Bhavnagar: 12 લાખ રૂપિયાના ખર્ચે મનપાએ ખરીદેલી મોબાઇલ કોર્ટ વાન શોભાના ગાંઠિયા સમાન, પ્રજાના પૈસાનું પાણી થયાનો આક્ષેપ
12 લાખ રૂપિયાની આ મોબાઈલ કોર્ટ વાન શરુઆતમાં માત્ર સાતથી આઠ મહિના સુધી જ શહેરમાં ચાલી હશે. ત્યારબાદ કોરોનાનું ગ્રહણ લાગી જતા તે શોભાના ગાંઠિયા સમાન બની ગઇ છે.
કોરોના (Corona)ની શરુઆત હતી તે સમયે ભાવનગર (Bhavnagar) મહાનગરપાલિકામાં સ્વચ્છતા અભિયાનને વધારે વેગવંતુ બનવવા મોબાઈલ કોર્ટ વાન (Mobile court van) શરૂ કરવામાં આવી હતી. 12 લાખ રૂપિયાવાના ખર્ચે શરુ કરાયેલી આ વાન થોડો સમય શરૂ રહ્યા બાદ હાલમાં બંધ હાલતમાં છે અને ધૂળ ખાતી જોવા મળી રહી છે. આ વાનનો ઉપયોગ કરવામાં નહિ આવે તો સડીને ભંગાર બનતા પણ વાર નહિ લાગે અને પ્રજાના પૈસાનું પાણી થઇ જશે તે નક્કી છે.
ભાવનગર મહાનગપાલિકામાં છેલ્લી છ ટર્મથી ભાજપનું શાસન છે. ત્યારે મનપાના શાસકો અને મનપાના અધિકારીઓ દ્વારા અનેક વાર પ્રજાના પૈસાનું પાણી કરતી ઘટનાઓ સામે આવી છે. ભાવનગર મહાનગપાલિકામાં પ્રજાના પૈસાથી ખરીદાયેલી ઘણી વસ્તુઓ આ વાનની જેમ જ હાલમાં ધૂળ ખાઇ રહી છે.
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 12 લાખ રૂપિયાના ખર્ચે ખરીદાયેલી મોબાઈલ કોર્ટ વાન છેલ્લા એક વર્ષથી શોભાના ગાંઠિયા સમાન એસ્ટેડ વિભાગના પાર્કિંગમાં ધૂળ ખાઈ રહી છે. સરકારની સૂચના મુજબ રાજ્યના દરેક જિલ્લામાં મોબાઈલ કોર્ટ વાન બે વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી હતી, પરંતુ હાલની સ્થિતિ એ છે કે મોબાઈલ કોર્ટ વાન એક વર્ષથી કાર્યરત ન હોવાથી પાર્કિંગમાં પડી-પડી કાટ ખાઇ રહી છે.
12 લાખ રૂપિયાની આ મોબાઈલ કોર્ટ વાન શરુઆતમાં માત્ર સાતથી આઠ મહિના સુધી જ શહેરમાં ચાલી હશે. ત્યારબાદ કોરોનાનું ગ્રહણ લાગી જતા તે શોભાના ગાંઠિયા સમાન બની ગઇ છે. નવાઇની વાત તો એ છે કે આટલી મોટી રકમ ખર્ચી વાહનનો કોઈ ઉપયોગ કરવામાં આવતો નથી. જો કોરોનાના કારણે આ અભિયાન બંધ કરવામાં આવ્યું હોય, તો ભાવનગર મહાનગર પાલિકાનું તંત્ર અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરી વાહનનો ઉપયોગ કરી શકે છે. પરંતુ સત્તાધીશોએ માત્ર શૉ-પીસ મૂકી દીધો હોય તે રીતે આ વાન હાલમાં બિન ઉપયોગી બની ગયુ છે.
ધૂળ ખાતી વાનને લઇને કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે શાસકો પ્રજાના પૈસાનું પાણી કરી શાસકો પોતાની અણઆવડત સાબિત કરી રહ્યા છે. તો બીજી તરફ આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પૂછતા તેમણે આ વાહનનો અન્ય જગ્યા પર ઉપયોગ કરવામાં આવશે તેવો ઉડાઉ જવાબ આપી દીધો હતો. જો કે ક્યારે અને કેવી રીતે તેની કોઇ માહિતી તેમની પાસે હતી નહીં.
આ પણ વાંચો-
Porbandar: પાકિસ્તાનની અવળચંડાઈ, ભારતીય જળ સીમા નજીકથી એક બોટ સહિત 7 માછીમારોનું અપહરણ
આ પણ વાંચો-