મહેસાણામાં હોમિયોપેથી કોલેજની પ્રોફેસરના ત્રાસથી વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત- Video

શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ જીવન ટુંકાવી રહ્યાં છે. તેમના પર પ્રેશર વધારે છે અથવા વાલીઓની અપેક્ષાઓ પર તેઓ ખરા નથી ઉતરતા. પરંતુ કેટલીક ઘટનાઓ એવી પણ સામે આવે છે જેમાં શિક્ષક કે પ્રોફેસર જાહેરમાં અપમાનિત કરી પરેશાન કરતા હોય અથવા કોઇપણ બહાના હેઠળ અયોગ્ય સ્પર્શ કરી વધુ લખાણ આપતા હોવાની ફરિયાદ પણ સામે આવી છે. મહેસાણાની કોલેજમાં કંઇક આવું જ બન્યું.

| Edited By: | Updated on: Jan 30, 2025 | 8:56 PM

મહેસાણા-વિસનગર હાઈવ પર બાસણા નજીક આવેલ મર્ચન્ટ કોલેજના હોમીઓપેથીક મેડિકલ કોલેજમાં સુરેન્દ્રનગર જિલ્લાના નગવાડા ગામની 18 વર્ષીય શ્રીમાળી ઉર્વશી નામની વિદ્યાર્થીની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી હતી. આ દરમિયાન ગઈકાલે તેણે પોતાની હોસ્ટેલના રૂમમાં પ્રોફેસરોના ત્રાસના કારણે આપઘાત કરી લેતા ચકચાર મચી. પોતાની હોસ્ટેલના રૂમ નંબર B/212માં પંખા સાથે દોરી બાંધી જીવન ટુંકાવ્યું.. વિદ્યાર્થીનીને હોસ્ટેલની એમ્બ્યુલન્સ વાનમાં મહેસાણા સિવિલ લાવવામાં આવી હતી જ્યાં તેનું મોત નીપજ્યું હતું. દીકરીના મોતના સમાચાર સાંભળી વતન રહેતો પરિવાર મહેસાણા સિવિલ દોડી આવ્યો હતો, જ્યાં દીકરીને મૃત હાલતમાં જોઈ સમગ્ર પરિવાર ભાંગી પડ્યો હતો. મૃતકના પિતાએ મહેસાણા તાલુકા પોલીસમાં ચાર પ્રોફેસર સામે ફરિયાદ નોંધાવી કહ્યું કે, તેમના દ્વારા તેને માનસિક અને શારીરિક રીતે પરેશાન કરવામાં આવતી હતી.

સુરેશરાવ વાસનીક નામના પ્રોફેસર તેને ઊંચા અવાજે ધમકાવતા અને નાપાસ કરવાની ધમકીઓ આપતા હતા. મેડિસિનના પ્રોફેસર પ્રશાંત નુવાલ તેને ત્રણ-ત્રણ વખત એક જ વસ્તુ લખવા ફરજ પાડતા અને બે-ત્રણ કલાક સુધી ઊભા રાખતા, સાથે અશોભનીય વર્તન કરતા હતા. ફાર્મસીના પ્રોફેસર વાય. ચંદ્રા ભોસ તેને એકલી ક્લાસમાં બોલાવી અશ્લીલ ટિપ્પણીઓ કરતા હતા. ડૉ. સંજય રીધે નામના એસોસિએટ પ્રોફેસર પણ, તેને જાહેરમાં અપમાનિત કરતા અને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કરતા હતા. તો ઘટના બાદ કોલેજ તંત્ર સતર્ક થઈ ગયું. જવાબદાર પ્રોફેસરોને બરતરફ કરાયા હોવાનું પ્રિન્સિપાલે નિવેદન આપ્યું. જ્યારે કોલેજ કેમ્પસ છોડતા પહેલા પ્રોફેસરે વિદ્યાર્થીઓ સમક્ષ માફી માંગી હતી કે સારા તબીબ બનાવવા પ્રેશર આપ્યું હોય તો હું દિલગીર છું.

શું વિદ્યાર્થીનીએ તેના સાથી મિત્રોને આ વાત નહીં કહી હોય. શું વિદ્યાર્થીનીને કોઇ પ્રોફેસર કે આચાર્યએ સાથ નહીં આપ્યો હોય. ભણવાનું પ્રેશર અલગ વસ્તું છે પરંતુ શારીરિક અને માનસિક ત્રાસ સહન કરવો કેટલું યોગ્ય.. વિદ્યાર્થીનીએ પોતાનું જીવન ટુંકાવી દીધું, એટલે વિચાર કરો તે માનસિક રીતે કેટલી ભાંગી પડી હશે.

અનેક વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારની ઘટનાઓ બને છે પરંતુ આવા સમયમાં કોઇની સાથે વાત કરો. આ હેલ્પલાઈન લંબર નોટ કરી લો- 104, અને સાથે જ જીવન આસ્થા હેલ્પલાઈન નંબર- 1800-233-330. આત્મહત્યા તે અંતિમ વિકલ્પ નથી. યોગ્ય કાઉન્સિલગ જો કરવામાં આવે વિદ્યાર્થીઓનું, તો ચોક્કસ ઉકેલ મળી શકે છે. શ્રીમદ્ ભગવત ગીતા નો એક અનમોલ ઉપદેશ છે પરિસ્થિતિ ગમે એટલી ખરાબ હોય, તે હંમેશા એક જેવી નથી રહેતી, તે બદલે છે. તેથી માણસે હિંમત હારવી નહીં.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:45 pm, Thu, 30 January 25