્રમુખો અને અગ્રણી ઉદ્યોગકારો અને સાંસદ મોહનભાઇ કુંડારિયાની હાજરીમાં આ ઓક્સિજન પ્લાન્ટને કાર્યરત કરવામાં આવ્યો હતો.
કોરોના મહામારીના ભયંકર પ્રકોપ વચ્ચે મોરબી જિલ્લાને ઓક્સિજનની ગંભીર કટોકટીનો સામનો કરવો પડ્યો છે અને રાજકોટ સુરેન્દ્રનગરથી મળતો ઓક્સિજન મર્યાદિત બનતા મોરબીને છેક કચ્છ અને ભાવનગરથી ઓક્સિજન પુરવઠો મેળવવા લાંબુ થવું પડતા મોરબી સિરામિક એસોસીએશન દ્વારા ચારેક કરોડના ખર્ચે મોરબીને ઓક્સિજન માટે આત્મનિર્ભર કરવા રાતો રાત ચારથી પાંચ દિવસમાં જ ઓક્સિજન રિફિલ પ્લાન્ટ ઉભો કરી દીધો હતો, જો કે 9 ટન કેપેસિટી વાળા આ ઓક્સિજન પ્લાન્ટ માટે જરૂરી લિક્વિડ ઓક્સિજનનો ક્વોટા ત્વરિત ફાળવવા માટે કેન્દ્ર –રાજ્ય સમક્ષ સાંસદ મોહનભાઈ કુંડારિયા અને ઉદ્યોગકારોએ સઘન પ્રયાસ કરતા અંતે સરકારે લિક્વિડ ઓક્સિજન ફાળવતા આજે સવારે 11 વાગ્યે લખધીરપુર રોડ સ્થિત એસર ગ્રેનાઈટો ખાતે ઓક્સિજન રિફિલ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે.
મોરબીને દરરોજ 1000 ઓક્સિજન સિલિન્ડર રિફિલ થઈ શકે તેવા આ ઓક્સિજન પ્લાન્ટ માટે પ્રથમ તબક્કે 14 ટન લિકવિડ ઓક્સિજન ફાળવવામાં આવતા આજે સિરામિક એસોસીએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા, મુકેશભાઈ કુંડારિયા, કિરીટભાઇ પટેલ, વિનોદભાઈ ભાડજા, સાંસદ મોહનભાઇ કુંડારિયા તેમજ અગ્રણી ઉદ્યોગપતિઓની હાજરીમાં આ પ્લાન્ટ કાર્યાન્વિત કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ઓક્સિજન રિફિલ પ્લાન્ટની મંજૂરીમાં સામાન્ય રીતે ચાર મહિના જેટલો સમય લાગતો હોય છે પરંતુ મોરબીના હિતમાં સિરામિક એસોસિએશન દ્વારા માત્ર ચાર જ દિવસમાં આ પ્લાન્ટની મંજૂરી લાવી આજથી ઓક્સિજન રિફિલ પ્લાન્ટ શરૂ કર્યો છે જેને પગલે હવે મોરબીની હોસ્પિટલો અને કોરોનાના ઓક્સિજન જરૂરિયાતવાળા દર્દીઓને મોટી રાહત મળશે.